મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.સંક્રાંતિ હિમાચલપ્રદેશ અને પંજાબ માં "લોહડી", બિહારમાં "સંક્રાંતિ", આસામમાં " ભોગાલી બિહુ", પશ્ચિમ બંગાળ - ઓરિસ્સા - ગુજરાત અને રાજસ્થાનમાં " મકરસંક્રાંતિ", મહારાષ્ટ્ર માં "સંક્રાંત", આંધ્રમાં "તેલુગુ", તમિલનાડુમાં " પોંગલ", કર્ણાટકમાં " સંક્રાંથી" અને ભારત ના અન્ય ભાગો માં મકરસંક્રાંતિ તરીકે ઉજવાય છે.
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આથી સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે તેને મકરસંક્રાંતિ કહે છે. આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકરસંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી પ્રાચીન ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. મકરસંક્રાંતિમાં સૂર્ય પૂજા- ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાં જ કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.
મકરસંક્રાંતિ નું વિશેષ મહત્વ હોવાથી મહાભારતકાળમાં કુરુ વંશનાં રક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું, તેમણે બાણ શૈયા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. આમ ઉત્તરાયણનો દિવસ ભીષ્મ દેહોત્સર્ગનાં પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.
" ઉજ્જડ નભને નમણું નજરાણુ ઉર્ફે આ પતંગ."
મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હૃદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરીને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ " કાટટા", " લપેટ, ચલ લપેટ", "એ કાપ્યો છે"! જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષ ની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલસાંકળી ખૂબ ખાય છે અને ખવડાવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ " વાસી ખીહર" કે " વાસી ઉત્તરાયણ" તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી થાય છે.
" આ તો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરીથી અલગ થવાનુ પતંગ ને ક્યાં ગમે છે,
પણ, શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.