બગલો અને મીની માછલી
બગલો અને મીની માછલી
ઘણા વરસ પહેલાની આ વાત છે. નીલકમલ નામનું એક સુંદર સરોવર હતું. સરોવરમાં ઘણાબધા જલચર જીવ રહેતા હતાં. અવારનવાર સુંદર રંગબેરંગી પક્ષીઓ પણ આવતા રહેતા હતાં. સરોવર કિનારે આવનાર દરેક કંઈક ને કંઈક ગંદકી કર્યા જ કરતા હતાં. થોડાક સમયમાં સુંદર સરોવર ગંદકી ભર્યું બની ગયું. આ સરોવરમાં એક બગલો પણ રહેતો હતો.એને સ્વછતા ખુબ ગમતી હતી. એ બધા પ્રાણીઓને સલાહ આપ્યા કરતો, પણ કોઈ તેની વાતો માનતું જ નહિ.
એક દિવસ તે ઉદાસ બનીને સરોવરમાં ઊભો હતો, ત્યાં મીની માછલી તેની પાસે આવી, "બગલાભાઈ.. બગલાભાઈ, તમે કેમ ઉદાસ છો ?"
બગલો તો દરરોજ ભૂખ લાગે એટલે માછલી પકડીને ખાઈ જતો, પણ... આ માછલીની નિર્ભયતા જોઈને તેને ખુબ નવાઈ લાગી !
"એ... ય નાનકડી માછલી.. દૂર રહેજે. હું તને ખાઈ જઈશ."
"ભલેને.. જો તમને એનાથી ખુશી મળતી હોય, તો મને ખાઈ જજો. પણ પહેલા એકવાર તમારી ઉદાસીનું કારણ તો કહો."
બગલો મીની માછલીને બધી વાતો કરે છે. બંને સાથે મળીને એક પ્લાન બનાવે છે.
***
બે ત્રણ દિવસ પછી બધા જલચર જીવ અને સરોવર કિનારે રહેતા પક્ષીઓના બચ્ચા બીમાર પડી ગયા. બધા બચ્ચા પેટમાં દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા. કેટલાક તો બેભાન પણ બની ગયા. તરત જ જંગલના ડોક્ટર હાથીભાઈને બોલાવવામાં આવ્યા. હાથીભાઈએ રોગચાળો ફેલાયો છે. અને જો હવે સરોવરની ગંદકી દૂર નહિ થાય, તો બચ્ચા મરી પણ જશે.
પોતાના બાળકોના આરોગ્ય માટે બધા સાથે મળીને સરોવર સ્વચ્છ બનાવે છે. હવેથી ગંદકી કરનાર સામે સજા રૂપે એક દિવસ સૌ કોઈ તેની સાથે અબોલા લે, તેવી સજા નક્કી થઈ ગઈ.
બધા રમતા હોય અને કોઈ એક વ્યક્તિ સાથે બધા અબોલા લ્યે એ કોઈને ના ગમે. આથી સરોવરમાં કે તેને કિનારે કોઈ ગંદકી કરતું નહિ. સરોવર સ્વચ્છ અને સુંદર બની ગયુ. બીમાર પડવાનું નાટક કરવા બદલ ડોક્ટર હાથી સૌને પોતાના પર બેસાડી ફેરવે છે. અને સૌને મીઠા તાજા ફળ પણ આપે છે.
