જજનું જજમેન્ટ
જજનું જજમેન્ટ
જજ સાહેબ સુબોધભાઈએ ફેંસલો સંભળાવ્યો કે આરોપી બેકસૂર છે. તેને છોડી મૂકવામાં આવે. આ ફેસલો સંભળાવતા તેની આંખમાં પાણી આવી ગયા. આટલા વર્ષોમાં પહેલીવાર તેને તેના આપેલા ચુકાદા પર ગુસ્સો આવતો હતો. ચુકાદો આપતી વખતે આરોપીની આંખો જોતાં જ તેને ખ્યાલ આવી ગયો હતો કે આરોપી ગુનેગાર છે. છતાં આરોપી વિરુદ્ધ એકપણ સ્ટેટમેન્ટ નહોતા અને મરનાર પત્નીએ ડાયઇંગ ડીકલેરેશનમાં લખાવ્યું હતું કે મારા તથા મારા છોકરાઓનાં દાઝી જવામાં મારા પતિનો હાથ નથી. આગ મારી ભૂલ ને હિસાબે લાગી હતી. આવા નિવેદનને આધારે આરોપી ને બેકસૂર જાહેર કરવો પડયો હતો.
ઘરે આવી ને પણ સુબોધ ભાઈને ચેન નહોતું પડતું. તેમના મનમાંથી આ વાત જતી નહોતી તેની આખો સામે મરનાર જાનકીબેનના માતા પિતા અને લાચાર ભાઈનો ચહેરો આવ્યા કરતો હતો. અને તેના પતિનું ખંધુ હાસ્ય આવતું હતું. સુબોધ ભાઈની દીકરી મીતાએ ઘરે આવીને જોયું કે તેના પપ્પા બાલ્કનીમાં ગુમસુમ કંઈક વિચારમાં બેઠા છે તે પિતા પાસે ગઈ અને બાજુમાં બેસીને તેના પપ્પાને દુઃખી થવાનું કારણ પૂછ્યું. સુબોધ ભાઈએ કહ્યું બેટા મારાથી આજે ખોટો ચુકાદો અપાયો છે તેનું મને પારાવાર દુઃખ છે. ગુનેગારની આંખો જ કહી દેતી હતી કે તે ગુનેગાર છે. છતા મારે તેને છોડવો પડ્યો.જ્યાં સુધી તેને સજા નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં મળે.
મીતા હાઈકોર્ટમાં વકીલ હતી તેણે કહ્યું પપ્પા મને આખો કેસ સમજાવો. એવું લાગશે તો આપણે કેસ હાઈકોર્ટમાં દાખલ કરશું. સુબોધ ભાઈએ કહ્યું કે મરનાર જાનકીબેનના પિયરમાં માતા પિતા અને એક ભાઈ છે. સાવ સામાન્ય સ્થિતિમાં ઉછરેલા જાનકીબેનના લગ્ન એક પૈસે ટકે સુખી એવા કુટુંબમાં થયા ગરીબ ઘરની દીકરી લેવાનું કારણ તેમનો દીકરો આઉટલાઈનનો હતો જાનકીબેનના શરૂઆતના દિવસો તો સારા રહ્યા પછી ધીમે ધીમે પતિ દેવે પોતાનું પોત પ્રકાશ્યુ. રોજ દારૂ પીને આવવું પત્ની ને માર મારવો બધું સામાન્ય થઈ ગયું. જાનકીબેન ને આવા અમાનુષી વાતાવરણ વચ્ચે સમયાંતરે ત્રણ દીકરીઓ થઈ. દીકરીઓનુ જન્મવું બળતામાં ઘી હોમવા જેવું થયું. હવે તો પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષની દીકરીને પણ માર મારતા નહોતો અચકાતો. આજુબાજુ વાળા તેની ગુંડાગર્દી થી ડરતા તેથી કોઈ બચાવવા પણ નહોતું આવતું. નાની બાળકી તો છ મહિનાની જ હતી. એક દિવસ દારૂના નશામાં એક કેરોસીનનો ડબ્બો લાવી દરવાજામાંથી જ અંદર રેડી દઈ આગ ચાંપી દીધી. મા દીકરીઓ અંદર જ હતી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નહોતો, નાની બાળકી ઘોડિયામાં સુતી હતી તેતો ઘોડિયા સાથે બળીને ખાખ થઈ ગઈ. ખોટેખોટો બાજુમાંથી બધાને બોલાવી લાવ્યો અને આગ ઠારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. માં દીકરીઓને આગમાંથી બહાર કાઢી ત્યારે દીકરી ઓ તો નેવું ટકા દાજી ગઈ હતી તેતો હૉસ્પિટલ પહોચતા પહેલાં જ મૃત્યુ પામી જાનકીબેન ને હૉસ્પિટલમાં પહોચાડી ને સારવાર શરૂ કરી. જાનકીબેનનું પોલીસે નિવેદન લીધું તો તેણે નિવેદનમાં તેમના પતિ નિર્દોષ છે તેવું લખાવ્યું. અને બે દિવસની યાતના ભોગવી જાનકી બેને પણ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. જાનકીબેનના માતા પિતા અને ભાઈની વાત સાંભળી મને એમ થાય છે કે આવા અત્યાચારી ને સજા તો થવી જ જોઈએ.
મીતા એ આખો કેસ સમજી લીધો પછી જાનકી બેનના માતા પિતા તથા ભાઈને કહ્યું કે હું આ કેસ હાઈકોર્ટ માં લડવા માગું છું. તમે ફક્ત રજા આપો. કેસ હું જ લડીશ અને તેનો જે પણ કંઈ ખર્ચો થાશે તે બધો હું ભોગવીશ. જાનકીબેનના માતા પિતા તો રડવા લાગ્યા અને મીતાને આશીર્વાદ આપવા લાગ્યાં. મીતાના મિત્ર ડી.એસ.પી હતા તેને આખો કેસ સંભળાવ્યો તે પણ તેની મદદ કરવા તૈયાર થઈ ગયા.
મીતાએ હાઈકોર્ટ માં કેસ દર્જ કર્યો. અને કેસને લગતી નાનામાં નાની વિગતો એકઠી કરવા લાગી, રિતેશ ના આજુબાજુ વાળા રિતેશ વિરુદ્ધ બયાન દેતા બીતા હતા. બધા નો એક જ જવાબ હતો કે અમે કંઈ જાણતા નથી અમે તો અમારા ઘરમાં હતા. મીતા એ મિત્ર નો સાથ લઈ આજુબાજુ છૂપી પોલીસ ગોઠવી દીધી. અને એક ને તો રિતેશનો મિત્ર બનાવી દીધો. સવાર સાંજ રિતેશ સાથે રહે. તેની સાથે બેસી ને દારૂ પીવે અને જુદી જુદી વાતો કરીને તાગ મેળવવાની કોશિશ કરે. એકવાર દારૂના નશામાં જાનકીબેનને કેવી રીતે મારી નાખ્યાં તે બોલવા લાગ્યો પોલીસે બધું ટેપ કરી લીધું. અને મીતા બહેન ને રેકોર્ડિંગ ફોરવર્ડ કરી દીધું. મીતા એ કેસના હિયરિંગ માં રેકોર્ડિંગ રજૂ કર્યું. એમાં રિતેશે ચોખ્ખું કહ્યું હતું કે કેવી રીતે દારૂના નશામાં આગ લગાવી હતી. અને જાનકીબેનને ધમકી આપી હતી કે જો મારી વિરુદ્ધ નિવેદન આપીશ તો તારા માતા પિતા અને ભાઈની પણ તારા જેવી હાલત કરીશ આથી જાનકીબેને ડરના માર્યાં ખોટું બયાન આપ્યું હતું તેથી તે નિર્દોષ છૂટી ગયો હતો.
જજે રિતેશ ને આવા હિચકારૂ કૃત્ય કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી. જાનકીબેનના માતા પિતા અને ભાઈ તો મીતા તથા સુબોધ ભાઈના પગમાં પડી આભાર માનવા લાગ્યા. અને સુબોધ ભાઈએ પણ હર્ષોલ્લાસથી દીકરીનું કપાળ ચુમી લીધું અને કહ્યું બેટા તે મને એક પાપમાંથી ઉગારી લીધો.