સ્વપ્ન એક સંકેત
સ્વપ્ન એક સંકેત
ઉઠતાંવેંત મારી વ્હાલી સખી પૂજાને મેં ફોન કર્યો. એના સસરાએ લીધો. સુરેશભાઈ મને ઓળખે તેથી પૂજા બહાર હોવાથી મને એનો કોન્ટેક્ટ નંબર આપ્યો.
મેં એને સીધું જ પૂછ્યું, " અનિલભાઈ મુંબઈ જવા નીકળી ગયા કે ઘરે જ છે ? જો ઘરે હોય તો ન જ મોકલતાં. વધુ ઑફિસમાં મળીએ ત્યારે કહીશ."
પૂજાએ કહ્યું, " એ તો નીકળી ગયા."
મેં કહ્યું, "તો એ બસમાં કે ટ્રેનમાં ન જાય એમ કહેજે. અને જ્યાં જાય ત્યાં સાવચેતી રાખવાનું કહેજે.
પણ જલદીથી વાત કરી જ લે."
પૂજાએ અનિલભાઈ સાથે મારી સૂચનાનો ફરજિયાત અમલ કરવાની વાત કરી લીધી.
ઑફિસમાં આવીને બેય જણાં ઉચાટભેર બેઠાં.
મેં કહ્યું, " મને સ્વપ્ન ભાગ્યે જ આવે છે. સાચું જ પડે છે. કહી દેવાથી માત્રા ઘટે અને ઘાત જાય. એવું હું જાણું છું."
એટલે સાંભળ કે અનિલભાઈ ક્રીમ ઝભ્ભો, સફેદ ચોયણી અને ચોરસ ફ્રેમનાં ગોગલ્સમાં બસમાં જઈ રહેલા ત્યારે અચાનક આગ અને તોફાન વચ્ચે દોડાદોડી મચે છે. અનિલભાઈ માંડમાંડ બચે છે. "
પછી ઉમેર્યું, " તમે સતત સંપર્કમાં રહેજો. મને બહુ ચિંતા થાય છે."
હકીકતમાં મને અનિલભાઈ મુંબઈ જવાના છે એની ખબર જ નહોતી. એટલે પૂજાનેય નવાઈ લાગી.
લંચબ્રેક પડે એ પહેલાં જ પોતાની કેબિનમાંથી પૂજા લગભગ દોડતી મારાં ટેબલ પાસે આવી.
કહે, " અનિલ બચી ગયા. અને તને ખાસ થેંક્સ કહેવા કહ્યું છે."
ઑફિસમાં સૌને નવાઈ લાગી.
થોડીવારમાં તો મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ્સના સમાચાર આવ્યા.
અનિલભાઈ જે જગ્યાએથી દસ મિનિટ પહેલાં પસાર થયેલા એ જગ્યાએ બ્લાસ્ટ થયેલો એમણે દૂરની બિલ્ડીંગમાં આવેલી મિત્રની ઑફિસમાંથી જોયો પણ ખરો.
મેં વર્ણન કરેલું એવા જ ડ્રેસમાં એ સજ્જ થયેલા અને ખાસ સૂચનને કારણે બસમાં ન જ ગયાં.
થોડાક મહિના પછી ફરીથી અનિલભાઈ ટ્રેનમાં મુંબઈ જવા ઘરેથી નીકળ્યાં તો ખરા, પણ અચાનક વાવઝોડાંને કારણે ટ્રેન રદ થઈ.
પછી તો મુંબઈ જવાનું હોય ત્યારે પૂજા ઑફિસમાંથી રજા લઈને સાથે જતી.
બાળપણમાં આવા સંકેત આપતાં બે સ્વપ્ન આવેલાં.
એકમાં મારા પપ્પા અને થોડાં વર્ષ બાદનાં સ્વપ્નમાં એક ગુરુ એમ બંને વખતે આગમાંથી કોઈને બચાવતાં દાઝેલાં.
આથી સૂતાં પહેલાં ગાયત્રીમંત્ર બોલતાં બોલતાં શાંતચિત્તે સૂઈ જવાની ટેવ જ પાડી છે.
આવો કોઈ સંકેત હોય એ સિવાય સ્વપ્ન આવતાં જ નથી. મોટેભાગે એક પડખે સવાર પડી જાય છે.