મા સરસ્વતી
મા સરસ્વતી
કાન્તાબેન દીકરા રાજેશને પરણાવી રૂમઝૂમતી વહુ લાવ્યા. કાન્તાબેનનો તો હરખ માય નહીં.
વહુ રંજને ઘરમાં જ બ્યુટી પાર્લર ચાલુ કર્યું એટલે ઘર પણ સચવાય.
કાન્તાબેને હિંચકેે ઝૂલતા ઝૂલતા ધીમે ધીમે વહુને ઘરની રહેણીકરણીની, ખાનપાનની ક્યા તહેવારે કઈ વાનગી બનાવવી, શું ન બને એની તાલીમ આપવા માંડી.
એમાં પણ ખીચડી બનાવવા બાબતે બહુ જ સજાગ. કાન્તાબેન, વહુને સપરમે દહાડે કે શુભપ્રસંગે ખીચડી બનાવવાની ના પાડે. સમજાવે" આપણી જ્ઞાતિમાં, ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ખીચડીનો વાસ મૂકે એટલે વારે તહેવારે કે શુભપ્રસંગે ખીચડી ન બનાવવી." વહુ સમજી ગઈ. શાંતિથી હળીમળીને બધા રહેતા.
દીકરાના લગ્નને બે વરસના વહાણા વાયા ને કાન્તાબેને કહેવા માંડ્યું," મને દાદી બનવાની હોંશ ક્યારે પૂરી કરશો?"
અંતે એક દિવસ કાન્તાબેનને વહુને સારા દિવસ જાય છે એ સમાચાર સાંભળવા મળતાં જ વહુની બરાબર કાળજી લેવા માંડી.
કાન્તાબેન જેની આતુરતાથી રાહ જોતા હતા તે પ્રસંગ આવ્યો વહુના સીમંતનો. ખોળો ભરવાની રીતમાં માટીનાં ઘડામાં ચોખા ભરી વહુના ખોળામાં મૂકી ખોળો ભર્યો.અનૈ વહુને કહ્યું," પ્રસુતિ માટે પિયર જાય ત્યારે ઘડો લઈ જવાનો. પ્રસુતિ પછી સંતાનની છઠ્ઠીને દિવસે ઘડામાના ચોખાની ખીચડી બનાવી પ્રસાદ કરવો અને બધાએ ખાવો." સાસુમાની વાત સાંભળી વહુને નવાઈ લાગી એટલે પૂછ્યું," ખીચડીને તો તમે અપશુકન માનો અને છઠ્ઠીને દિવસે તો વિધાતા લેખ લખવા આવે.આવા સારા દિવસે ખીચડી શું કામ? અપશુકન ના થાય?"
કાન્તાબેને સમજાવ્યું," બેટા,તારો સવાલ બરાબર છે. સાંભળ, વિધાતા એટલે મા સરસ્વતી. સરસ્વતીમાતનું પ્રિય ભોજન ખીચડી. એટલે પ્રસાદમાં ખીચડી બનાવી હોય તો મા સરસ્વતી પ્રસન્ન થઈ સારા લેખ લખી જાય. એટલે ખીચડી બનાવવામાં આવે.''