પુનર્જન્મ
પુનર્જન્મ
આજ ફરી એક અસ્થિકળશ આવ્યો છે. હે રામ ! ફરી એક શહીદ ?
શું વાત કરું મારી વેદનાની ! મારી પાસે મારા ખળ ખળ ખળ ખળ વહેતા પાણીના પ્રચંડ અવાજ સિવાય શબ્દો નથી એટલે દેવથી માંડીને માનવ સુધી દરેક જણે મારો ભરપૂર દુરોપયોગ કરી લીધો છે.
હું સ્વર્ગમાં વસતી ત્યારે મારી અનુમતિ કે ઈચ્છા જાણ્યા પૂછ્યા વગર મને યુગો પહેલાં સ્વર્ગથી પૃથ્વી પર ઉતારી. ત્યારબાદ તો માનવજાતે મારી પવિત્રતાને પળ પળ અપવિત્ર કરી છે. ખેર ! મારી વાત નથી કરવી. આ વાત ઈતિહાસના એક પાત્રની છે.
પણ આ સ્વાતંત્ર્યની લડાઈએ અગણિત વીરબહાદૂરોનો ભોગ લીધો. દર બે ચાર દિવસે બ્રિટીશ કંપની સામે બળવામાં માર્યા ગયેલા શહીદનાં અસ્થિ હું વહાવીને એને સ્વર્ગારોહણ કરાવું છું. પણ.. આજે ? આજે માનવતા પરવારી જ ગઈ જાણે. એ અહિંસક લડાઈ લડતો માનવ, પોરબંદરનો વકીલ, માતૃભૂમિ માટે એકલે હાથે, કોઈ શસ્ત્ર વગર, પોતડી પહેરીને આખી બ્રિટીશ સલ્તનતને એકલે હાથે હંફાવીને હાંકી કાઢનાર વીરલાને પ્રાર્થનાસભા દરમ્યાન કોઈ શેતાન વિંધી ગયો.
બસ, મેં ફરી એક અસ્થિકળશને મારામાં વિસામો આપ્યો છે. પણ આજે એક પ્રાર્થના પ્રભુને કરી છે કે, “આવા મુઠ્ઠી ઉંચેરા માનવને ફરી ફરી વધુ સશક્ત બનાવીને જગકલ્યાણાર્થે જરુર જન્મ આપજે.”