ઈજ્જતદાર ઘરાના
ઈજ્જતદાર ઘરાના
અમુક દુનિયામાં તૂટયા ફુટયા ઘરમાં રહેતા હોય તો પણ એ લોકોને પણ ઈજ્જત બહું વહાલી હોય છે. તેમને ઘર ભલે માટીનું તૂટેલું હોય પણ ઈજ્જત આબરૂ જીવન મરણનો સવાલ બની જાય છે.અને એટલેજ એ લોકોને ઈજ્જતદાર ઘરાનાના કહેવાય છે. એક આગવી ઈજ્જત હોય છે અને તેમાં એમનું સ્વાભિમાન હોય છે, એવીજ રીતે દરેક માણસની એક અલગ ઈજ્જત હોય છે. ત્યાં તેમની પોતાની અંગત સ્મૃતિ સાચવીને રાખી હોય છે. તેમની તેમના આ દિલ અને ઈશ્વર સિવાય કોઈનો પણ ડર હોતો નથી. એ વ્યક્તિ ઈજ્જત માટે મૃત્યુને પણ વહાલું કરી લે છે અને ઘરની ઈજ્જત બચાવવા કોઈને મોતને ઘાટ પણ ઉતારી દે છે.
નંદુમાસી ભરજુવાનીમાં વિધવા થયેલા પણ એક નાનો દિકરો અરજણ હતો એને જોઈને દુઃખના દહાડા પૂરા કરતા હતા કે કાલ અરજણ મોટો થશે ને સુખનો સૂરજ ઉગશે. એમનું એક તૂટ્યું ફૂટ્યું ઘર હતું પણ એ એમની ઈજ્જત આબરૂનો સહારો અને આધાર હતું. નંદુમાસી એ ગામનાં ખેતરમાં દાડિયા મજૂરી કરીને અરજણને મોટો કર્યો. અને બાજુના ગામની દીકરી ભગવતી જોડે અરજણના લગ્ન કરાવ્યા.
હવે નંદુ માસીને થોડી રાહત થઈ. અને એક વર્ષમાં એક દિકરો થયો. સુખનો ઓડકાર ખાય ત્યાં એક દિવસ ગામના ખેતરમાં કામ કરવા ગયેલા અરજણને સાપ કરડ્યો ને એ મૃત્યુ પામ્યો. નંદુમાસી ના માથે આભ ટૂટી પડ્યું. જુવાનજોધ વહુંને સંભાળવાની. એને પિયર જવા કહ્યું પણ એણે ના કહી કે તમેજ મારી દુનિયા અને પિયર છો. નંદુમાસી એ એક રાત્રે વિચાર્યું કે ગામમાં મેં મારા પતિ અને પુત્ર ગુમાવ્યા તો શહેરમાં જઈને કંઈક કમાણી થાય તો આ નાનકાની જિંદગી સુધરી જાય અને ભણાવીએ તો કંઈક નોકરીએ લાગે. તો કંઈક દહાડા સુધરે. સવારે ભગવતીને વાત કરી અને સાસુ વહુ ગામડેથી જરૂરી ચીજવસ્તુઓ લઈને ઘરની જવાબદારી બાજુવાળાને સોંપી અને તૂટ્યા ઘરને બંધ કરીને અમદાવાદ આવ્યા.
અમદાવાદ આવીને એક ઝુંપડપટ્ટીમાં તૂટ્યું ઝુપડુ ભાડે લીધું. અને બીજા દિવસથી સોસાયટીમાં કામ શોધવા માટે સાસુ વહુ નિકળી પડ્યા. એક બંગલાવાળા બહેનને દયા આવીને વાસણો ઘસવાનું અને કંપાઉન્ડ સાફ સફાઈ કરવા રાખ્યા. નંદુમાસી અને ભગવતીનું કામ ચોખ્ખું જોઈને આજુબાજુના બે ત્રણ બંગલમાં કચરા પોતા અને વાસણો ઘસવાનું કામ મળ્યું. જો કોઈ વસ્તુ કે રૂપિયા પડ્યા હોય તો પણ એને હાથ પણ ના લગાવે. આવી ઈમાનદારી જોઈને બીજા કામ મળ્યા.
નંદુમાસી ભગવતીને એકલી ના મૂકે એમને કોઈ માણસો પર ભરોસો નહોતો. કોઈ કોઈ બંગલામાંથી વધેલું ખાવાનું મળે તો સાસુ વહુ ઘરે લઈ જઈને વહેચીને જમીલે જેથી એક ટંક જમવાનું ના બનાવું પડે. આમ કરતાં થોડા ઘણાં રૂપિયા ભેગા થયાં એટલે ગામડે જઈને એ તૂટ્યું ઘર સરખું કરાવી દીધું. અને બીજા રૂપિયા સાચવીને રાખી દીધાં.
એક દિવસ એક બંગલામાં કામ કરવા ગયાં તો માલકિન પોતાનાં પિયર ગયાં હતાં, છોકરાઓ સાથે. નિમેશભાઈ સાહેબ ઉપર રૂમમાં હતાં. એમણે નંદુમાસીને કહ્યું કે આપ નીચે રાતનાં વાસણો ઘસી નાંખો અને આપની વહુંને ઉપર કચરા પોતા કરવા મોકલો. પછી મારે ઓફીસ જવાનું છે. નંદુમાસી કહે સારું સાહેબ. ભગવતી ત્રણ વર્ષના નાનકાને લઈને ઉપર કચરા પોતા કરવા ગઈ. નિમેશભાઈ તકની રાહ જોઈ ઉભા હતા. જેવી ભગવતી ઉપર આવી નાનકાને નીચે બેસાડ્યો. નિમેશભાઈએ ભગવતીને પકડી ને પલંગમાં પટકી. ભગવતી એ બૂમાબૂમ કરી અને નાનકો પણ ચીસો પાડીને રડવા લાગ્યો.
નંદુમાસીને કાને અવાજ અથડાયો. એ વાસણો પડતાં મૂકીને ઉપર દોડ્યા. ઉપર આવીને જોયું તો ભગવતીની ઉપર સાહેબ ઝંબૂળી રહેલા અને ભગવતી છૂટવા તરફડી રહી હતી. નંદુમાસી એ આજુબાજુ નજર નાખી અને ફૂલદાની ઉપાડી અને સાહેબના માથામાં જોરથી ફટકારી દીધી. અને ભગવતી અને નાનકાને લઈને એ તૂટી ફૂટી ઝુંપડીમાં આવ્યા અને ભગવતીને કહે હાલ વહું આપણાં અહીંના અંજળપાણી ખૂટી ગયા. રૂપિયા અને જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ લો. અને સામાન લઈને કાલૂપૂર સ્ટેશન પર આવી ગાડીમાં બેસીને પોતાના ગામમાં પહોંચી ગયા.
ગરીબી ની ઈજ્જત સાચવતુ એ ઘર એમનો મહેલ હતો. ઘરમાં પહોંચીને નંદુમાસી એ શાંતિનો શ્વાસ લીધો.