દારૂબંધી
દારૂબંધી
સમાજસેવક હર્ષદભાઈ કાનાણી દારૂબંધીના પ્રચાર અર્થે દરરોજ એક બારના દરવાજા બહાર ઊભા રહીને, અંદર જવાવાળા દરેકને રોકીને, એમના હાથમાં તેમણે છપાવેલા "દારૂની સ્વાસ્થ્ય પર માઠી અસરો"વાળા કાગળ પકડાવતા અને સાથે સાથે દારૂ પીવાથી થતાં ગેરફાયદા વિશે ભાષણ પણ આપતા.
તે દિવસે, મંગલ એ બારની અંદર દાખલ થતો હતો ત્યારે, હર્ષદભાઈએ મંગલને રોકીને એના હાથમાં પેલો કાગળ થમાવી દીધો અને એની પૂછપરછ ચાલુ કરી દીધી.
હર્ષદભાઈ : "ભાઈ ! તું રોજ દારૂ પીએ છે ?"
મંગલ : " ઘણું ખરું ! કેમ ?
'તો ભાઈ મારે તને દારૂ પીવાથી થતાં ગેરફાયદા વિશે કહેવું છે.'
આ સાંભળીને અકળાયેલા મંગલે પૂછ્યું , ' તમે કોઈ દિવસ દારૂ પીધો છે ?'
આથી હર્ષદભાઈ ચિડાઈને બોલ્યા, 'કેવી વાત કરે છે તું ભાઈ ?'
મંગલ :" તમે જ્યારે દારૂ પીધો જ નથી ત્યારે તેના ગેરફાયદા જણાવવાનો તમને કોઈ અધિકાર જ નથી.પહેલા અંદર મારી સાથે બેસીને બે પેગ દારૂ પીવો પછી તેના ગેરફાયદા વિશે ચર્ચા કરીશું."
હર્ષદભાઈ :"તારી વાતમાં દમ છે પણ હું અંદર આવીને પીઉં તો મારી આબરૂ જાય અને બહાર પણ કોઈ મારા હાથમાં દારૂનો ગ્લાસ જુએ તો મારું નામ ખરાબ થઈ જાય, પણ હા જો તું મને સ્ટેનલેસ સ્ટીલના ગ્લાસમાં બે પેગ દારૂ આપે તો હું આ પ્રયોગ કરવા તૈયાર છું."
આથી મંગલે બારની અંદર જઈને ઓર્ડર આપ્યો, એટલે બારમેને તેના આસિસ્ટન્ટને બૂમ મારી, 'સ્ટેનલેસ સ્ટીલના ગ્લાસમાં બે પેગ વિહસ્કી બનાવ.'
આ સાંભળતા જ આસિસ્ટન્ટ હસતાં હસતાં બોલી ઊઠ્યો, 'પેલા દારૂબંધીવાળા સમાજસેવક હર્ષદભાઈ બહાર આવી ગયા લાગે છે !'