અનંત કેડી ના ડાગલા
અનંત કેડી ના ડાગલા
અનંત કેડીના ડગલા
ઇંગ્લેન્ડના પ્રાચીન શહેર કેમબ્રિજ માં એક જૂની લાઇબ્રેરી હતી. પથ્થરની દિવાલો, લાંબા કાચના બારણાં અને શાંત ગલીઓ — અહીં સમય જાણે ધીમો પડી જતો.
આ લાઇબ્રેરીમાં એક અંગ્રેજ યુવતી ડાયેના નિયમિત આવતી હતી. તે ગણિતમાં ડોક્ટરેટ કરતી હતી.
સામાન્ય લોકોને અળખામણી લાગતી સંખ્યાઓ ડાયેનાને ખૂબ ગમતી. તેને કાયમ લાગતું કે ગણિત માત્ર ઠોસ નિયમો અને સૂત્રોમાં બંધાયેલું નથી.
એક દિવસ તેની નજર એક પુસ્તક પર પડી. તે પુસ્તક હતું મહાન ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન ના જીવન પર આધારિત.
ડાયેનાએ વાંચવાનું શરૂ કર્યું.
તેને ખબર પડી કે કેવી રીતે દક્ષિણ ભારતના એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવક પોતાના મનની પ્રેરણાથી અદભૂત સૂત્રો શોધતો ગયો અને દુનિયાને નવા વિચાર આપતો રહ્યો. એક દિવસ તેણે પોતાની શોધો પત્ર દ્વારા ઇંગ્લેન્ડના પ્રખ્યાત ગણિતજ્ઞ G. H. Hardyને મોકલી.
હાર્ડીએ જ્યારે તે પત્ર વાંચ્યો, ત્યારે તેમને તરત સમજાયું કે આ યુવાન અસાધારણ પ્રતિભા ધરાવે છે. પછી રામાનુજનને ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા.
આ જીવની ડાયેનાના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ.
તે ઘણી વાર કેમબ્રિજ યુનિવર્સીટીના જૂના આંગણામાં ઊભી રહીને વિચારતી:
“એક માણસ, જેને ખાસ સગવડો નહોતી, તેણે માત્ર પોતાના વિશ્વાસ અને કલ્પનાથી દુનિયાને નવી સંજ્ઞાઓ અને સંખ્યાઓ આપી.”
દિવસે દિવસે ડાયેનાનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો.
તેને લાગ્યું — સાચું જ્ઞાન ત્યારે પૂરું થાય, જ્યારે તે બીજા લોકો સુધી પહોંચે.
અભ્યાસ પૂર્ણ થયા પછી એક દિવસ તેણે મોટો નિર્ણય લીધો.
તેણે કાયમ માટે ઇંગ્લેન્ડની આરામદાયક જિંદગી છોડી ભારત જવા નીકળી.
થોડા મહિનાઓ પછી ભારતના એક નાનકડા ગામમાં એક નાની શાળા શરૂ થઈ. ત્યાં એક અંગ્રેજ શિક્ષિકા બાળકોને ગણિત શીખવતી હતી.
બાળકો તેને હિન્દી શીખવતા અને તે બાળકોને ગણિત શીખવતી.
ક્યારેક બાળકો હસીને પૂછતા:
“મેડમ, તમે ઇંગ્લેન્ડમાંથી અહીં અમારા ગામમાં કેમ આવ્યા?”
ડાયેના હસીને કહેતી:
“કારણ કે એક ભારતીય ગણિતજ્ઞએ મને શીખવ્યું કે સંખ્યાઓનો પ્રકાશ દરેક બાળક સુધી પહોંચવો જોઈએ.”
ગામના માટીના મેદાનમાં, નાના બ્લેકબોર્ડ સામે ઊભી રહીને તે બાળકોને ગણતરીના આસાન તુક્કા શીખવતી.
અને તેના મનમાં એક જ નામ ગુંજતું —
શ્રીનિવાસ રામાનુજન .
ડાયેનાના ભરેલા એક ડગલાથી સંખ્યાઓ હવે માત્ર કેમ્બ્રિજની લાઇબ્રેરીના પુસ્તકોમાં જ બંધાયેલી નહોતી.
તે ભારતના અંતરિયાળ ગામડાંઓના આકાશ નીચે, માટીની સુગંધ અને બાળકોના હાસ્યમાં જીવતી હતી.
ડાયેના અનુભવતી હતી કે રામાનુજનના સૂત્રો હવે માત્ર કાગળમાં નહીં, પરંતુ જીવંત બની અનેક હૃદયોમાં ધબકતા હતા.
દરેક બાળકની આંખોમાં ઝળહળતો પ્રકાશ જાણે અનંત કેડી પર નવા ડગલા ભરી રહ્યો હતો —
જ્ઞાનનો એવો માર્ગ,
જે ક્યારેય અટકવાનો નથી,
ક્યારેય થાકવાનો નથી.
ટહુકો એક હાઈકુ નો....
"અનંત પગલાં,
બાળકોની આંખોમાં,
જ્ઞાન ઝળહળે".
~~~~~~
ડિસ્ક્લેમર
આ વાર્તા પ્રેરણાત્મક સાહિત્યિક રચના છે. તેમાં દર્શાવાયેલ પાત્રો અને કેટલીક ઘટનાઓ લેખકની કલ્પનાશક્તિ પર આધારિત છે. વાર્તામાં ઉલ્લેખિત મહાન ભારતીય ગણિતજ્ઞ Srinivasa Ramanujan અને કેમ્બ્રિજના ગણિતજ્ઞ G. H. Hardy જેવા ઐતિહાસિક વ્યક્તિત્વો અને તેમની જીવનપ્રેરણાનો ઉપયોગ માત્ર સાહિત્યિક સંદર્ભ અને પ્રેરણાત્મક ઉદ્દેશ્ય માટે કરવામાં આવ્યો છે.
વાર્તામાં દર્શાવાયેલ અંગ્રેજ પાત્ર “ડાયેના” અને તેના જીવનસંબંધિત પ્રસંગો કલ્પિત છે. આ રચનાનો હેતુ જ્ઞાન, શિક્ષણ અને માનવતાની ભાવનાને પ્રેરિત કરવાનો છે; કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સ્થળ વિશે દાવો કરવો તેનો ઉદ્દેશ નથી.
