ધૂમ્રપાન
ધૂમ્રપાન
આજે લાયન્સ ક્લબનો હોલ માણસોની ભીડથી ખીચોખીચ ભરેલો હતો. એનું કારણ આજના વક્તા હતા. આજે લોકલાગણીને માન આપીને મશહૂર યુવા વક્તા સુનિલ અગ્નિહોત્રી તેમનું વક્તવ્ય રજૂ કરવા આવ્યા હતા.
સુનિલ અગ્નિહોત્રી યુવાપેઢીને જાગૃત કરવા માટે,તેમને તમાકુ, સિગારેટ જેવી બદીઓથી દુર કરવા માટે, નવું શીખવા માટે, જીવનમાં આગળ વધવાની ધગશ કેળવવા માટે તથા જે નિરાશ થયેલા હોય કે ડિપ્રેશનમાં સરી પડ્યા હોય, તેમને જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા માટે ઉત્સાહિત કરનારા એક ખુબજ પ્રખ્યાત સ્પષ્ટ વક્તા હતા. યુવાનોની સાથે વૃદ્ધોના પણ એટલાજ પ્રિય વક્તા હતા. આજે તેમનો વિષય હતો, "ધૂમ્રપાન કરવું જોઈએ કે નહીં."
સુનિલ અગ્નિહોત્રી એ યુવાનો, પ્રૌઢઢો, વૃધ્ધો,જેને પણ સિગારેટ, બીડી કે હુક્કો પીવાની લત હતી તે બધાની પાસે કસમ લેવડાવી કે તેઓ આજે અત્યારથીજ તે ખરાબ લત છોડી દેશે. સુનિલ અગ્નિહોત્રી એ તમામને સિગારેટને ખરાબ અસરો વિશે જણાવ્યુ અને એ પણ ઉમેર્યું કે તેનાથી સિગારેટ પીનાર એકલો નહિ પણ તેનો આખો પરિવાર હેરાન થાય છે. સિગારેટ પીનાર વ્યક્તિને થતાં ફેફસાંના કેન્સર વિશે તેમણે વિગતે જણાવ્યું. બધા શ્રોતાને સમજાવ્યું કે સિગારેટને ધુમ્રસેરને જેમ તમારું જીવન પણ પળે પળે મુરઝાતુ જાય છે. તેમના વક્તવ્યને અંતે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બેઠેલા શ્રોતાઓમાંથી જેના પણ ખિસ્સામાં બીડી કે સિગારેટનું પેકેટ હતા, તેમણે સ્વયં સેવકો દ્વારા ફેરવવામાં આવેલા બોક્સ મા ફેંકી દીધા. .
વક્તવ્ય પૂરું કરીને, લોકોનો પ્રતિસાદ ઝીલીને, તેમને ઓટોગ્રાફ આપીને અને તેમની સાથે સેલ્ફી ખેંચાવીને થાકેલા સુનિલ અગ્નિહોત્રી જ્યારે પોતાની કારમાં બેઠા ત્યારે જ તેમણે હાશકારો અનુભવ્યો અને પોતાની કારનાં ડેશબોર્ડ માંથી 555 બ્રાન્ડની સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ સળગાવીને પોતાની કાર હાંકી મુકી.
