મારા સવાલનો જવાબ છે ?
મારા સવાલનો જવાબ છે ?
આરતી નાની, ચાર વર્ષની કુમળી કળી જેવી, નાની નાની આંખો, વિસ્મયથી તાકી રહેતી, કાલુ કાલુ બોલતી અને નાના પગલાંથી આખો દિવસ દોડતી, નાચતી, કૂદતી, હસતી અને તોફાન કરતી, બધાને જોતાં જ ગમી જાય અને વહાલ ઊભરાઈ આવે તેવી હતી.
આરતીને બાજુના ઘરનો 16 વર્ષનો રાજન રોજ ફરવા લઈ જતો હતો. બંનેનાં ઘર સાથે અડીને, સાથે રહેતાં ને રાજનને નાનપણથી ઘરના બધા ઓળખતાં એટલે વિશ્વાસે મોકલતાં. એક દિવસ લોહીથી લથબથ અને આંખો ફાટી ગયેલી, હોઠ સૂજી ગયેલા, વાળ વિખરાઈ ગયેલા, શરીર પર લાલ ભૂરા ચકામાં થઈ ગયેલાં, કણસતી હાલતમાં, આરતી ધાબા પરથી મળી. જોઈને મોંમાંથી ચીસ અને માનવ જાત પ્રત્યે ધૃણા, ફીટકારની ભાવના આવી ગઈ ! મગજ ગુસ્સાની સીમા પાર કરી ગયું. રહી રહીને મનમાં સવાલ ઊભા થતાં હતાં.
ક્યાં સુધી આ કૂમળી કળીઓ ચૂંથાતી રહેશે ?
સમાજ ક્યારે આ પાશવી હેવાનિયત કરનારને કડક સજા કરશે ?
શું ક્યારેય બળાત્કારથી બચી શકાશે નહીં ?
દીકરીઓ સ્વતંત્ર રીતે બળાત્કારના ભય વિના જીવી શકશે ?
માનવી માનવ થવાનું ભૂલી ગયો છે એટલે મને નથી લાગતું કે, મારો સવાલનો કોઈ દિવસ જવાબ મળે. રોજ કોઈને કોઈ આરતી આ રીતે હોલવાઈ જાય છે. ક્યારે ખરાં અર્થમાં લોકો, મા ભારતીનાં ચરણોમાં આરતી પ્રગટાવીને, આરતી ગાશે ? ક્યારે નારીને ખાલી ઉપભોગની વસ્તુ સમજવાનું બંધ કરી, નારીને સમ્માન આપતાં શીખશે ? કોની પાસે મારાં સવાલનો જવાબ છે.