મારે પણ એક દીકરી હોત તો !
મારે પણ એક દીકરી હોત તો !
આજે બગીચાનું વાતાવરણ થોડું ગમગીન હતું. પાંચેય સિનિયર સિટીજન મિત્રો ઉદાસ હતા. કારણ કે ફકત ત્રણ મિત્રો જ હવે નિયમિત મળવાના હતા. બે મિત્રો છુટા પડવાના હતા. આ પાંચેય મિત્રો એટલે છગન મહેતા, કાનજી મકવાણા, ભાવેશ પટેલ, ભાવિન ચૌહાણ, નીતેશ ભટ્ટ. સાથે તડકી-છાયડી જોયેલા મિત્રોને હવે થોડી ગમગીની હતી. દુ:ખી હતા, કાનજી અને છગન વૃધ્ધાશ્રમમાં જવાના હતા. કાનજીએ તેના મિત્રોને કહ્યું, “અરે વાઁધો નહિ, તમે બધા મને વાર-તહેવારે મળવા આવજો, સાવ ભુલી ન જતા મને." આવું કહેતા જાણે એ ગળગળો થય ગયો.
વાત એમ બનેલી કાનજીએ ઘણી મહેનત કરીને એક પોતાની દુનિયા બનાવેલી. વિચારેલું જીવનના અંતિમ વર્ષો સુખશાંતિથી વિતાવીશ. પણ ધાર્યુ થાય તો લોકો ભગવાનને યાદ જ ન કરેને. સુખના દિવસોમાં છકી જઇને પોતાની તમામ મિલ્કત પોતાના એકના એક પુત્રને નામ કરી નાખી. બસ જાણે ક્ષણોની ભુલને વર્ષો સજા ભોગવી રહ્યા હતા. જીવનની સઘળી કમાણી પુત્રને નામ કરી નાખેલી, એનું પરીણામ જ હવે ભોગવવું રહ્યું. બસ હવે બે દિવસ જ એ અહીં શહેરમાં રોકાવાનું હતું.
ત્યારબાદ શહેરની બહાર “સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમ” નામના વૃધ્ધાશ્રમમાં જવાનું હતું. દિકરો ત્યાંથી પ્રાથમિક માહિતી લઇ આવેલો કે મહિને 800 રુપિયા ભરવાના હતા. એક રુમ આપે તેમાં એક કબાટ અને એક પલંગની સુવિધા હોય બીજી કશું જ નહિ. હા ફકત ત્રણ ટાઇમ જમવાનું મળે. દિકરાએ પિતાને એકવાર પૂછેલું ખરું કે “પપ્પા, આપને બીજી કોઇ સુવિધા જોતી હોય તો કહો, ત્યાંના સંચાલક મારો કલાયંટ છે. હું કહીશ તો વધારાની સુવિધા આપને જરુર મળી શકશે.” આ વાકય સાંભળીને કાનજી જાણે હતપ્રભ રહી ગયેલા. દિગ્મુઢ થઇને શું કહેવું એ અંગે મૂંઝવણ હતી. વધારાની સુવિધા શું જોઇએ જયાં સુવિધાની જરુર છે એ મળે તો પણ ઘણું છે એવું મનમાં બબડેલા.
આ તરફ છગનની વાર્તા અલગ હતી. એ તો વ્યાજને સાચવતો હતો. પોતાના પુત્રના પુત્રને નિશાળે લેવા – મુકવા જવું, ટયુશન લઇ જવો, રમાડવો વગેરે જાણે દૈનિક ક્રમ થય ગયેલો. શરુઆતમાં તો ગમતું ખરી મુદલ કરતા વ્યાજ વહાલું કોને ન હોય? પણ પોતાની ગણતરી હવે જાણે આયા બાઇ તરીકે થતી હોવાથી હવે એ કંટાળ્યો હતો. પોતાના ઉસુલો, નિતીનિયમોને આખરી જિંદગી વળગીને ચાલનાર છગન છેલ્લી ઘડીએ સમાધાન કરવા તૈયાર જ ન હતો.
બસ આપણું માન ન હોય ત્યાંથી ચાલ્યા જવું સારું. એવું એનું માનવું હતું. એટલે પોતાની નિયત બેંકમાં મુકેલ હતી તેના વ્યાજ પરથી કોઇ વૃધ્ધાશ્રમમાં જીવનના શેષ વર્ષો આનંદ પ્રમોદથી વિતાવવા માંગતો હતો. બાકીના મિત્રોએ તો બહુ સમજાવ્યો કે “અલ્યા છગનીયા સંસાર છે ચાલ્યા કરે, થોડું લેટ ગો કર, ઘરનાથી ભુલ થઈ હશે. એવું વિચારીને જતું કરવું રહ્યું. કુટુંબ સાથે દિવસો વિતાવ શાને આટલું બઘું મન પર લેશો.” પણ આ છગને કહેવું હતું, "મિત્રો મારે પણ પોત્ર સાથે, દિકરા સાથે દિવસો વિતાવવા છે પણ એમનું વર્તન સહન નથી કરી શકતો. ખોટું મારાથી ગુસ્સામાં કંઇ કહેવાય જાયે એને દીકરા-વહુના સંબંધમાં ઓટ આવે એનાં કરતાં ભલે એ પોતાની દુનિયામાં ખુશ રહે. હું તો મારી રીતે મારી વ્યવસ્થા કરી જ લઇશ. આમ પણ મારે હવે કયાં કોઇ જવાબદારી છે. દીકરી સાસરે વળાવેલી છે. દીકરાની પરીસ્થીતી પણ સારી છે. દીકરા સાથે વાત થઇ ગઈ છે. મારે મારો નિર્ણય જ જણાવવાનો હતો.
બસ આ રીતે હવે આ પાંચની ટીમ તુટી રહી હતી. લોકો એકમેકને છેલ્લી વાર ભેટી રહ્યા હતા. હવે કોણ જાણે કયારે ફરી ભેળા થવાય. છુટા પડતી વખતે છગને કાનજીને એકતરફ બોલાવીને કહ્યું “અલ્યા કાન્યા તું એક કામકર હુ જે વૃધ્ધાશ્રમમાઁ જવાનો છુ ત્યા તુ આવી જા. અજાણ્યા લોકો સાથે રહેવા એના કરતા કોઇક જાણીતું હોય એ વધું સારુ અને સરળ રહે. એટલે કહું છું. બાકી તારી ઇચ્છા. મને પણ કંપની મળી રહે. એક કરતા બે ભલા." કાનજીને વાત સારી લાગી. એણે કહ્યું, “છના તારે ઠીક છે તારી પાસે તો તારી મરણ મુડી છે હું રહ્યો ઓશીયાળો એટલે મારે પૂછવું પડે. મારે બધું જ નક્કી થઈ ગયું છે. છતાં હું એકવાર વાત કરીશ ઘરે એમ કર કે તું મને તારા વૃધ્ધાશ્રમનું સરનામું મને આપી દે."
ભારે હૈયે કાનજી મિત્રો સાથે છુટો તો પડ્યો પણ રસ્તાઓ એને લાગણીશીલ કરી રહ્યા હતા. આ જ રસ્તાઓ પરથી પોતાના દીકરાને સ્કુટર પર નિશાળે મુકવા જતો. કયારેક રવિવારે કે તહેવારે સહ કુટુંબ ફરવા જતો, આ શેરીઓ, દિલાવરની ચાની દુકાન, રહીમની પાનની કેબીન જાણે બધા જ આજે સંપી ગયા હોય એવું લાગ્યુ. દુરથી પસાર થયને આખરી નજર વડે સલામી આપી.
લો જય રહ્યો હુ મારા જ રસ્તાઓ પરથી આખરી વાર,
વહાલા કોઁણ જાણે આ રસ્તાઓ મને પાછા મળે ન મળે !
છગન ઘરમાં જઇને નિત્યક્રમ મુજબ કાર્ય પતાવી નાખ્યા. પણ સમય આજે વેરી બની બેઠો હતો. જે સમય પાંસઠ વર્ષો ઝડપથી પસાર થય ગયા એ કોણ જાણે આજે એક એક પળ પણ કલાક જેવી વીતી રહી હતી. દિવાલો જાણે કાનમાં ચીસો નાખતી હોય, દરવાજાઓ જાણે કંઇક કહેવા માંગતા હોય. બારીઓનો પવન રોકાવાનું કહેતો હોય એમ.
જે ઘર એણે પાંત્રીસ વર્ષો કાઢ્યા હતા એ જ ઘરના સભ્યો એને ઘરમાંથી કાઢી રહ્યા હતા. મનમાં થયું કે સરલા નસીબદાર નીકળી. એની તો ઘરમાંથી અર્થી નીકળી હતી. હું તો જીવતોજવ અહીંથી અનિચ્છાએ જઇ રહ્યો છું. સારું થયું તેને આવા દિવસો જોવાનો સમય ન આવ્યો. દિલીપ હજુ ઓફિસેથી આવ્યો ન હતો. આવે એટલે વાત કરવાનું નક્કી કર્યું.
રાતે દિલીપ ઓફિસેથી આવ્યો. તે જમીને એના રુમ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાનજીએ સાદ કરતા કહ્યું, "બેટા દિલીપ તે કહ્યું હતું ને કે કંઇક વધારાની સુવિધા જોઇએ તો કહેવુ મારે પેલા સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમ નથી જવું પણ આ જે વૃધ્ધાશ્રમ છે ત્યાં જવું છે. કારણકે મારો મિત્ર પણ ત્યાં જ છે. તો શું મારે વધુ સરળ રહે. જુના મિત્રોનો સંગાથ હશે તો સમય આકરો નહિ લાગે." દિલીપે ચિઠ્ઠી લઇને જોયી કશુંક વિચારીને કહ્યું, “વાંધો નહિ પિતાજી થય જશે, બસ આ વાત સારીકાને ન કરતા આપણી વચ્ચે જ રાખજો.” કાનજી ઘડીક જોઈ જ રહ્યો.
સવારે કંઇક અવાજ થતાં એ જાગી ગયો. બાજુના રુમમાંથી કોઇ ફોન પર વાત કરતું હોય એવું લાગ્યું. સાંભળવા પ્રયત્ન કર્યો તો વધુ એક આંચકો લાગ્યો, “સાહેબ અમે અમારા પિતાજીને વૃધ્ધાશ્રમમાં રાખવાનું મોકુફ રાખેલ છે અમારા પરીવારને એમના પ્રેમની જરુર છે. આપને તકલીફ આપી એ બદલ હું દિલગીર છું.” થોડીવાર પછી દિલીપ કાનજીના રુમમાં પ્રવેશીને કહ્યું, "પિતાજી આપે જે સરનામું આપેલ હતું એ સરનામા પરના વૃધ્ધાશ્રમ પર આપની વ્યવસ્થા કરી આપી છે. પેલા સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમવાળાઓને ત્યાઁથી રદ કરી દીધું છે. આપ સામાન બાંધીને તૈયારી કરો સાંજ સુધીમાં આપ ત્યાં હશો. આ સાંભળી કાનજીને થોડી રાહત થઈ પણ આ ખબરને શેમાં ગણવી એ વધુ ગડમથલ થઇ. રોવું કે હસવું. છેવટે તો ઘર છોડવું જ પડે એમ જ હતું.
એકંદરે મુસાફરી સારી રહી. છગને જે સરનામું આપેલ એ “આખરી વિસામો” વૃધ્ધાશ્રમની દરેક વ્યવસ્થા સારી હતી. થોડું મોંઘું હતું એ જાણકારી મળી. પણ કાનજીએ દરેક જગ્યાની પહેલે દિવસે જ લટાર મારી લીધી. બે દિવસ થવા આવ્યા છતાં છગનના આવવાના અણસાર ન લાગતા કાનજીએ ફોન કરવાનું નક્કી કર્યું. તે રીસેપ્સનીસ્ટ પાસે પહોંચીને નંબર આપતાં કહ્યું, "આ નંબર લગાવી આપોને.” રીસેપ્સનીસ્ટે નંબર જોડી આપ્યો. સામેથી છગનનો અવાજ સંભળાયો, "અલ્યા બોલ કાનીયા.." "એલા છના તું કયારે આવવાનો છો ? હું તો બે દિવસથી તારી અહી રાહ જોવ છું." સામેથી છગને કહ્યું, "અલ્યા કાનીયા હુ તો અત્યારે મારી દીકરીના ઘરે છું, ગરમ ચા સાથે ભજીયા ખાઇ રહ્યો છું. મારી દીકરીને ખબર પડી કે હું હવે વૃધ્ધાશ્રમમાં રહેવા જાઉં છું તો મને પરાણે એના ઘરે લઇ આવી. મને કહે પિતાજી હું એમની સાથે વાત કરી લઇશ. તમે અહીં જ રહેજો. કશું જ કરવાની જરુર નથી અને કયાં જવાની પણ જરુર નથી.” આ સાંભળતા જ જાણે કાનજી હતપ્રભ બની ગયો. એનાથી અનાયાસે જ બોલાય ગયું “મારે પણ મારે પણ એક દીકરી હોત તો..."