STORYMIRROR

Sangita Dattani

Romance Inspirational

4  

Sangita Dattani

Romance Inspirational

સુરેખાની શ્રદ્ધા

સુરેખાની શ્રદ્ધા

3 mins
344

એ હાલો.. હાલો.. એ હાલો.. જાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, તારા રૂપાળા ગોરા ગોરા ગાલ.. આ સાંભળીને સંજુ તરત જ સીંદરીના ખાટલામાંથી ઊભો થઈને સુરેખા પાછળ દોડ્યો. રમણીકલાલ ને રમાબેન તો એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. પોતાના જુના પણ અત્યંત વ્હાલા એ દિવસો એમને યાદ આવી ગયા. 

"ઓલા એ સંજુડા ક્યાં ઉપડ્યો ? હજી તો પાંચ જ વાગ્યા છે. ચા પાણી કર ને ત્યાં તો બે રોટલાને રીંગણના બટેટાનું ભરેલું શાક કરી નાખું. ને જમીને ગરબા ગાવા જાજે હોં દીકરા."

તોય સંજુડો માને એમ ન હતો. આજે તો સુરેખાને પોતાની વાત મનાવી જ લેવી હતી એટલે ચા પાણી પડતાં મેલીને એ તો બાથરૂમમાં નહાવા જ ચાલ્યો ગયો. વીસ પચીસ મિનિટ પછી બહાર નીકળ્યો ને માથું લૂછતાં લૂછતાં બોલ્યો, " મમ્મી હવે બધું રહેવા દેજો, હું હવે ગરબા રમવા જાઉં છું." કહેતા તે કંઈ જોયા સાંભળ્યા વગર જ બહાર નીકળી ગયો. સાતના ટકોરા ઘડિયાળમાં પડતા હતા અને સુરેખાનું હૃદય જાણે એક એક ટકોરે હરખાતું હતું. ધબકારા વધી ગયા હતા. 

બંનેએ એક સાથે જ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યાં તો આદ્યાશક્તિની આરતી શરૂ થઈ. જય આદ્યાશક્તિ ..મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. 

આરતી પૂરી થયા બાદ તરત જ ગરબા શરૂ થયા ને જાણે સાક્ષાત નવદુર્ગા પૃથ્વી પર ઉતરી આવ્યા. સુરેખા અને સંજય મન ભરીને ગરબે રમ્યાં. રાતના દસ થયા ને વિશ્વંભરીની સ્તુતિ ચાલુ થઈ. 

સૌએ આનંદથી માની સ્તુતિ કરી. સંજય અને સુરેખા પણ બે હાથ જોડી માતાજીને વીનવી રહ્યાં. સુરેખા હજી બે હાથ જોડી ઊભી જ હતી. સંજયે તેને સાથ આપ્યો. ભૂખ તો બહુ જ લાગી પણ જ્યાં સુધી સુરેખા પ્રાર્થના પૂરી ન કરે ત્યાં સુધી કશું શક્ય નહોતું. થોડીવારે માને વીનવી રહી અને સંજય સામે જોયું. બીજા બધા ભક્તો તો ક્યારનાયે પોતપોતાના ડાંડિયા લઈને ક્યારે સંગીત ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યાં હતાં. 

સંજયે સુરેખાનો હાથ પકડી ને તેને ચા નાસ્તો કરવા લઈ ગયો અને કહ્યું, "સુરેખા કંઈ બોલતી નહીં, ચાલ થોડું ખાઈ લઈએ. ગરબા રમવાની ઉતાવળમાં હું જમ્યો નથી." હસતાં મોઢે સુરેખાએ તેને સાથ આપ્યો. 

ચા નાસ્તો કરીને પાછા ફર્યા ત્યારે ઢોલીડા ઢોલ વગાડવાની શરૂઆત કરી ચૂક્યા હતા. સંજયે સુરેખાની ચૂંદડી સરખી કરીને પીન નાખી દીધી અને મનમાં જ ખુશ થતો થતો ડાંડિયારાસ રમવા લાગ્યો. 

મનોમન માને વિનંતી કરી કે, "હે મા સુરેખાના મમ્મી પપ્પા હા પાડે એટલે ચૂંદડી ઓઢાડવાનું મુહૂર્ત કઢાવી લઉં અને જે દિવસે તેને ચૂંદડી ઓઢાડીશ તે દિવસે મા તને પણ ચૂંદડી ઓઢાડીશ. આ મારું તને વચન છે."

ડાંડિયા પછી તો અનેક ગરબા, રાસ, ઝાંઝરિયું, રણઝણિયું બધું જ થયું ત્યારે રાતના બાર વાગ્યા હતા. સુરેખાને ઘરે મૂકીને તેના મમ્મીને વંદન કરી પાછો ઘરે આવ્યો. 

ત્યારે રમણીકલાલ અને રમાબેન જાગતાં જ હતાં અને રમાબેને જરા તેને ટપાર્યો પણ ખરો કે "કોઈની દીકરીને રાતે બાર વાગ્યા સુધી આમ ન ફેરવાય. સમાજ કેવી વાતો કરે ? સુરેખા અને આપણા માટે પણ એ સારી વાત નથી."

સંજયે નમ્રતાથી કહ્યું, "મમ્મી મને લાગે છે કે સુરેખાના મમ્મી પપ્પા હા પાડી દેશે ને હું માનતા લઈને આવ્યો છું."

બીજે દિવસે સવારે સુરેખાના મમ્મીનો રમાબેન પર ફોન આવ્યો. રમાબેને ફોન લીધો અને જય શ્રી કૃષ્ણ કહ્યાં. સાવિત્રીબેને કહ્યું કે, " અમને આ સંબંધ મંજૂર છે. પહેલા તો અમે સંજયને ચકાસતા હતા. પણ હવે અમને વાંધો નથી. બોલો ક્યારે ચૂંદડી ઓઢાડો છો ? " આ સાંભળી બધા ખુશ થઈ ગયા. ને દેવ દિવાળીનું ચૂંદડી - લગ્નનું મુહૂર્ત મળી આવતા રંગેચંગે લગ્ન થઈ ગયા. સંજયે માતાજીની ચૂંદડી સાથે જ રાખી ને મંદિરે દર્શન કર્યા અને માનતા પૂરી કરી. 

બીજી નવરાત્રીએ સુરેખા ગરબા રમી શકે એમ ન હતી, કારણ તેણે સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. સવા મહિનો થયે માતાજીના દર્શને ગઈ ત્યારે મંદિરમાં ૬૪ લોટા તેડ્યા હતા અને ત્યાં ચોસઠ જોગણીઓ રાસ રમી રહી હતી. 

તે મનોમનમાં માને વંદી રહી અને કહ્યું કે, "હે મા, આવી જ રીતે મારું જીવન પ્રેમપૂર્ણ પસાર થાય તેવી પ્રાર્થના."


Rate this content
Log in

Similar gujarati story from Romance