પ્રિયેને પત્ર
પ્રિયેને પત્ર
પ્રિયે
હું તારું નામ નહીં લખું કારણકે કોઈએ કહ્યું છે ને કે," નામ તેનો નાશ હોય છે" અને તારા વગર તો હું કેમ રહી શકું ? કારણ કે તું મારા હર પલનો સાથી છે. સુખમાં કે દુઃખમાં તે હંમેશા મને સાથ આપ્યો છે. દુ:ખમાં તે મને હૂંફ આપી છે તો સુખમાં મને વધુ આનંદ આપ્યો છે. જ્યારે પણ હું થાકીને લોથ-પોથ થઈ ગઈ હોવ ત્યારે તારી સુગંધ અને તારો સ્પર્શ મારામાં નવી ચેતના જગાવે છે. તેથી ફરી જોશ ભેર હું મારું કામ કરી શકું છું.
આ બધું તો ઠીક પણ જ્યારે આકાશમાં જેમ જેમ વાદળો ઘેરાય છે તેમ તેમ મારું મન તારી તરફ ખેંચાય છે. એ જ વાદળો જ્યારે અનરાધા વરસવાનું શરૂ કરે છે પછી તો તારો વિરહ મારાથી જરા પણ નથી સહેવાતો. હું ગમે ત્યાં હોવ ત્યાંથી એમ થાય કે જલ્દીથી તારી પાસે આવું અને તારી સાથે આંગણામાં આવેલાં હિંચકા પર બેસી આપણે બંને આ વરસાદી વાતાવરણની મજા માણીએ.
આમ તો મને તારી પર પ્રેમ છે જ પરંતુ આ વરસતા વરસાદમાં તો તારી પરનો મારો પ્રેમ છલકાય જાય છે. મારાં પરિવારને પણ તારી પ્રત્યેનાં મારાં આ પ્રેમની જાણ છે એટલે જ તો વરસાદમાં જ્યારે આપણે બંને હિંચકા પર હોઈએ છીએ ત્યારે આપણે એકબીજાનું સાંનિધ્ય શાંતિથી માણી શકીએ તે માટે આપણને એકલતા આપે છે. તું મને પ્રેમ કરે છે કે નહીં એ તો હું નથી જાણતી, પણ હું તો જેમ મીરાંબાઈ કૃષ્ણની દીવાની હતી તેમ તારી દીવાની છું. હજુ મારે તને ઘણું કહેવું છે પણ પછી આ પત્ર બહું લાંબો થઈ જશે તો આ ડીજીટલ યુગમાં તને આ વાંચવાનો કંટાળો આવશે માટે અનિચ્છાએ પણ મારે આ પત્રને પૂર્ણવિરામ આપવો પડશે.
લિ.તારા પ્રેમમાં દિવાની એવી હું મારા પ્રિય કોફીના કપ.