લિઝાનો નિબંધ
લિઝાનો નિબંધ
લિઝા શાળામાં ભણતી હતી ત્યારે એના એક શિક્ષકે એને પચાસ વરસ પછી એ રહે છે એ સ્પ્રિંગફિલ્ડ શહેર કેવું હશે એના પર નિબંધ લખવાનું કહે છે. લિઝા એ વિષય પર નિબંધ લખે પણ છે. પણ, એમાં એ પર્યાવરણના પાસાને ધ્યાનમાં રાખીને સ્પ્રિંગફિલ્ડ શહેરનું ખૂબ બિહામણું ચિત્ર રજૂ કરે છે. એ વાંચીને એના શિક્ષકને થાય છે કે આ બાળકી અતિશય હતાશાથી પિડાઈ રહી છે. નહીં તો આવું કઈ રીતે લખી શકે ? એ શિક્ષક લિઝાનાં માબાપને કહે છે કે તમે તમારી બાળકીને કોઈ મનોચિકિત્સક પાસે લઈ જાઓ. કેમ કે એ કોઈ વિચિત્ર રોગથી પિડાઈ રહી હોય એવું લાગે છે. લિઝાનાં માબાપ લિઝાને એક મનોચિકિત્સક પાસે લઈ જાય છે. મનોચિકિત્સક એને તપાસીને કહે છે કે લિઝા પર્યાવરણ આધારિત હતાશાના રોગથી પિડાઈ રહી છે અને એને સારવારની જરૂર છે. મનોચિકિત્સક એને ઇજ્ઞોરિટલ લખી આપે છે. લિઝા એ દવા લે છે અને ધીમે ધીમે એનું પર્યાવરણ વિશેનું જ્ઞાન અદૃશ્ય થવા માંડે છે. એ હવે પહેલાંના જેવી હતાશાવાદી નથી રહી. એ આશાવાદી બની ગઈ છે. પણ, એ એટલી બધી આશાવાદી બની ગઈ છે કે એનાં માબાપ એના આશાવાદને હેન્ડલ કરી શકતાં નથી. આખરે એ લોકો પેલી દવા આપવાનું બંધ કરે છે. લિઝા ફરી એક વાર હતાશાવાદી બની જાય છે. એનાં માબાપને એ લિઝા સાથે કામ પાર પાડવાનું સહેલું લાગે છે.