તાંત્રિક બાબા
તાંત્રિક બાબા
ફુલપાડા નામનું એક ગામ હતું. ગામનાં બધાં જ લોકો ખૂબ જ સારા સ્વભાવનાં હતાં. અને ભોળા પણ હતા. અને થોડાં અંધશ્રદ્ધાળુ પણ હતાં.
એ ગામમાં એક તાંત્રિક રહેવા માટે આવે છે. ગામનાં બધાં જ તેને રહેવાં માટે એક મોટું મકાન બનાવી આપે છે. તાંત્રિક રોજ ત્યાં રહીને તાંત્રિક વિધિઓ કરે અને ગામનાં તમામ લોકો સાથે સાંજનાં સમયે થોડી વાતો કરીને ગામનાં લોકોને પોતાનાં વશમાં કરે.
ગામનાં લોકો પણ પોતાની તમામ નાની-મોટી સમસ્યાઓ લઈને તાંત્રિક પાસે જતાં અને તેનું સમાધાન માટે કેટલીક વિધિઓ કરાવતાં.
તાંત્રિક બાબા સાવ જુઠાં હતાં. તે ગામનાં લોકોને વિશ્વાસમાં લઈને પોતાનું કામ કરાવી લેતાં. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને તાંત્રિક બાબા પાસે જતાં ત્યારે એ તાંત્રિક બકરાની, ગાયની, મરઘાની, બલિ ચડાવવાનું કહેતો.
એક દિવસ ગામનાં મુખીનો દીકરો ખૂબ જ બીમાર પડી જાય છે. અને તેઓ એ તાંત્રિક પાસે જાય છે. તાંત્રિક બાબા ને કહે છે. "મારો દીકરો ખૂબ જ બીમાર છે. તેને સારું કરવા માટે કોઈ ઉપાય બતાવો.".. તાંત્રિક બાબા તરત જ કહે છે. " દસ મરઘાની બલિ ચડાવી પડશે. ત્યારે જ તમારો દીકરો સારો થશે. પેલો ગામનો મુખી તો હા પાડી દે છે. ત્રણ દિવસ પછી દસ મરઘા લઈને જાય છે.
મુખી દસ મરઘા લઈને એ તાંત્રિક બાબા પાસે જાય છે. ત્યારે એક અદભૂત દ્રશ્ય જોવે છે. બાબા પોતાનાં શિષ્યને કહેતાં હોય છે. "અરે, વાહ આજે તો દસ મરઘાની બલિ આવશે..ખાવાની ખુબ મજા પડશે. આ ગામનાં લોકો તો કેટલાં મૂર્ખ છે. કે મારી બધી જ વાત માની લે છે.
મુખી આ બધી વાત સાંભળી લે છે. અને તરત જ પોતાનાં દસ મરઘા લઈને પાછો જતો રહે છે. ગામનાં લોકોને ભેગાં કરે છે. અને કહે છે. "આજ પછી આ તાંત્રિક પાસે કોઈ એ જવું નહીં. તે સાવ ઢોંગી અને જુઠ્ઠો છે. ગામનાં લોકો આ સાંભળતા જ તાંત્રિક બાબા પાસે જાય છે. અને તેને મારી મારીને બેહાલ કરી મૂકે છે. અને ગામમાંથી બહાર કાઢી મૂકે છે. અને ગામનાં લોકો પણ આ વાત પરથી એક નવી શીખ મેળવે છે. અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે છે.