સત્યનો વિજય
સત્યનો વિજય
ગીત અને મનન બંનેની જોડી આખી કોલેજમાં પ્રખ્યાત, એમનાં પ્રેમનાં ચર્ચા પણ કોલેજમાં મશહૂર. નસીબ અને કર્મનાં લેખાંજોખાં કયારે જિંદગી બદલે તે કોણ જાણી શક્યું ?
ગીત અને મનનની જોડી દુનિયાની નજરમાં આવીને વિઘ્નસંતોષીઓએ એમનાં પરિવારની કાનભંભેરણી કરીને, ગમે તેવાં આરોપો મૂકીને બંનેને જુદાં પાડી દીધાં.
ગીત અને મનન બંનેને એકબીજા પરનાં પ્રેમ પર, પૂરી શ્રદ્ધાને આસ્થા હતી, એમનો પ્રેમ સાચો હતો, દુનિયા એમની લાગણી સમજી ના શકી. આ બધાં બનાવો એમનાં સાચા પ્રેમની પરીક્ષા લઈ રહ્યાં હતાં. તેમને તોડવાનાં પ્રયત્ન કરી રહ્યાં હતાં. બંનેનાં સમાજનાં મુખીઓએ બંને કુટુંબને નાત બહાર મૂકવાની વાત કરી.
ગીત અને મનને એમનાં પરિવારનાં હિતમાં એકબીજાથી દૂર જવાનું નક્કી કર્યું,બંને એકબીજાને મળતાં કે વાત પણ કરતાં નહોતાં. બંનેએ શિવજીને બધું સોંપી દીધું. ગીતનાં પરિવારે તેનાં માટે બીજો મુરતીયો શોધવાં લાગ્યાં ને મનન માટે સરસ વહુની વાતો થવાં લાગી, ગીત ને મનન મનથી વિશ્વાસુ હતાં. તેમનાં પરિવારજનોનાં વર્તન, વાતોથી કોઈ દુઃખ નહોતું, બસ એમને જે વિયોગ મળી રહ્યો હતો, તેનાંથી અસ્વસ્થ હતાં. બંનેને શિવજી પર શ્રદ્ધા, આસ્થા હતી જેટલી પ્રેમ પર હતી. વળી બંનેની પહેલી મુલાકાત શિવજીનાં મંદિરમાં થઈ હતી, ત્યારથી જ એકબીજાને ગમ્યાં, મિત્ર બન્યાં, પ્રણયનાં ફૂલ ખીલ્યાં હતાં. બન્ને માનતાં જે શિવજીએ એમની જોડી બનાવી તે કોઈ ચમત્કાર કરશે, અને સત્યનો વિજય થશે.
આમ આખું વર્ષ વીતી ગયું, ઘણાં મૂરતિયાં જોયાં ગીત માટે અને ઘણી છોકરીઓ જોઈ મનન માટે, છતાં તેમનાં માતા-પિતાને કોઈ પસંદ ના આવ્યાં, રહી રહીને બંને પરિવારોને ગીત- મનનની જોડી યાદ આવતી.
એક સાંજે અચાનક બંને પરિવાર ભગવાન શિવજીનાં મંદિરમાં ભેગા થઈ ગયાં, ઔપચારિક વાતો કર્યા બાદ બંનેનાં વડીલોએ એમનાં લગ્ન કરી આપવાનું નક્કી કર્યું. માતા-પિતા તો બાળકોની ખુશીમાં ખુશ થયાં, સમાજનાં મુખી ભલે ગમે તે કહે પણ પ્રભુ શિવજીનાં આશીર્વાદની આગળ કોઈની બીક નથી. અંતે ગીતને મનનનાં લગ્ન કરાવી આપ્યાં.
ગીત - મનનનાં પ્રેમનો, એમની આસ્થા, શ્રદ્ધા, સત્યનો વિજય થયો.