રક્તરંજીત વિલ
રક્તરંજીત વિલ
રમેશભાઈ અને રંજનબેન આજે ખુબ ખુશ હતા. આજે સાંજ સુધીમાં તેમના ત્રણેય દીકરા અને બંને દીકરીઓ પોતાના પુરા પરિવાર સાથે આવી જવાના હતા. મહારાજ ને બધાને ભાવતી જુદી જુદી રસોઈનું લિસ્ટ આપી દીધું હતું.
મોટો દીકરો મિલન અને બંને નાની દીકરીઓ મુબઈમાં રહેતા હતા તેથી તેઓ સાથે આવવાના હતા. વચલો દીકરો દિલ્હીથી આવવાનો હતો. અને નાનો કલકત્તાથી આવવાનો હતો. કેટલા વખત પછી બધાં એકસાથે ભેગાં થતાં હતાં. રાત સુધીમાં તો આખું કુટુંબ ભેગું થઈ ગયું. જમી પરવારી ને આખા કુટુંબના દરેક સભ્યો હોલમાં ગોઠવાઈ ગયા. અને બાળકો ગાર્ડનમાં રમવા ગયાં. બધા ના મનમાં એકજ પ્રશ્ન હતો. કે પપ્પાએ ભાર દઈને કેમ કીધું હશે કે તમારે આવવું જ પડશે. રમેશભાઈ અને રંજનબેન પણ હોલમાં બધાંની સાથે જ બેઠા હતા. મોટા દીકરા એ વાત ઉપાડી અને રમેશભાઈ ને પૂછ્યું કે પપ્પા આ વખતે આવવાનું જ છે તેવો આગ્રહ રાખી ને અમને બધાં ને બોલાવ્યા છે તો કંઈક ખાસ કારણ છે ? નહીં તો તમે આટલો આગ્રહ ન રાખો. રમેશભાઈ એ કહ્યું હા બેટા, હું પણ જાણું છું કે તમારે માટે સમય કાઢી ને આવવું કેટલું મુશ્કેલ છે. પણ ના છુટકે તમને બોલાવવા પડ્યા એટલું કહેતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા. દીકરાઓએ કહ્યું અમને આવવાનો કોઈ રંજ નથી પણ તમે કોચવાવ છો શું કામ. રમેશભાઈ એ કહ્યું મારે મારી બધી મિલકત તમને બધા ને સરખે ભાગે વહેંચી ને હરદ્વાર ચાલ્યું જવું છે. મને અને તમારી મમ્મીને જીવન પરથી રસ ઊડી ગયો છે. ત્રણેય દીકરાઓ કહેવા લાગ્યા અત્યારે મિલકતના ભાગલા પાડવાની ક્યાં ઉતાવળ છે. તમને અહીં ન રહેવું હોય તો અમારી સાથે ચાલો.
રમેશભાઈ અને રંજનબેન આંખોમાં આંસુ સાથે કરગરવા લાગ્યા અને કહેવા લાગ્યા હું કહું તે બરાબર કહું છું મે વિલ બનાવી રાખ્યું છે. તેમાં તમે સૌ સહી કરી દો, એટલે મારા જીવને નિરાત થાય. પપ્પાને આવી હાલતમાં જોઈને છોકરાઓ મૂંઝાઈ ગયા. છોકરાઓ એ કહ્યું વારું પપ્પા તમે કહેશો તે પ્રમાણે અમે કરવા તૈયાર છીએ,તમે મનમાં ઓછું ન લાવો. બધાની વચ્ચે નાના જમાઈ બેઠા હતા. તેને સિગારેટ પીવાની ટેવ હતી,પણ વડીલો સામે પીવાનો ક્ષોભ થતો હતો. આથી તે બહાર પોર્ચમાં સિગારેટ પીવા નિકળ્યા. થોડીવાર પછી અંદર આવીને હમણાં આવું છું કહી પોતાના રૂમ તરફ જતાં રહ્યા.
રમેશભાઈ પણ વિલના કાગળો લેવા પોતાના રૂમ તરફ ગયા. રૂમમાં જઈને જોયું તો આખો રૂમ વેરવિખેર હતો અને વિલના કાગળો ગાયબ હતા, તે હાફળા ફાફળા થઈ બાર આવ્યા. અને બહાર આવીને બુમાબુમ કરવા લાગ્યા કે મારા રૂમમાંથી કાગળો ચોરી થઈ ગયા છે. બેટા જલ્દી મહેન્દ્રસિંહને ફોન કરી અહીં બોલાવો મારે તેની સાથે વાત કરવી છે. બાળકો તમારી જાન જોખમમાં છે. એટલું વાક્ય પુરુ કરે તે પહેલાં તો મોઢા પર માસ્ક પહેરીને પાંચ છ ગુંડાઓ ધસી આવે છે અને ધનાધન ગોળીઓ છોડી બધાના હૃદય વીધી નાખે છે. હાજર હતા તે નોકરોને પણ જીવતા નથી છોડતા. બહાર બગીચામાં નાના બાળકો રમતા હતા તેમને પણ તે નરાધમોએ નહોતા બક્ષ્યા. ત્યાં પણ ખુનની નદી વહાવી તુફાનની જેમ આવ્યા હતા અને ખુનખરાબા કરીને જતાં રહ્યાં.
ગોળીઓના અવાજથી સોસાયટી ના આજુબાજુના બધા બંગલાવાળા જોવા બહાર નીકળ્યા પણ જેવા ખુલ્લી બંદૂક સાથે ગુંડાઓને બહાર નીકળતા જોયા તેવા તરત જ બધાં ડરના માર્યા દરવાજા બંધ કરીને બેસી ગયાં. એક જણે હિંમત કરીને પોલીસને ફોન કરીને જણાવ્યું કે બાજુના બંગલામાં ફાયરિંગ થયું છે અને પાંચ મિનિટમાં તો ફાયરિંગ કરીને જતાં પણ રહ્યા છે ફરજ પર સૂરજસિહ હાજર હતા તે તરતજ પોલીસ પાર્ટી સાથે પહોંચી ગયા રસ્તામાંથી ડી એસ પી સાહેબ મહેન્દ્રસિંહને ફોન કરી દીધો હતો અને ફોરેન્સિક ટીમને પણ બોલાવી લીધી હતી. દસ મિનિટમાં તો બધાં રમેશભાઈ ને બંગલે પહોંચી ગયાં. પોલીસ ને આવેલી જોઈને આજુબાજુ ના બંગલા વાળા ધીમે ધીમે બહાર આવવા લાગ્યા. સુરજસિહે બંગલામાં દાખલ થતાં પહેલાં કોણે ફોન કર્યો હતો તે જાણવા સવાલ કર્યો ત્યારે બાજુ ના બંગલાવાળા કિરીટભાઈ એ આગળ આવીને જણાવ્યું કે સાહેબ મે ફોન કર્યો હતો. પણ સાહેબ મે તો ફકત ગોળીઓનો અવાજ અને બધાની મરણચીસો સાંભળી છે મેં નજરોનજર કંઈપણ નિહાળ્યું નથી મારી તો દરવાજો ખોલીને બહાર આવવાની હિંમત ન ચાલી. તમે આવ્યા પછી જ હું બહાર નીકળ્યો છું.
મહેન્દ્રસિંહ સાહેબ પણ આવી ગયાં હતા, બંગલામાં દાખલ થતાં જ બધાના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ,બગીચામાં છ નાના ભુલકાઓની લાશો બહુ કઢંગી હાલતમાં પડી હતી એક બાળકનો દેહ હિંચકા પર ઝુલતો હતો. એક બાળકનો દેહ લપસણી પર લટકી રહ્યો હતો. આમ છુટા છવાયા બાળકોના દેહો પડ્યા હતાં. મહેન્દ્રસિંહ રમેશભાઈના ખાસ મિત્ર હતા તેમને ખબર હતી કે આખો પરિવાર ભેગો થવાનો છે. અને તે પરિવારના એકેએક વ્યક્તિ ને જાણતા હતા, તેમણે જોયું કે આમાં એક બાળક ઓછું છે. માર્કિગ કરીને આખી ટીમ બંગલામાં દાખલ થઈ. બંગલાની અંદરનું દ્રશ્ય જોઈને કાચાપોચાનુ તો હાડજ બેસી જાય. આટલું બિહામણું દ્રશ્ય તો પોતાની આટલા વર્ષોની નોકરીમાં ક્યારેય નહોતું જોયું. બાર બાર મૃત દેહો ફર્શ પર પડેલા હતા. મહેન્દ્રસિંહે જોયું કે આમાં રમેશભાઈ અને તેના નાના જમાઈની બોડી નથી અને ઘરનો એકદમ જુનામાજુના નોકર દિનુકાકાની પણ બોડી નથી તેમણે પોલીસોને આદેશ આપ્યો ઘર નો ખુણે ખુણો તપાસી જુઓ ગમે તેમ કરી ને રમેશભાઈ અને દિનુકાકાને શોધી કાઢો કહી તે પાછા બગીચામાં ગયાં. રાત્રીનો સમય હતો તેથી ટોર્ચ સાથે રાખી આમતો બગીચામાં લાઈટ હતી બગીચાનો ખુણે ખુણો તપાસવા લાગ્યાં ત્યાં ઝાડ ની પછવાડે કંઈક હોય તેવું લાગ્યું ટોર્ચનો પ્રકાશ ફેકી ને જોયું તો એક બાળક ત્યાં પડ્યું હતું. અને બેભાન હાલતમાં હતું. તેમણે જોયું આતો મોટા દીકરાનો દીકરો છે. તેણે તુરંત જ બાળક ને હૉસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી અને તેની સુરક્ષા માટે બે માણસોને ગોઠવી દીધા.
મહેન્દ્રસિંહ માટે આ બધું બહુ કપરું હતું, તેના જીગર જાન મિત્ર સાથે આવો હિચકારો બનાવ બની ગયો હતો, પ્રાથમિક તપાસ માંડ માંડ પુરી કરી તેની આંખોમાંથી અશ્રુધારા સતત વહેતી હતી તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. તેમણે આ કેસમાં ક્રાઈમબ્રાન્ચની મદદ લેવાનું વિચાર્યું તેણે ક્રાઈમ બ્રાન્ચમાં ફોન કરી સમીરને બોલાવી લીધો. સમીર ખુબ જ ચાલાક હતો અને બાહોશ વ્યક્તિત્વ ધરાવતો હતો. આ ક્રુર અને અટપટો કેશ સમીર વગર સોલ્વ કરવો અઘરો હતો.
સમીરે ઝીણી નજરે બનાવ ના સ્થળ ને નિહાળી લીધું પછી બધી બોડીને પોસ્ટમોર્ટમ માં મોકલી દીધી. સમીરે મહેન્દ્રસિંહ પાસે થી રમેશભાઈ ના કુટુંબ ની માહિતી લઈ લીધી. આ બધી વાતો ચાલતી હતી ત્યાં દિનુકાકા બંગલામાં દાખલ થયા અને મોટેથી પોક મુકી ને રડવા લાગ્યા, સમીર અને મહેન્દ્રસિંહ બહાર આવ્યા અને મહામહેનતે દિનુકાકા ને ઘરની અંદર લઈ આવ્યા થોડી વાર રડવા દીધા પછી પૂછ્યું કે તમે ક્યાં હતા તમે કેમ હાજર ન હતા. દિનુકાકા એ કહ્યું મારી તબિયત સારી ન હતી તેથી શેઠે મને મારી દીકરી ને ત્યાં જવાનું કહ્યું હતું. તમે અહીં અચાનક કેવી રીતે પહોંચી ગયાં એ પણ આટલી મોડી રાત્રે, મહેન્દ્રસિંહે થોડા કડક અવાજ માં પૂછ્યું. દિનુકાકા થોડા થથરી ગયાં. પછી કહ્યું સાહેબ મારા પર શક ન કરો આ બધા બાળકો ને મારા હાથમાં રમાડેલા છે. તેને નાની અમથી ઠેસ વાગતી તો મારા હૃદયમાં શોળ ઉઠતી. આતો બાજુ વાળાનો નોકર મારી દીકરીની બાજુમાં રહે છે તેનો ફોન આવ્યો તેથી હું દોડતો પહોંચી ગયો. સાહેબ એક વાત કરું અઠવાડિયા પહેલાં શેઠ ને મળવા એક મોટા શેઠ આવ્યા હતા. મારા શેઠ તેને પગે પડીને કરગરતા હતા, મારા શેઠનું મારા તરફ ધ્યાન ગયું તો તેણે ઈશારો કરી મને અંદર ચાલ્યાં જવાનું કહ્યું તેથી હું તો રસોડામાં ચાલ્યો ગયો હતો. સમીરે પૂછ્યું તને કેવી રીતે ખબર પડી કે તે બહુ મોટા માણસ હતાં. દિનુકાકાએ કહ્યું તે એક મોટી ગાડીમાં આવ્યા હતા અને સાથે બોડી ગાર્ડ પણ તેઓ કારમાં જ બેઠા હતા તેથી કોઈના મોઢા નહોતા દેખાતા. સમીરે કહ્યું વારું અત્યારે તમે જઈને સૂઈ જાવ બીજી બધી વાત સવારે કરશું કહી દિનુકાકા ને જવા દીધાં. બીજા બધા ને પણ રજા દીધી. ફક્ત ચાર પાંચ પોલીસને બંગલાની ફરતે બંગલાની નિગરાની કરવા ગોઠવી દીધા. સુરજસિહ મહેન્દ્રસિંહ અને સમીર પણ જવા નીકળ્યા.
સુરજસિહ નીકળી ગયાં પછી મહેન્દ્રસિંહે સમીર ને કહ્યું મારે તારી સાથે એક વાત કરવી છે, મારે ઘેર ચાલ, સમીરને થયું નક્કી કંઈક ગંભીર વાત હશે તેથી ભલે ચાલો હું આવું છું કહી મહેન્દ્રસિંહની પાછળ ગાડી હંકારી દીધી. મહેન્દ્રસિંહે ઘરે પહોંચી ને પહેલું કામ હૉસ્પિટલમાં ફોન કરીને રાજના સમાચાર પુછવાનું કર્યું પણ રાજ હજી ભાનમાં નહોતો આવ્યો. સમીર ને પોતાની સાથે જમવા બેસાડી દીધો, સમીરે જોયું સાહેબ મને વાત કરવા પણ માંગે છે અને મનમાં મુંઝાય છે. ભલે થોડો સમય લે એમ વિચારીને આનાકાની વગર જમવા બેસી ગયો. જમતાં જમતાં તેનું ધ્યાન મહેન્દ્રસિંહ પર જ હતું. તેનું ધ્યાન સતત સામે ના રૂમ પર સ્થિર થતું હતું. જમી લીધા પછી મહેન્દ્રસિંહ સમીરને તે રૂમ તરફ લઈ ગયાં જ્યાં તે સતત જોયા કરતાં હતા. રૂમ ખોલીને તેમણે રમેશભાઈના જમાઈની ઓળખ કરાવી રમેશભાઈ ના જમાઈને હજું ખબર નહોતી કે તેનું આખું કુટુંબ રહેશાઈ ગયું છે. મહેન્દ્રસિંહે સમીર ને આનંદ કુમારે કહેલી વાત જણાવી. રમેશભાઈનું આખું કુટુંબ સાથે બેઠું હતું અને વીલ વિશે ચર્ચા ચાલુ હતી, ત્યાં આનંદ કુમાર ને સિગારેટ પીવાની તલપ લાગી તે સિગારેટ પીવા બહાર નીકળ્યા ત્યારે પાંચ છ ઓળાને દીવાલની આડશમાં ઊભા રહીને વાત કરતા સાંભળ્યા. તેણે છૂપાઈને કાન માંડીને તેની વાત સાંભળી એમાનો એક કોઈ સાથે ફોનમાં વાત કરતો હતો. તેણે એટલું કહ્યું કે હા ભાઈ આ લોકો જેવા સાઈન કરી દે કે તરતજ બધા ને ઉડાવી દઈશ કોઈને પણ જીવતા નહીં છોડું. આ સાંભળીને તરતજ આનંદ કુમાર તેના સસરાના રૂમમાં ગયા અને ઝડપથી કાગળીયા શોધી ને લપાતા છૂપાતા બહાર નીકળી ને મારે હવાલે કાગળો સોંપવા અહીં પહોંચી ગયા. થોડીવારમાં જ સુરજસિહ નો ફોન આવ્યો આથી આનંદ કુમાર ને કહ્યું હું ન આવું ત્યાં સુધી તમે આ રૂમની બહાર પણ ન નિકળતા અને કોઈ સાથે વાત કરવાની કોશિશ પણ ન કરતાં. જમવાનું એના રૂમમાં દઈને હું નીકળી ગયો હતો. આનંદકુમાર ત્યાંથી નીકળી ગયા પછી શું બની ગયું તે વિગત વાર મહેન્દ્રસિંહે અને સમીરે ધીમે ધીમે માહીતી આપી. આનંદ કુમાર તો આ કરુણ ઘટના સાંભળી અવાચક જેવા થઈ ગયા. તે તો પોક મૂકીને રડવા લાગ્યાં મહેન્દ્રસિંહ અને સમીરે મહામહેનતે તેમને શાંત પાડ્યાં આનંદ કુમારને શાંત કરી સમીર મહેન્દ્રસિંહની રજા લઈને કાલે સવારે મળીએ કહી ઘરે જવા રવાના થયો.
સમીરના ગયા પછી મહેન્દ્રસિંહે આનંદકુમારે આપેલા વિલના કાગળો વાંચવા લીધા. વિલમાં લખ્યાં પ્રમાણે રમેશભાઈની બધી મિલકત રમેશભાઈ ના મોટા ભાઈના દીકરા ભરતને મળે. મહેન્દ્રસિંહનું માથું ચકરાવે ચડી ગયું. કારણ ભરત તો દસ વર્ષથી ગાંડાની હૉસ્પિટલમાં છે. અને તેની હાલત પણ બહુજ ખરાબ છે. તેને રમેશભાઈ ની મિલકતમાં શું ખબર પડે જેને પોતાની જ સુધબુધ ન હોય. મહેન્દ્રસિંહ ને દસ વર્ષ પહેલાંની વાત યાદ આવી ગઈ. રમેશભાઈના મોટા ભાઈનું નામ વિજયભાઈ હતું. તેમના પિતા રમણભાઈ એક એસ્ટેટના જાગીરદાર હતાં. ધનદોલત નીતો છોળો ઉડતી એવાં વાતાવરણ માં બંને ભાઈઓનો ઉછેર થયો હતો. આટલા લાડકોડ ના ઉછેર ની મોટા વિજયભાઈ પર ખુબજ ખરાબ અસર થઈ. ધીમે ધીમે એકપછી એક બધા દુષણોનો શિકાર બનતાં ગયાં અને ઐયાશ બનતા ગયાં. અને સ્વભાવના પણ ખુબ જ રુડ થતાં જતાં હતાં, લડાઈ ઝઘડા તો તેનો રોજનો નિયમ બની ગયો હતો. નાના રમેશભાઈ તેનાથી સાવ જુદી માટીના હતા. એકદમ શાંત સ્વભાવના ભણવામાં ખુબજ હોશિયાર વડિલો ની આમાન્યા રાખવાવાળા. તેથી ઘરમાં બધાં રમેશભાઈ ને ખુબ લાડ કરતાં તે વિજય ભાઈને હંમેશા ખુચતુ. વિજયભાઈના આવા વર્તનથી કંટાળી રમણભાઈ એ તેને સંપત્તિનો અડધો ભાગ આપીને ગામ છોડી જવાનો આદેશ આપ્યો હતો, પછી તેના કંઈ સમાચાર નહોતા. રમેશભાઈ પણ અમદાવાદ આવીને વસી ગયાં હતા. દસ વર્ષ પહેલાં એક ખુબ મોટો ઍક્સિડન્ટ થયો હતો. ગાડીમાં બેઠેલા બધા ખુબ જ બુરી રીતે ચગદાઈ ગયા હતા. એક બાળક દૂર ઊડીને પડ્યું હતું તે પણ કણસતુ હતું, તેના માથામાં વાગ્યું હતું. ગાડીના નંબર પરથી રજીસ્ટ્રેશન પરથી હું પોતેજ રમેશભાઈ ને શોધતો શોધતો તેના ઘરે પહોચ્યો હતો. રમેશભાઈ એ ભાઈની પાછળ વિધિ સરસ રીતે પતાવી તેના દીકરા ને સારી હૉસ્પિટલમાં સારવાર માટે રાખ્યો પણ તેના નાના મગજમાં વાગી ગયું હતું તેથી સારા થવાની કોઈ શક્યતા જ નહોતી. તેની સારવાર પાછળ રમેશભાઈ એ ઘણા પૈસા વાપર્યા પણ પરિણામ શુન્ય. તેટલા વખતથી અમારી વચ્ચે દોસ્તી છે. આંખો માં આંસુ સાથે મહેન્દ્રસિંહ તેમના રૂમમાં સુવા ગયાં. અને આનંદકુમાર ને કહેતા ગયા કંઈ પણ અવાજ થાય તો પણ તમે બહાર ન આવતા હું બુમ પાડીને ન બોલાવું ત્યાં સુધી દરવાજો ન ખોલતાં. સુતા સુતા તેને રમેશભાઈ ના વિચાર આવતા હતા તેનું શું થયું હશે.
સમીર પણ મહેન્દ્રસિંહથી છુટા પડ્યા પછી ઘેર પહોંચી ને પહેલું કામ તેણે રમેશભાઈ ના એરિયાની આસપાસથી જેટલા પણ ફોન થયા હોય કે આવ્યા હોય તે બધા ની અઠવાડિયાની ફોન ડિટેઈલ તેના માણસ પાસે મંગાવી બીજા એક માણસ ને રાજ જે હૉસ્પિટલમાં હતો ત્યાં તેની સેફ્ટી માટે મોકલી દીધો જોકે બે હવાલદારો ને ત્યાં ગોઠવ્યા હતા પણ તે કોઈ પણ જાતની ગફલત માં રહેવા નહોતો માંગતો.
વહેલી સવારે સમીર રમેશભાઈના બંગલે પહોંચી ગયો. તે આખી રાત સૂઈ નહોતો શક્યો. આવો હિચકારો હુમલો આટલા વર્ષોની કારકિર્દીમાં પહેલી વાર જોયો હતો. તે બંગલે પહોચ્યો ત્યારે મહેન્દ્રસિંહ તેની ટીમ સાથે હાજર હતાં. મહેન્દ્રસિંહે પહેલાં તો સમીર ને એક રૂમ માં લઈ જઈને વિલની બધી વાતો કરી. અને કહ્યું વિજય ભાઈ નું તો કાર ઍકસિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે અને તેનો એકનો એક દીકરો પાગલ ખાનામાં છે. એક પાગલ ને વળી વિલ માં શું રસ પડે. છે આ મામલો મિલકત માટેનો છે પણ સમજાતું નથી કોણ આનો માલિક બનવા માંગે છે.
સમીરે રાતે ફોન ડિટેઈલ મંગાવી હતી તે લઈ ને માણસ આવી ગયો હતો. સમીરે અને મહેન્દ્રસિંહે આખી ફોન ડિટેઈલ ચેક કરી એમાં એક ફોન અઠવાડિયા પહેલાં આવેલ હોય તે અનનોન નંબર હતો તે નંબર ની ડિટેઈલ કઢાવી તો ખબર પડી કે આતો મુંબઈના મોટા રાજકારણીનો પર્સનલ નંબર હતો. મહેન્દ્રસિંહ અને સમીર વિચારવા લાગ્યાં સમીર ને મગજમાં એક વિચાર આવ્યો, તેણે દિનુકાકા પાસે બધા જુના આલ્બમ મંગાવ્યા થોડી વારમાં દિનુકાકા બધા આલ્બમ દઈ ગયાં. મહેન્દ્રસિંહ જેટલા ને ઓળખતા હતા તે બધા ની ઓળખ સમીર ને આપી રમેશભાઈ સાથે ઓળખાણ દસ વર્ષ પહેલા થઈ હતી તે પણ તેના ભાઈ ના ઍકસિડન્ટ ના સમાચાર લઈ આવ્યા હતા પછી અવારનવાર આવવાજવાનુ બનતું. રમેશભાઈ અને રંજનબેનના લાગણી ભર્યો સ્વભાવ ને હિસાબે નીકટતા વધતી ગઈ. અને ધીમે ધીમે એક ફેમીલી મેમ્બર જેવા રીલેશન થઈ ગયાં. એટલે તે પહેલાંના ફોટોગ્રાફને તે પણ નહોતા ઓળખી શકતા ફક્ત રમેશભાઈ એ પોતાની ફેમીલી હિસ્ટ્રી કહી હતી તે પ્રમાણે ધારી શકતા હતા. સમીરે મહેન્દ્રસિંહ પાસે રમેશભાઈના ભાઈના ઍકસિડન્ટની ફાઈલ મંગાવી. સમીરે ઍકસિડન્ટ ના ફોટોગ્રાફ ધ્યાન થી જોયા અને ઝીણવટથી જુના ફોટા ઓ અને ઍકસિડન્ટ ના ફોટા સરખાવી જોયા મોઢું તો ચગદાઈ ગયું હોવાથી બીજી કોઈ સાબિતી મળી આવે તે માટે ખુબ જ ઝીણવટથી જોયું તેમાં વિજય ભાઈના હાથમાં લાખુ હતું તેમણે ઍકસિડન્ટના ફોટા સાથે સરખાવી જોયું તો લાશના હાથમાં પણ લાખુ હતું આથી તે તો સાબિત થયું કે વિજયભાઈ તો હયાત નથી. તેણે બધા આલ્બમ જોઈ નાખ્યાં પણ વિજયભાઈ ના ફેમિલીનો એકપણ ફોટો જોવા ન મળ્યો, તેણે દિનુકાકા ને આ વિશે પૂછ્યું ત્યારે દિનુકાકા એ કહ્યું સાહેબ શું વાત કરુ દાદાજીને જ્યારે ખબર પડી કે મોટા શેઠે એક વેશ્યા સાથે લગ્ન કરી લીધાં છે ત્યારથી તેની સાથેના બધા સબંધો તોડી નાખ્યાં અને એ આઘાતમાં બેજ મહિનામાં મૃત્યુ પામ્યા. પછી ક્યારેય આ ઘરમાં તેનુ નામ નહોતું લેવાતું. નાના શેઠે તેની પાછળ બધી વિધિ કરી પણ કોઈ ને બોલાવ્યા નહોતા.
સમીરે મહેન્દ્રસિંહ ને કહ્યું કે હવે આનું પગેરું શોધવા મુંબઈ જવું પડશે. તમે અહીં બધું સંભાળો હું મુંબઈ જાવ છું,તમને કંઈ પણ સંશય લાગે તો મને જણાવતા રહેજો ,અને આનંદકુમાર અને રાજનુ ખાસ ધ્યાન રાખજો. હજી રમેશભાઈ નો કંઈ પત્તો નથી. આમાં રાજકારીણિયો સંડોવાયેલા છે તેથી ખુનીઓ બે લગામ છે. આપણી જવાબદારી વધી જશે. કહી સમીર પોતાની ટીમ ને લઈને મુંબઈ જવા રવાના થઈ ગયો. સમીર માટે આ કેસ બહુજ કોમ્પલીકેટેડ હતો. રાજકારણી સાથે પનારો પડવાનો છે આમાં પોતાના જાનનું જોખમ પણ હતું.
મુંબઈ પહોંચીને પહેલું કામ જે લોકેશન મળ્યું હતું તેની આજુબાજુમાં હોટેલ બુક કરાવી પોતાની સાથે આવેલી ટીમ ને એક ને નોકર તરીકે બંગલામાં એન્ટ્રી અપાવી દીધી. બીજા ને પાગલના વેશમાં બંગલાની આજુબાજુ ફરતો રહે તેવી ગોઠવણ કરી અને એક ને પોતાની સાથે રાખી ને લેપટોપમાં બંગલાની અંદર અને બહાર શું થઈ રહ્યું છે અને કોણ આવે છે અને જાય છે તેની માહિતી મળતી રહે. હવે રાજકારણી નો બાયોડેટા કાઢવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાજકારણીનું નામ કિશનકુમાર હતું તે પહેલાં મુંબઈનો નામચીન ગુંડો હતો, છોકરીઓની દલાલી તેનો મુખ્ય ધંધો હતો. વિજયભાઈ મુંબઈ આવ્યા પછી તેની કુટેવો ને કારણે કિશનકુમાર સાથે મેળાપ થયો હતો. એમાંની એક છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો અને બંને લગ્નગ્રંથી જોડાય ગયા. કિશનકુમાર આ વાતથી સહમત નહોતા. પણ એ બહાને વિજયભાઈ પાસેથી પૈસા પડાવતા રહેતા. થોડો સમય તો વિજયભાઈએ પૈસા આપ્યા પણ પછી આનાકાની કરવા લાગ્યા. વિજયભાઈ ને ત્યાં દીકરાનો જન્મ થયો વાસંતી ને બાળક નહોતું જોતું પણ વિજયભાઈની ઈચ્છાથી બાળકને જન્મ આપવો પડ્યો. બાળક ને જન્મ આપીને તે પાછી તેની દુનિયામાં જતી રહી. બાળકનો ઉછેર વિજયભાઈ એ એકલે હાથે કર્યો. વાસંતી દીકરાના મોહમાં પાછી વિજયભાઈ પાસે જતી રહેશે તો વાસંતીમાંથી કમાણી થતી હતી તે બંધ થઈ જશે. અને કિશનકુમારનુ મન થોડું થોડું વાસંતી પર હતું તેથી એક વાર મોકો જોઈને તેનો ઍકસિડન્ટ કરાવી નાખ્યો. પણ તેમાં દીકરાનો બચાવ થઈ ગયો જે અત્યારે પાગલખાનામાં છે. ધીમે ધીમે કિશનકુમારની શાખ વધતી ગઈ. અને રાજકારણમાં તે એટલા આગળ આવી ગયા હતા કે અત્યારે એમએલએ ના પદ પર હતા.
મહેન્દ્રસિંહે વિજયભાઈનો દીકરો જે પાગલખાનામા હતો ત્યાં તેના વિશે તપાસ કરવા એક ટીમ મોકલી દીધી. ત્યાં તપાસ કરતાં ખબર પડી કે એક લેડી છેલ્લા છ મહિનાથી સતત આવતી રહે છે અને ડૉકટર ને વિનવણી કરે છે કે મારા દીકરા ને ગમે તેમ કરીને સાજો કરી દો તમને જોઈએ તેટલા પૈસા આપવા તૈયાર છું. ડૉકટર ને પણ નથી સમજાતું કે આટલા વર્ષે આ માનો પ્રેમ એકાએક કેમ ઉમટી આવ્યો. મહેન્દ્રસિંહ સમીર સાથે સતત કોન્ટેક્ટમાં હતા. સમીરની સામે ધીમે ધીમે સોલ્યુશન આવવા લાગ્યું હતું. પણ પિકચર હજી ક્લિયર નહોતું. એકવાર રમેશભાઈનો પત્તો લાગી જાય પછી આખી વાત નો તોડ મળે તેમ હતો. મુંબઈ પોલીસની મદદ સમીરે જાણી જોઈને ન લીધી કદાચ પોલીસ પણ કિશનકુમાર સાથે મળેલી હોય તો. સમીર સતત કિશનકુમાર ના બંગલાની ઝીણવટથી નજર રાખી રહ્યો હતો તેમણે બે થી ત્રણ વાર કિશનકુમાર ને બંગલાની પાછળ જતાં જોયા હતા. તેણે તરત તેના માણસને જે બંગલામાં નોકર તરીકે હતો તેને ઈન્ફોર્મેશન આપી અને બંગલા પાછળ શું ચાલી રહ્યું છે તેની માહિતી ભેગી કરવા કહ્યું. તેના માણસનો તરતજ જવાબ આવ્યો તેણે કહ્યું ત્યાં સતત ચોકીપહેરો છે અને કિશનકુમાર સીવાય ત્યાં કોઈને જવાની પરવાનગી નથી. તેણે બંગલા ની ફરતે એક માણસને પાગલ તરીકે ગોઠવ્યો હતો તેમને કહ્યું ગમે તેમ કરીને બંગલાના પાછળના દરવાજે જા અને અંદર જવાની કોશિશ કર અને ત્યાંની સિચ્યુએશન મને જણાવ. તરત જ તેનો માણસ પાછળની તરફ ગયો અને એક બાજુ ગાંડા કાઢતો બેઠો રહ્યો પાછળ ચોકીદાર ઊભો હોય તેણે ગાંડો સમજી ત્યાં બેસવા દીધો. બંગલાનું માર્કીગ કર્યું તો ત્યાં સી સી ટીવી કેમેરા લાગેલા હતા તે વાત સમીર ને જણાવી સમીરે બંગલાની અંદર રહેલા માણસ ને ગમે તેમ કરીને સીસીટીવી કેમેરા બંધ કરવાનું કહ્યું જેવાં સીસીટીવી કેમેરા બંધ થવાનું સિગ્નલ મળ્યું કે તરતજ ગાર્ડ ને બેભાન કરી તે અંદર દાખલ થયો એક રૂમમાં રમેશભાઈ બંધાયેલી હાલતમાં હતા, તેમણે સમીર ને તરત જણાવ્યું સમીર તરતજ ગાડી લઈ બંગલાના પાછળના ભાગમાં પહોંચી ગયો. રસ્તો સાવ સાફ હતો બધા ગાર્ડ એક રૂમમાં બેસી ને જમતાં હતા તેનો દરવાજો ધીમેથી બહારથી બંધ કરી દીધો અને રમેશભાઈ ને છોડાવી પાંચ મિનિટમાં તો સમીરની ગાડીમાં બેસી રવાના થઈ ગયા.
હોટલે પહોંચી ને સમીરે મહેન્દ્રસિંહ ને જણાવી દીધું. મહેન્દ્રસિંહ તરતજ ફ્લાઈટ પકડી મુંબઈ આવવા રવાના થઈ ગયા સમીરે ત્યાં સુધી રમેશભાઈ ને આરામ કરવા દીધો. સતત ટોર્ચર થવાથી રમેશભાઈની માનસિક હાલત સાવ કથળી ગઈ હતી. સાંજ સુધીમાં મહેન્દ્રસિંહ પહોંચી ગયા તેમણે પણ તેજ હોટલમાં રૂમ બુક કરાવ્યો. પોતાનો સામાન રૂમમાં મુકી ને સીધા સમીરના રૂમમાં ગયાં. મહેન્દ્રસિંહ ને જોઈને રમેશભાઈના આંસુઓના બધા બંધ ખુલ્લી ગયાં અને તેને વળગી ને ખુબ રડ્યા. છોકરાઓની લાશો જોઈને જડ થયેલા મગજમાં ચેતનાનો સંચાર થયો. તેની સાથે શું શું બન્યું હતું તે કહેવા લાગ્યા સમીરે બધું રેકોર્ડ કરી લીધું. સમીર પાસે કિશનકુમારની ઐયાસી ના બધા વિડીયો હતા તે બધું મહેન્દ્રસિંહને જણાવ્યું.
રમેશભાઈના કહેવા પ્રમાણે કિશનકુમારને ગમે ત્યાંથી જાણ થઈ ગઈ હતી કે તેમના પિતાએ વિજયભાઈના પુત્ર માટે મિલકત રાખી છે તે જ્યારે એકવીશ વર્ષ નો થાય ત્યારે તેને દેવાનું બધું મને સોંપતા ગયા હતા. તે જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે મને તેના વિશે કંઈ પણ માહિતી નહોતી તે એક રાજકારણી તરીકે એક ઓપનિંગમાં આવ્યા હતા મને ત્યાં ભેગા થયા ત્યારે મારે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું તો સહર્ષ સ્વીકારી લીધું, મારે ઘેર આવ્યા દીકરા દીકરીઓ વીશે પૂછ્યું મે તેમના બધા વિશે જણાવ્યું. તે ત્યારે તો જતાં રહ્યા પણ પંદર દિવસ પહેલાં પાછા આવ્યા હતા ત્યારે મને તેના સાચા રુપ નું ભાન થયું. પાંચ છ બોડીગાર્ડ ને સાથે લાવ્યા હતા અને કહ્યું હતું અઠવાડિયા પછી મારા માણસો આવશે ત્યારે તમારી બધી મિલકત વિજયભાઈના પુત્રના નામની કરી બધાની સાઈન સાથે બધા કાગળો તૈયાર જોશે, નહીં તો બીજે દિવસે બધાની લાશ જોવા મળશે. તે દિવસે મારી પાસેથી વિજયભાઈના પુત્રના કાગળો ધાકધમકી આપી લઈ ગયાં. હું ઘણો કરગર્યો પગે પડ્યો. મારી બધી સંપત્તિ આપી દઈશ પણ મારા બાળકો ને કંઈ ન કરતાં. જોયું જશે કહી મને હડસેલો મારી ને નીકળી ગયાં અને જતાં જતાં કહેતાં ગયાં જો બીજા કોઈ ને આ વાત ની જાણ કરી છે અઠવાડિયા પહેલાં જ પતાવી દઈશ, કોઈની લાશ શોધે ય નહીં જડે. એટલે મહેન્દ્રસિંહ ને પણ આ વાતની જાણ નહોતી કરી. અને મે તેને વાત કરતાં સાંભળ્યા હતા કે ચુટણી પહેલાં આ મિલકતનો જમેલો નિપટાવી લેવો છે અત્યારે સત્તા પર છું ત્યાં સુધી મારો રોફ રહેશે, એકવાર એ પાગલના નામની બધી મિલકત થઈ જાય પછી ગમે તેમ કરીને ડૉકટર પાસે ખોટું સર્ટીફીકેટ લખાવી લેશું એટલે બધી મિલકતના માલિક આપણે બની જશું આખર આપણે પતિ પત્ની છીએ. રમેશભાઈ ને ત્યાં એકપણ સબુત ને જીવતા નથી રાખ્યાં અને રમેશભાઈ આપણી પાસે છે તેથી આંતકવાદી હુમલો સમજીને અત્યારે બધા તેના ઈન્વેસ્ટીગેશનમાં પડ્યાં હશે. રમેશભાઈ એકધારું એટલું બોલી ને થાકી ગયાં સમીરે તેને પાણી પાયું. રમેશભાઈ એ કહ્યું બહું જ જાલીમ લોકો છે. તે લોકોમાં દયા માયા જેવુ કંઈ નથી તેઓ મને પણ મારી નાખત પણ વિલના કાગળો મળ્યાં નહીં તેથી અહીં ગોંધી રાખ્યો હતો. મારા બંગલેથી પોલીસ પહેરો ઊઠી જાય તેની તેઓ રાહ જોઈને બેઠા છે.
કિશનકુમાર ના બંગલામાંથી રમેશભાઈ ને કોઈ છોડાવી ગયું છે તે સમાચાર કિશનકુમાર ને મળ્યાં ત્યારે તે તો ધુવાફુવા થઈ ગયાં, તેનું શેતાની મગજ તરતજ દોડવા લાગ્યું. તેણે તેના માણસો ને શોધખોળ માટે મોકલી દીધાં. હોટલમાં સમીરે તેને છૂપાવી ને જ રાખ્યાં હતાં તેને હોટલની અંદર બુરખો પહેરાવીને લાવ્યાં હતાં. થોડી વાર પછી તેનો જ માણસ બહાર નીકળ્યો, તેથી હોટેલના મેનેજર ને કોઈ શક ન જાય. હોટલમાં પણ પૂછવા આવ્યા હતા, મેનેજરે બહારથી જ કહ્યું કે મે જોયા નથી તેથી હાલ પુરતી મુસીબત ટળી ગઈ. મહેન્દ્રસિંહે ત્યાંના એસ પી ને ફોન કર્યો અને પોતાની ઓળખાણ આપી ને જણાવ્યું કે હું એક કેસ સોલ્વ કરવા આવ્યો છું, એમાં તમારી મદદની જરૂર છે માટે મળવા માંગુ છું તો આપણે તમે કહો ત્યાં મળીએ અને આ વાતની કોઈને જાણ ન થવી જોઈએ. એસપી રાજેશભાઈ ને થયું કે નક્કી કોઈ ગંભીર વાત હોવી જોઈએ. ભલે મળીએ કહી તેણે કોફી શોપ નું એડ્રેસ આપ્યું. મહેન્દ્રસિંહની સાથે એક માણસને સમીરે મોકલ્યો જેથી મહેન્દ્રસિંહ પર કંઈ પણ આફત આવે તો તેને બચાવી શકાય. બંને જુદા જુદા નિકળ્યા અને જુદી જુદી ટેક્ષી કરીને કોફીશોપમાં પહોંચી ગયાં. એસપી રાજેશભાઈ પહેલાં પહોંચી ને ગોઠવાઈ ગયા હતાં મહેન્દ્રસિંહ તેમની સામે ગોઠવાઈ ગયાં અને સમીર ના માણસે રાજેશભાઈની પાછળ ની સીટ પર પોતાનું સ્થાન લીધું મહેન્દ્રસિંહે ધીમે ધીમે કિશનકુમાર ના એક પછી એક પન્ના રાજેશભાઈ સામે ખોલવા માંડ્યા અને રાજેશભાઈ ના હાવભાવનું અવલોકન કરતાં હતા જેમ જેમ મહેન્દ્રસિંહની વાત સાંભળતા જતા હતા તેમ તેની મગજની નસો તંગ થતી હતી. આથી મહેન્દ્રસિંહ ને થોડી ધરપત થઈ. રાજેશભાઈ એ કહ્યું કે આવા શેતાન ને છુટ્ટો ફરવા ન દેવાય હું મારી પુરી પોલીસ પાર્ટી ને લઈને તમારી સાથે આવું છું. તેની ધરપકડ માટે આટલા એવીડન્સ ઇનફ છે, હું ધરપકડનુ વોરંટ લઈને નીકળું છું. મહેન્દ્રસિંહ તો ખુશ થઈ ગયા આટલી સહજતાથી એસપી માની જશે તેવું નહોતું માન્યું. કદાચ કિશનકુમારની ગુંડાગર્દીથી તે પણ કંટાળી ગયા હશે. મનોમન સમીર ને પણ શાબાશી આપી અને હોટલમાંથી સમીરને લઈને કિશનકુમારના બંગલાની સામે પહોંચી ગયાં. થોડીવારમાં રાજેશભાઈ પણ પુરી પોલીસની ફોજ લઈને પહોંચી ગયાં. બંને એ કિશનકુમારની ધરપકડનું વોરંટ દેખાડ્યું તેથી ગાર્ડે તરતજ ખસી જઈને અંદર જવા દીધા. એક સાથે આટલા પોલીસ સાથે ડીએસપી અને એસપી કિશનકુમારની સામે ઊભા રહી ગયાં. કિશનકુમાર ને કંઈ પણ બોલવાનો કે ભાગવાનો મોકો ન મળ્યો, કિશનકુમારની ધરપકડ કરી લીધી. સાથે વાસંતી અને બીજા બધા ગુંડા તત્વોની ધરપકડ કરી લીધી.
મહેન્દ્રસિંહ અને સમીર રમેશભાઈને લઈને અમદાવાદ પહોંચ્યા, ત્યાં તેને તેના જમાઈ સાથે અને પૌત્રની સાથે મેળાપ કરાવ્યો. ત્રણેય જણા એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. અને મન હળવું કર્યું.
