સન્યાસી તો ચલતા ભલા
સન્યાસી તો ચલતા ભલા
નાના પણ રળિયામણા વજાપર ગામની સીમમાં આવેલા મંદિરમાં છેલ્લા બે મહિનાથી ચહલપહલ વધી હતી. બે મહિના પહેલાં મંદિરમાં વજાપરથી પચાસ કિલોમીટર દૂર આવેલા કાનજીબાબા આશ્રમના સંસ્થાપક કાનજીબાબા ખુદ પધાર્યા હતા. મંદિરના મહંત તો અહોભાવમાં આવી ગયા હતા. કાનજીબાબા રોજ સાંજે બે કલાક જાહેર સત્સંગ કરતા. બાબાનો અવાજ મીઠો પહાડી હતો એટલે ધીરે ધીરે વર્ષોથી સુના પડેલા, ભાગ્યે જ દસ પંદર ભાવિકોની અવરજવરવાળા મંદિરમાં રોજના સો બસો ભક્તોની ચહલપહલ રહેવા માંડી. બાબાના ચરણસ્પર્શ કરવા સત્સંગને અંતે લાઈન લાગતી. મંદિરના મહંત બધાને કહેતા કે, “આપણાં ધનભાગ કે આવડો સુખસાહ્યબી અને હજારો અનુયાયીઓવાળો આશ્રમ છોડીને બાબા આપણા ઉધ્ધાર માટે અહીં પધાર્યા છે.”
બાબા કહેતા કે, “ના ના બસ સન્યાસી અને નદી તો બહેતા ભલા.”
કોઈ ભાવક ભાવવિભોર થઈને કહેતો, “બાબા અહીં અમારા જેવા અભણ લોકો માટે તમારી જરુર છે. તમને બધી સગવડ પૂરી પાડીશું.”
પણ રોજ રાત્રે મંદિરના આંગણામાં ખાટલો ઢાળીને સૂતેલા કાનજીને મનોમન સંવાદ થતો. નિ:સાસો નીકળી જતો.
“અરેરે ! ત્રણ મહિનાથી પડ્યો પાથર્યો છું પણ સંતુ હજી નથી આવી. આખું ગામ સત્સંગમાં આવે છે પણ હું જેના માટે વૈભવી આશ્રમ છોડીને અહીં ડેરો જમાવીનો પડ્યો છું એ નથી આવતી. બચપનથી યુવાની સુધી એક ભીંતે ઉછરેલાં અમે દોસ્તીમાંથી પ્રેમ તરફ વળ્યાં. પણ આ એના દાદાએ જબરદસ્તી વજાપરના મુખીના દીકરા સાથે પરણાવી. સંતુએ ગામમાંથી વિદાય લીધી અને મેં સંસારમાંથી.
આ નસીબના ખેલ બહુ નિરાળા. માંડ માંડ સન્યાસી જીવનમાં ગોઠવાયો ત્યાં આ વજાપરના સરપંચ આશ્રમે નવી જમીન માટે આશિર્વાદ લેવા આવ્યા. અને વજાપરનું નામ સાંભળીને મનમાં પેલો સંતુની યાદનો કોચલું વળીને પડેલો ભોરિંગ સળવળ્યો. અને હું આ ભૂખડ મંદિરમાં પડ્યો છું. બે ચાર દિવસ રાહ જોઉં પછી પાછો જઈશ.”
અને.... બાબાએ રોજની જેમ તે સાંજે સત્સંગ શરુ કર્યો. હજી બે ભજન ગાયાં ત્યાં તો દૂર સંતુ સપરિવાર નજરે ચડી. કાનજીનો અવાજ ધ્રૂજી ગયો. જેમતેમ સત્સંગ પૂરો કર્યો. પછી ભક્તોની લાઈન ચરણસ્પર્શ માટે લાગી પણ બાબાની નજર હરોળમાં પાછળ ઉભેલી સંતુ પર સ્થિર થઈ ગઈ. “હજી એવી જ છે. સહેજ ઉંમર લાગે અને સુખને લીધે ભરાઈ છે. બાળકોય મજાનાં છે.” વિચારયાત્રા થોભવાનું નામ નહોતી લેતી. સંતુએ માથું નમાવ્યું અને ધીરેથી કહ્યું, “સન્યાસીને આટલો મોહ શોભે નહીં. આટલી આસ્થા જો પ્રભુમાં રાખીશ તો તરી જવાશે.”
અને કાનજીબાબાને જાણે ડંખ લાગ્યો. એ રાત્રે કાનજીએ મોટો નિર્ણય લીધો,“હવે સમાધિ લેવાનો સમય આવી ગયો છે.”