પત્ર મધર ટેરેસાને
પત્ર મધર ટેરેસાને
વાત્સલ્યમૂર્તિ મા,
ચરણસ્પર્શ. જગત આખુ જેને મધર ટેરેસા તરીકે ઓળખે છે. તે વાત્સલ્યમૂર્તિ માને ચાહતના પ્રણામ.
" મા " આપના નામ સાથે જ આપનો કરુણાસભર ચહેરો નજર આવે છે. આજે હું આપને પત્ર લખુ છું. કારણકે આજે વિષય હતો " આખરી ગુલાબ " આ વિષય જોતાં જ "મા " તમે મને યાદ આવી ગયા.
આપનું મૂળ નામ જે ભાગ્યે જ કોઈને ખબર હશે, તે આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહીયુ છે. આપના નામમાં ગોનએક્સહેનો અર્થ ગુલાબની કળી થાય છે. અને આપનું જીવન ગુલાબની કળી જેવું જ સુંદર છે.
આપનું જીવન પણ ગુલાબની કળીની જેમ જ સમાજની વચ્ચે સુગંધિત બનેલ છે.
ભારતીય નાગરિકત્વ ધરાવતા આપ એક અલબેનિયમ રોમન કેથલિક સાધ્વી હતાં. વર્ષ 1929 માં આપના પાવન પગલાં સંતોની ભૂમિ એવી પવિત્ર ભૂમિ ભારત પર થયા હતાં.
શાંતિના દૂત અને માનવતાની પ્રતિકૃતિ એવા મધરટેરેસા આપ કરુણામયી અને દયામયી " મા " છો.
આપનો જન્મ 26ઓગસ્ટ, પણ આપ પોતાનો જન્મદિવસ 27ઓગસ્ટ ગણાવો છો. કારણકે આપને આ દિવસે દીક્ષા મળી હતી. સેન્ટ મેરીઝ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, પણ શિક્ષણકાર્યને તિલાંજલિ આપી, સેવાકાર્યને અપનાવ્યું.
સતત પિસ્તાલીસ વર્ષ સુધી તમે ગરીબ, માંદા, અનાથ, દિનદુઃખીયા, મરણપથારીએ પડેલા લોકોની સેવા કરી. ગરીબોને અન્નદાન, દર્દીઓને માટે દવાખાના, બાળકો માટે શાળાઓ, રક્તપિતના દર્દીને આશ્રયસ્થાન જેવી અનેક પ્રવૃતિઓ કરી.1950માં ' મિશનરીઝ ઓફ ચેરિટી ' નામની સંસ્થાની સ્થાપના કરી.
આપને 1979માં શાંતિ માટેનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું.1980માં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્ન અર્પણ કરવામાં આવ્યો.
દિનદુઃખીયા, રક્તપિતના દર્દીઓ જેને કુટુંબીજનો, સમાજ સૌએ તરછોડી દીધા હોય. તેમની "મા " બની, તેમની કાળજીલીધી, સારવાર કરી. જ્યારે કોઈ આપણું પોતાનું હોય, તો પણ 45 વર્ષ સારવાર ના કરી શકીએ. પણ આપના વાત્સલ્ય અને સ્નેહથી તમે સૌને નવજીવન અર્પિત કર્યું.
આપનું જીવન અમારી સૌને માટે ખુબ પ્રેરણાદાયક છે. આપે ભલે 5 સપ્ટેમ્બર 1997ના રોજ ચિરવિદાય લીધી, પણ આપ હજુ પણ અમારા હૃદયમાં જીવંત છો. આપ હજુ પણ અમારા સૌની વચ્ચે જ છો.
બસ જગતમાંથી કરુણા અને માનવતારૂપી ઝરણાં કદી સુકાય નહિ તેવી પ્રભુને પ્રાર્થના. અમે સૌ આપના આ ઉમદા સેવાકાર્યને આગળ ધપાવશું.
લિ.
આપની ચાહક
ચાહતના પ્રણામ.
