બચતનું મહત્વ
બચતનું મહત્વ
સાઈકલને પેડલ મારતાં મારતાં, કાનજીના મનમાં બસ એક જ પ્રશ્ન ઘુમરાઈ રહ્યો હતો કે હવે શું થશે ? વાત કોરોના કાળની છે,જ્યારે લોકડાઉન ખૂલ્યા પછીના ત્રણ ચાર મહિનામાં જ ઘણી બધી કંપનીઓ અને કારખાનાવાળાઓએ તેમને ત્યાં કામ કરતા મોટાભાગના માણસોની ચટણી કરી નાખી હતી. કાનજી પણ એમાંનોજ એક હતો. આજે સુપરવાઈઝરે કાનજીને પગાર આપીને કહી દીધું કે," જો ભાઈ, કંપની નુકસાનમાં ચાલી રહી છે, હવે શેઠ સાહેબ કંપની બંધ કરવાનું જ વિચારી રહ્યાં છે, તો હવે આવતીકાલથી આવવાની જરૂર નથી."
ઉદાસ ચહેરે ઘરે આવેલા કાનજીને જોઈને એની પત્ની રાધાને ફાળ પડી,ને એણે ઉતાવળા આવીને કાનજીને પૂછ્યું કે," કાં,આજ તમારું મોં આમ ઉતરી ગયું છે ? વાત શું છે ?" કાનજીએ રાધાના હાથમાં પગાર મૂકીને સુપરવાઈઝરે કહેલી વાત કહીને નિઃસાસો નાખ્યો," અરે હવે આપણું શું થશે ? આટલી જલ્દી બીજી નોકરી પણ મળશે નહિ ને ઘર કેમ ચાલશે ? મૈં તારી વાત માનીને થોડી બચત કરી હોત તો આજે આટલી લાચારી ના આવત !"
આ સાંભળીને રાધાએ કહ્યું,"તે એમાં આટલું કાં મૂંઝાવ છો ? મારી સંકટ સમયની સાંકળ ક્યારે કામ લાગશે ?" અને પછી પોતાની પતરાંની બેગ ખોલીને એમાંથી એક તૂટેલું પર્સ લાવીને કાનજી ના હાથમાં મૂકયું. કાનજીએ પૂછ્યું,"આ શું છે રાધી ?"
અને રાધા હસી પડી," અરે, આપણા ગોપાલના જનમ પે'લાં હું પેલાં બંગલાઓમાં કપડાં - વાસણ કરવાં નહોતી જતી ? એ વખતે મળતાં પગારમાંથી હું હો, બહો રૂપિયા કાયમથી અલગ આ પાકીટમાં મૂકી દેતી. અને તહેવારમાં મળતાં બોણીનાં પૈસામાંથી અડધોક આમાં મૂકી દેતી."
કાનજીની આંખમાં ચમક આવી ગઈ, એણે બધાં રૂપિયા ગણી જોયા,ને રાધાને ભેટી પડતાં બોલ્યો," વાહ ! મારી રાધલી ! તારી સંકટ સમયની સાંકળથી તો ત્રણ - ચાર મહિના સુધી કંઈ વાંધો નહિ આવે, વળી ત્યાં સુધીમાં તો હું કોઈક કામ શોધી જ કાઢીશ. તે મને આખરે આજે બચતનું મહત્વ સમજાવી જ દીધું."