કબીરજીની પાઘડી
કબીરજીની પાઘડી
એક પ્રખ્યાત દંતકથા છે. એકવાર સંત કબીરે ખૂબ જ કુશળતાથી સુંદર પાઘડી બનાવી. ઝીણું ઝીણું કાપડ વણીને એ કાપડને ગોળાઈમાં લપેટીને પાઘડી તૈયાર કરી. પાઘડી જે દરેક પોતાના માથાને ખૂબ જ શાનથી શણગારતા હોય છે. આ નવી નવેલી પાઘડી લઈને સંત કબીરજી હાટમાં ( બજારમાં) બેઠા. અને મોટેથી બોલવા લાગ્યા. - 'શાનદાર પાઘડી ! અદ્ભુત પાઘડી ! દો ટકે કી ભાઈ ! દો ટકે કી ભાઈ !'
એક ખરીદનાર પાસે ગયો. તેણે ફેરવીને પાઘડીનું નિરીક્ષણ કર્યું. પછી કબીરજી ને પૂછ્યું- 'હે મહાશય, આ પાઘડી એક ટકામાં આપશો ?'
કબીરજીએ ના પાડી - 'ના ભાઈ ! દો ટકે કી હૈ. '
ખરીદનાર પણ જિદ્દી હતો.
બહુ રકઝક કર્યા પછી એ ખરીદી કર્યા વગર જતો રહ્યો.
માનવ સહજ સ્વભાવ મુજબ દરેક ખરીદનાર એક ટકામાં પાઘડી લેવા માંગતા હતા.
પણ કબીરજી વેચવા તૈયાર થયા નહીં.
આમ ને આમ સાંજ પડી. પાઘડી વેચાઈ નહીં. કબીર જી પાઘડી વેચ્યા વગર પાછા ફર્યા. એક પાડોશીએ થાકેલો ધીમા ડગલે કબીરજીના આંગણામાં પ્રવેશ કર્યો. તેની નજર પાઘડી ઉપર પડી.
'શું થયું સંત, પાઘડી વેચી નહીં?' - પાડોશીએ પૂછપરછ કરી. કબીર જી એ દિવસનો ક્રમ સંભળાવ્યો.
પાડોશીએ કબીર જી પાસેથી પાઘડી લીધી - 'આપ મને સેવા કરવાની તક આપો. હું આવતીકાલે સવારે જ બજારમાં પાઘડી વેચવા જઈશ.'
બીજે દિવસે સવારે ...
કબીર જીનો પાડોશી હાટ માં ગયો ને ઉંચા અવાજે બોલ્યો- 'શાનદાર હૈ પાઘડી ! નહીં મલે આવી અદ્ભુત પાઘડી ! આઠ ટકા કી હૈ ભાઈ ! આઠ ટકા કી હૈ ભાઈ !'
પહેલો ખરીદાર નજીક આવ્યો, કહ્યું - 'બહુ મોંઘી પાઘડી છે ! પહેલા મને બતાવો.'
પાડોશી- ' પાઘડી પણ અદભૂત છે. તમને આના જેવી બીજી પાઘડી હાટ માં ક્યાંય જોવા નહીં મળે.'
ખરીદનાર - 'ભાઈ યોગ્ય ભાવ કરો. મારે ખરીદવાની છે.'
પડોશી- ' તમારા માટે ચાલો છ ટકા જ રાખું છું.'
ખરીદનાર - 'આ પાંચ ટકામાં લેવા માંગુ છું.. મારે પાઘડી લેવાની જ છે.'
આખરે પાંચ ટકામાં પાઘડી વેચાઈ ગઈ.
પાડોશી પાઘડી વેચીને ઘરે પાછો ફર્યો.
કબીરજીના ચરણોમાં પાંચ ટકા અર્પણ કર્યા.
પાંચ ટકા જોઈને કબીરજીના મુખમાંથી દોહો બોલાઈ ગયો.
"સત્ય ગયા પાતાળ મેં જૂઠ રહા જગ છાએ
દો ટકે કી પગડી પાંચ ટકે મેં જાએ "
કહેવાનો અર્થ એ છે કે...
આ જગતમાં સત્યને પારખવાની શક્તિ બહુ ઓછાને છે.
જગતનું આ જ વ્યવહારિક સત્ય છે.
સંસારમાં ઘણી વખત સત્યનું સાચું મુલ્યાંકન થતું નથી...
પણ અસત્યનું મૂલ્ય વધુ પડતું હોય છે. અને અસત્ય ને જ મહત્વ આપવામાં આવે છે.
અસત્યને જ સત્ય માનીને લોકો ભ્રમમાં જીવતા હોય છે.
એટલે જ કબીરજી કહે છે કે
'સચે કા કોઈ ગ્રાહક નાહી ..'
કબીરજીના દોહાઓ સાથે..કબીરજીને પ્રણામ.