રાતોરાત
રાતોરાત
ખંડેર બનવા તરફ ધસી રહેલી ભવ્ય હવેલીના ઘસાયેલાં તૈલચિત્રોવાળી દીવાલોવાળા દરબારખંડમાં ગાદી તકિયે બેઠેલાં બાસાહેબ ગુસ્સામાં બોલી રહ્યાં હતાં.
“તખતસિંહ, પૂરાણી હવેલી બુઢા લોકો જેવી હોય જેણે બહુ બધું જોયું હોય, સાંભળ્યું હોય, રહસ્ય ખબર હોય પણ ક્યારેય બોલે નહીં. તમે મોટા રાજાસાહેબના કુંવર ન હોત તો ક્યારના જેલભેગા કરી દીધા હોત. દગો કરીને રિયાસત અને આ હવેલી તમે પોતાના નામે કરાવી લીધી ? આપણા રાજઘરાનાની આબરુ પર બટ્ટો લગાડીને હજી કડક ચાલે અહીં આવીને રૂઆબ કરો છો એ યોગ્ય નથી.”
“કાકીસાહેબ તમે હવે બુઢ્ઢાં થયાં. તમારી ઉંમરનો મલાજો જાળવીને જ આમ તમારી સામે ઊભો છું. નહીંતર તો ધક્કા મરાવીને હવેલીની બહાર કાઢી મુકત. તમે હવે સમજીને રિયાસત અને ગાદી ન આપો તો મારે શું કરવું ? તમારી ઉંમર થઈ. હવે આ રાજકાજ તમારાથી સંભાળાય નહીં એટલે મેં તો પરોપકાર કર્યો કહેવાય. તમે હવે આશ્રમમાં પ્રભુભક્તિ કરીને જિંદગી વિતાવો.”
“તારા મેલા વિચાર મને ખબર છે તખતસિંહ. હવેલીમાં કે પ્રજાના કામમાં તને કોઈ રસ નથી. આટલાં વર્ષોથી આ ભૂતિયા ખંડેર હવેલીમાં હું એકલી રહું છું તે આજ અચાનક તને કેમ મારી અને પ્રજાની ફિકર થઈ આવી ? પણ હું જાણું છું કે જ્યારથી પેલા રાજજ્યોતિષે અહીં હવેલીનાં આંગણામાં આવેલા લીમડાના ઝાડ નીચે સોનામહોરો ભરી ભરીને ચરુ પડ્યા છે ની વાત કરી છે ત્યારની તારી દાનત બગડી છે.”
“ના ના કાકીસાહેબ મારે કોઈ ધનદોલત નથી જોઈતાં. મારે તો એ મુડીમાંથી પ્રજાની સેવા કરવી છે. હવે મારા આ ઉત્તમ વિચારને તમે ગેરસમજણથી જુઓ તો હું શું કરું ?”
અને બાસાહેબ માત્ર યાદો અકબંધ લઈને રવાનાં થયાં.
તખતસિંહે આખું આંગણું ખોદાવી નાખ્યું. પણ ક્યાંય પેલા સોનામહોરો ભરેલા ચરુ મળ્યા નહીં. બહુ ગુસ્સો આવ્યો. “આ ભેંકાર હવેલી માથે પડી. અને પ્રજા લોહી પી જાય છે એ અલગ.”
બાસાહેબ આશ્રમના પાછળના ભાગમાં આવેલા બગીચામાં કૂવા નીચેથી કાઢેલી સુરંગ જે સીધી હવેલીના આંગણામાં નીકળતી હતી એના દ્વારા રાતોરાત ખજાનો આશ્રમમાં ફેરવીને આરામથી ગાદી તકિયે બિરાજ્યાં હતાં.