કોરી આંખ
કોરી આંખ
કોરી આંખ
રાતના અંધકારમાં સૌ ઊંઘતા હતા. મહેલના ઊંચા કાંસાના દીવડા ધીમા થવા લાગ્યા હતા.કુંતીની આંખોમાં ઊંઘ નહોતી. કારણ કે દરેક સ્ત્રી જન્મજાત માત્ર રાજકુમારી નથી હોતી… એના અંદર એક માં પણ જીવતી હોય છે.
યૌવનની અજાણ કૌતૂહલમાં તેણે દેવને પોકાર્યા, અને હાથમાં સોનેરી કિરણ જેવું બાળક આવ્યું.
તે બાળક — કર્ણ .
માતૃત્વની પહેલી ધબકાર, પણ સમાજના ભયે તેને જ પાણીમાં વહાવી દેવું પડ્યું.
એ દિવસે કુંતીની આંખ રડી નહોતી… કોરી રહી.
પણ અંદર એક માં મરી ગઈ હતી.
પછી તેણે મહારાજ Pandu માટે સંતાનો મેળવ્યા.
યુધિસ્થિર ની ધીરજ,
ભીમ નું બળ,
અર્જુનની કૌશલતા —
એના ચરણે ધરી.
જ્યારે પાંડુના અવસાન પછી માદ્રિ એ પોતાનું જીવન અગ્નિને અર્પણ કર્યું,
ત્યારે બે નાનકડા બાળક — નકુલ અને સહાદેવ —
માતાની છાંય વિના રહી ગયા.
એ ક્ષણે કુંતી રાણી નહોતી, કે સ્પર્ધક પત્ની પણ નહોતી.
એ ફક્ત એક માં બની.
તેણે બંને બાળકોને પોતાની મમતાની ગોદમાં સમાવી લીધા.
કોઈ ભેદ ન રાખ્યો —
ન જન્મનો, ન ગર્ભનો, ન લોહીનો.
હવે પાંચેયમાં કુંતીનું જ હૃદય ધબકતું હતું.
જંગલના વર્ષો, અગ્નિ જેવી પરીક્ષાઓ, અપમાનની ક્ષણો —
એ દરેક વખતે કોરી આંખ સાથે કુંતી દીવાલ જેવી ઊભી રહી.
પણ આ અભેદ દીવાલને પણ અંદરથી તિરાડ પડે છે —
જ્યારે મહાયુદ્ધ પહેલાં તેણે કર્ણને મળી ઓળખાણ આપતાં કહ્યું…
“બેટા… હું તારી માં છું.”
કર્ણની આંખોમાં ક્ષણભર માટે સહજ માતૃપ્રેમનું ઝરણું ઝબક્યું.
પણ વફાદારીનું વચન વધુ મજબૂત હતું.
કુંતી અહીં ફરી હારી.
આ વખતે રાણી તરીકે નહીં,
પણ માં તરીકે…
તે રડી શકી નહીં.
યુદ્ધ પછી વિજય મળ્યો,
પણ કુંતી માટે એ વિજય શાંત હતો.
કારણ કે એક માં માટે સંતાનો જીતે કે હારે,દરેક યુદ્ધમાં અંતમાં એક માં જ હારે છે.
કુંતીની ગાથા શૌર્યની નથી,
એ તો માતૃત્વના મૌન ત્યાગની ગાથા છે.
જ્યાં રડતી આંખ પણ કોરી રહે.
અને આ “કોરી આંખ”
દુઃખમાં ખાલીપો નહોતો,
પણ તેમાં તો ત્યાગનું તેજ હતું —
જ્યારે કોઈ પણ માં રડી ના શકે,
ત્યારે સમયને તો ઠીક પણ સમગ્ર સૃષ્ટિ ને એના બદલે રડી લેવું પડે છે.
