ખિલખિલાટ દાંપત્ય
ખિલખિલાટ દાંપત્ય
"કહું છું, હાંભળો કે ?"
"આ જે દા'ડાથી તમને પયણીને આઈ તે વારનું તમ બોલો એ હંધુય એક કાન થઈ હાંભળું સુ. બોલો આજ પાસુ હું થ્યું ? દાંત દુઃખે સે ? પગ દુઃખે સે ?"
"અરે મારી મા, હું કઉં છું કે હેંડો આજે ગોમના પાદરે મેળો સે એમાં જવું સે ? તમ ચેટલા વખતથી કેતા'તા કે મુને કશે લઈ નથ જાતા'તા તે મુને થ્યું કે આજ મેળામાં જઈ આઈએ."
"અરે ! મગનાના બાપુ, તમ પણ સેને ઘેલા કાં કાઢો ? આ આપણી ઉંમર સે મેળામાં જાવાની ? એના કરતાં હું સુ કવ સું કે આજ તો મા'દેવના મંદિરે કોઈ મોટા સંત આયા સે તો એનું પરવચન હાંભળવા જાવાની બઉ ઈચ્છા છે. તો આજ મેં રાંધણું વહેલું કરી લીધું સે તો વેલેરા રોટલા ખાઈને મંદિરે જાહું. પેલી બાજુવાળી ગંગાડોસી પણ આપણી હારે આવવાના સે."
મગનાના બાપુ એટલે છગનભાઈ અને એમના ઘરવાળા પાર્વતીબેન. જેને ગામના લોક પાલીબેનના નામથી જ ઓળખે. બંને એમના ઘરના ઉંબરે બેસીને એકબીજાને તાળી આપતાં જાય અને ખિલખિલાટ હસતાં હસતાં વાતો કરતાં જાય. છગનભાઈની ઉંમર જેટલું જ એમનું ખોરડું પણ જૂનું થઈ ગયું હતું. ઘરની ખખડધજ દિવાલો અને તૂટીફૂટી છાપરીમાંથી ગળાઈને આવતો સૂરજનો પ્રકાશ.
એમના સાંઠ વર્ષના લગ્નજીવનની ફળશ્રુતિ રૂપે પાંચ દીકરા અને ત્રણ દીકરીનો મોટો વસ્તાર પણ બધાં પોતપોતાના સંસારમાં ગૂંથાઈ ગયેલાં. આ ઘરડા માવતરની તો જાણે કોઈને પડી જ નહોતી. જો કે એ બંનેએ હવે બધાની આશા છોડી દીધી હતી. પચાસ વીઘા જમીનમાંથી ધીરે ધીરે કરતાં પાંચ વીઘા જમીન બચી હતી. તે ભાગિયાને ખેડવા આપી દીધી હતી. ભાગિયો નાથુ ઈમાનદાર અને મહેનતુ હતો. તે પોતાના ભાગનું અનાજ લઈ બાકીનું છગનબાપાને આપી જતો. એની ઘરવાળી પાલીબાના નાનામોટા કામ કરી જતી. આમ બે ઘરડાં માવતરનું વહાલભર્યું ઘડપણ સારી રીતે પસાર થતું હતું.
રોજ સાંજ પડે એટલે બંને જણા આમ જ ઘરના ઉંબરે બેસી ટોળટપ્પાં કરતાં હોય. જ્યારે જુઓ ત્યારે હસતાં ને હસતાં. ન કદી કોઈની નિંદા કરવાની કે ન કોઈની પંચાત. એ ઈ ને બંને જણાં પોતાનામાં જ મશગૂલ. પોતાનાથી થાય એટલી મદદ જરૂરિયાતવાળાને કરવાની અને ભગવાનનું નામ લેવાનું. ગામના જુવાનિયાઓ એમને આમ બેસેલાં જોઈ એમના ખિલખિલાટ દાંપત્ય માટે આનંદ અનુભવતાં અને પોતાના જીવન સાથે એમની અનાયાસે સરખામણી કરી બેસતાં.
