એ કોણ હતી ? - ૧
એ કોણ હતી ? - ૧
(આ વાર્તા કાલ્પનિક છે. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ, આવું કંઈ નથી હોતું. જ્યારે કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે ત્યારે જો તેની કોઈ ઈચ્છા અધૂરી રહી જાય તો તેની આત્મા તે ઈચ્છા પૂરી કરવા માટે પૃથ્વી પર જ રહી જાય છે. તેની ઈચ્છા પૂરી થયાની સાથે જ તેને મોક્ષ પણ મળી જાય છે.)
૩૧ ડિસેમ્બરની સવારની વાત છે. સાહિલ સૂતો હતો અને તેના ફોનમાં રિંગ વાગે છે. તેના ફોનની રિંગમાં હંમેશા કાનજીનું જ ગીત હોય છે. તે કાનજીનો ભક્ત હોય છે, અને તેને બધા પ્રેમથી હંમેશા કાનો જ બોલાવતાં હોય છે. તે ફોન સહિલના મિત્રનો હોય છે.
જીગર: સાહિલ, તું ક્યાં છે ?
સાહિલ: શું થયું જીગર ? આટલી સવારસવારમાં શા માટે ફોન કરે છે ?
જીગર: અરે સાહિલ, જયસરને એટેક આવ્યો છે અને તે હોસ્પિટલમાં છે.
સાહિલ: શું ? હું હમણાં જ પહોંચું છું.
આટલું કહેતાની સાથે જ સાહિલ ફોન રાખી દે છે અને તરત હોસ્પિટલ જવા નીકળે છે. રસ્તામાં સાહિલ જયસર સાથે વિતાવેલા સારા અને નરસા પ્રસંગો યાદ કરતો હોય છે. જ્યારે સાહિલ પહેલીવાર મેડિકલ કૉલેજમાં આવ્યો ત્યારે તેને જય સર સાથે કંઈ ખાસ સારો અનુભવ નહોતો રહ્યો.
સાહિલ એક રાજકોટમાં રહેતા ગુજરાતી પરિવારનો દીકરો હતો, સહિલના કુટુંબમાં બધા વેપારી જ હતા. એક સાહિલ જ શહેરની બહાર ભણવા ગયો હતો અને એ પણ ડોક્ટરનું ભણવા. સાહિલ ભણવામાં બહુ હોંશિયાર ન હતો પરંતુ પરીક્ષામાં ગમે તેમ કરીને સારા માર્કસ લાવતો. અને જયસર પણ ગુજરાતી હતા. તે ગુજરાતના નાનકડા ગામ નવાગામના બ્રાહ્મણ કુટુંબના દીકરા હતા અને તે બજરંગબલીના ભક્ત હતા.
કૉલેજના પહેલે દિવસે જ સાહિલે જયસરની મસ્તી કરી હતી, જેને કારણે જય સરે તેને સજા પણ આપી હતી. પરંતુ જેમજેમ દિવસો પસાર થતા ગયા તેમતેમ જયસર અને સાહિલ મિત્રો બનતા ગયા.
સાહિલ હોસ્પિટલ પર પહોંચે છે તો જોવે છે કે ત્યાં ઘણા મીડિયાવાળા અને રિપોર્ટર હોય છે. ત્યાં ખૂબ ભીડ હોય છે, એ જોયને સાહિલ અચંબિત થઈ જાય છે કે ગઈ કાલ રાત સુધી તો અહીં બધું બરાબર હતું, પરંતુ અત્યારે અહીં આટલી બધી ભીડ કેમ છે ? એટલામાં ત્યાં જીગર બહાર આવે છે અને સાહિલને અંદર લઈ જાય છે.
બંને જયસરના રૂમમાં પહોંચે છે જયસર અને સાહિલ બંને એકબીજા ને જોય ને ભૂતકાળની યાદો વાગોળે છે. જયસર સહિલનો હાથ પકડે છે અને કહે છે કે આજથી આ મારી હોસ્પિટલની જવાબદારી તારી. આટલું કહીને જય બજરંગબલી બોલતાની સાથે જ જયસર પોતાના અંતિમ શ્વાસો પૂરા કરે છે.
આ ક્ષણ સાહિલ સાથે બીજા બધા માટે પણ ખૂબ દર્દનાક હતી. સાહિલ એકદમ અવાચક થઈ જાય છે. સાહિલને એમ થાય છે કે પોતાનું જીવન પણ પૂરું. પરંતુ કુદરતે તો તેના માટે કંઈક અલગ જ લખ્યું છે. સાહિલ આ વાતથી અજાણ છે.
ક્રમશ.