ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 8
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 8
(ગયા અંકમાં આપણે જોયું કે, વીસ વર્ષના દામ્પત્યજીવનમાં દેવી સત્યવતી બે રાજકુમારને જન્મ આપે છે. પ્રથમ રાજકુમાર ચિત્રાંગદ જે યુવાવસ્થાએ પહોંચી ગયા છે અને દ્વિતિય રાજકુમાર વિચિત્રવીર્ય જે હજુ બાળક છે. એવામાં સમાચાર પ્રાપ્ત થાય છે કે, સત્યવતીના જન્મસ્થાન એવા કૃષ્ણદ્વીપ પર નિષાદોએ આક્રમણ કર્યું છે અને સત્યવતી દુઃખી થઈ જાય છે. ચિત્રાંગદ માતાના આંસુ જોઈ શકતો નથી અને નિષાદો સામે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરે છે. ચિત્રાંગદ અતિ મહત્ત્વકાંક્ષી હોવાથી દિગ્વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા પિતા અને મોટાભાઈ દેવવ્રત સમક્ષ પ્રકટ કરે છે. કુમાર દેવવ્રતના ઘણું સમજાવવા છતાં ચિત્રાંગદની હઠ આગળ દેવી સત્યવતી અને મહારાજ શાંતનુ પણ હથિયાર મૂકી દે છે. ચિત્રાંગદ દિગ્વિજય પ્રાપ્ત કરવા નીકળી જાય છે. આ બાજુ મહારાજ શાંતનુને ગંભીર બિમારી લાગુ પડે છે. કુમાર વિચિત્રવીર્ય પણ મોટા થઈ ગયા છે. યુદ્ધરસિયો ચિત્રાંગદ દિગ્વિજયની ઘેલછામાં વિવાહને પણ ટાળી રહ્યો છે. આખરે ગાંધર્વરાજની સામે તે ટકી નથી શકતો અને વીરગતિ પામે છે. હવે આગળ..)
આ બાજુ મહારાજ શાંતનુ મૃત્યુ સાથે લડી ન શક્યા અને તેમણે પણ મહારાણી સત્યવતીની નજર સમક્ષ જ પ્રાણ ત્યજ્યા. દેવી સત્યવતીની ચીસ પણ કંઠમાં જ દબાઈ ગઈ. કુમાર દેવવ્રતને સમાચાર મળ્યા કે, ચિત્રાંગદ વીરગતિ પામ્યા છે. એક જ સમયે પ્રજાએ પિતાતુલ્ય મહારાજ અને ભાવિ રાજા ગુમાવ્યા હતા. હસ્તિનાપુર પર દુઃખના વાદળો ઘેરાઈ ગયા હતા.
સત્યવતીએ વૈધવ્યની સાથે સાથે પોતાની કૂખમાં પણ કારમો ઘા સહ્યો હતો. તેમણે દેવવ્રતને પોતાના કક્ષમાં બોલાવ્યા અને કહ્યું, `દેવવ્રત ! મહારાજ મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. મારો ચિત્રાંગદ...! એ પણ મને છોડીને ચાલ્યો ગયો. પુત્ર ! વિચિત્રવીર્યને સાચવજે. મારે મહારાજ સાથે જ જવાનું છે.’ દેવી સત્યવતીના આ શબ્દોના ગર્ભમાં સતી થવાનું સૂચવાઈ રહ્યું હતું. એ દેવવ્રત ભીષ્મને સમજાઈ ગયું.
`નહિ માતા ! આપનાથી મહારાજ સાથે નહિ જવાય. વિચિત્રવીર્યને હજુ તારી આવશ્યકતા છે. હસ્તિનાપુરને તમારી છત્રછાયાની જરૂર છે.’ દેવવ્રતે દેવી સત્યવતીના ચરણોમાં બેસી આજીજી કરી.
દેવી સત્કુયવતી માર દેવવ્રતની લાગણીને વશ થઈ, પોતાના પર પડેલા આ બમણા આઘાતને સહ્ય બનાવવાના પ્રયત્ન કરવા લાગી. નિયતિની સામે લાચારી અનુભવતી એક પત્ની.. એક માતા હસ્તિનાપુરની રાજમાતા તરીકેના કર્તવ્યોને નિભાવવા લાગી.
કુરુસામ્રાજ્ય નિઃસહાય હતું. પરંતુ આ કપરાકાળમાં નિઃસહાય, નિરાધાર સામ્રાજ્યનો એક માત્ર આધાર, એક માત્ર સ્તંભ કુમાર દેવવ્રત અચલ અને અડગ ઊભો હતો. સમગ્ર આર્યવર્ દેવવ્રત ભીષ્મની પ્રતિજ્ઞાથી અવગત હતું અને વિચિત્રવીર્ય હજુ નાનો હતો. એમાંય મહારાજ શાંતનુ અને ચિત્રાંગદના મૃત્યુ પછી તો આસપાસના શક્તિશાળી રાજ્યોની ખરાબ દ્રષ્ટિ હસ્તિનાપુર પર પડી ગઈ હતી. આ પરિસ્થિતિમાં પણ કુમાર દેવવ્રત ભીષ્મની શક્તિ અને સામર્થ્ય આગળ કોઈ ટકે એમ નહોતું. એકલુ અટૂલુ છતાં હસ્તિનાપુરનું રાજ્ય દેવવ્રત ભીષ્મની શક્તિથી અડગ ઊભુ હતું.
હવે, હસ્તિનાપુરનું રિક્ત રાજ સિંહાસન કુમાર વિચિત્રવીર્યના રાજ્યાભિષેકની રાહ જોઈ રહ્યું હતું.
બાળરાજા વિચિત્રવીર્ય દિવંગત મહારાજ ચિત્રાંગદ કરતાં જુદા જ વિચારો ધરાવતો હતો. એનો સ્વભાવ આનંદી, લાગણીશીલ તથા ઉદારચિત્ત હતો. દિવગંત ભાઈ ચિત્રાંગદની જેમ જ વિચિત્રવીર્યનું પ્રશિક્ષણ પણ દેવવ્રતની નજર હેઠળ થવા લાગ્યું.
સમય વીતવા લાગ્યો.. વિચિત્રવીર્ય હવે સોળ વર્ષનો થઈ ચૂક્યો હતો. રિક્ત સિંહાસન ફરી રાજાના બિરાજવાથી શોભાયમાન થવાનું હતું, પરંતુ સત્યવતી અનેક વિચારવમળો વચ્ચે એકલી ખોવાયેલી હતી. તેમની ચિંતાનું મુખ્ય કારણ પણ વ્યાજબી હતું. વિચિત્રવીર્ય સ્વભાવે રંગીન પ્રકૃતિનો હતો. રાજમહેલમાં સૌંદર્યવાન દાસીઓ પર વિચિત્રવીર્યની લોલુપ નજરો ફરતી હતી. એમાંની એક દાસીએ સ્વયં દેવી સત્યવતીને વિચિત્રવીર્યના વર્તનથી અવગત કર્યા હતા. મહારાણી સત્યવતીએ વિચિત્રવીર્ય પાસે આ વાતનો ખુલાસો માંગ્યો તો તેણે નિરુત્તર રહી ભૂલનો સ્વીકાર કર્યો હતો. મહારાજ્ઞી સત્યવતી હસ્તિનાપુરને એક દયાળુ, સમર્થ અને પ્રજાના હ્રદયમાં સન્માન પામે તેવો રાજા આપવા ઈચ્છતી હતી. વિચિત્રવીર્યની આ નબળાઈને દૂર કરવાનો ઉપાય શોધતી હતી. આખરે આ વિકટ સ્થિતિમાં એક માર્ગ સૂઝતા તેણે કુમાર દેવવ્રત ભીષ્મને પોતાના કક્ષમાં બોલાવી લાવવા પરિચારિકાને આજ્ઞા કરી.
પ્રણામ માતા આપે યાદ કર્યો... કહો શી આજ્ઞા છે દેવવ્રતે માતાના કક્ષમાં પ્રવેશતા જ કહ્યું.
દેવવ્રત, પુત્રક ચિત્રાંગદ તો પરણ્યા પહેલા મૃત્યુ પામ્યો, પરંતુ વિચિત્રવીર્યને પ્રભુતામાં પગલા પાડ્યા પછી જ રાજ્યભાર સોંપીએ તો કેવું.. માતા સત્યવતીએ કુમાર દેવવ્રતની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
વિચાર તો ઉત્તમ છે માતા.. આ વિશે વિચિત્રવીર્ય સાથે ચર્ચા કરી લઈએ. સમાચાર મળ્યા છે કે, કાશીરાજ પોતાની એક નહિ પણ ત્રણ ત્રણ કન્યાઓનો સ્વયંવર રચાવી રહ્યો છે. કોઈ વિશિષ્ટ સ્પર્ધા યોજ્યા વિના જે સૌથી શૂરવીર હોય તેનું વરણ પોતાની પુત્રીઓ માટે કરવાનો કાશીરાજે નિશ્ચય કર્યો છે. જો વિચિત્રવીર્યની સંમતિ હોય તો આ સ્વયંવર માટે વિચારી શકાય.
એક પણ પળનો વિલંબ કર્યા વગર મહારાણી સત્યવતીએ વિચિત્રવીર્યને કક્ષમાં હાજર થવાની આજ્ઞા કરી. થોડી જ વારમાં વિચિત્રવીર્ય માતાના કક્ષમાં પ્રવેશ્યો. મોટાભાઈ દેવવ્રત અને માતા સત્યવતીના ચહેરા પર હાસ્ય અને ઉત્સુકતાના મિશ્રિત ભાવ જોઈ વિચિત્રવીર્યને કાંઈ સમજાયુ નહિ.
મહારાણી સત્યવતીએ વિચિત્રવીર્ય સમક્ષ વિવાહ તેમજ કાશીરાજની કન્યાઓના સ્વયંવરનો પ્રસ્તાવ મૂક્યો. વિચિત્રવીર્યને સ્વયંવર કરતાં તેમાં થવાના શક્તિપ્રદર્શનથી વધુ વાંધો લાગ્યો.
મને મને આવા શક્તિપ્રદર્શનમાં રસ નથી, મોટાભાઈ યુદ્ધ વિના પણ પત્ની ન મેળવાય વિચિત્રવીર્યે કંટાળાભર્યા સ્વરે કહ્યું.
દેવવ્રત અને માતા સત્યવતી વિચિત્રવીર્યને જોઈ જ રહ્યા. ચિત્રાંગદને યુદ્ધ સિવાય કશામાં રસ ન હતો અને વિચિત્રવીર્ય તો તદ્દ્ન તેનાથી વિપરીત હતો.
ખૂબ મનોમંથન પછી સત્યવતીએ દેવવ્રતને ઉદ્દેશી કહ્યું, પુત્ર સ્વયંવરમાં અન્ય માટે રાજકન્યાઓ જીતી લાવવાની પણ પ્રથા છે જ. તો કાશીરાજની કન્યાઓ વિચિત્રવીર્ય માટે લાવવાનું તારે માટે તો અશક્ય નથી જ.
માતા વિચિત્રવીર્ય જ પોતાના માટે યોગ્ય રાજકન્યાનું ચયન કરે તે યોગ્ય નથી.. એટલી ઉતાવળ શી છે દેવવ્રતે કહ્યું.
એને કોઈ દાસીપુત્ર થાય એ પહેલા મને એનો રાજપુત્ર જોઈએ છે. સત્યવતીએ કહ્યું.
દેવવ્રતે ચમકીને વિચિત્રવીર્ય તરફ જોયું. વિચિત્રવીર્ય નીચુ જોઈ ગયો. દેવવ્રત ભીષ્મને વિચિત્રવીર્ય માટે માતાની ચિંતાનો અંદાજો આવી ગયો હતો. કશું પણ બોલ્યા વિના ત્વરાથી માતાના ચરણસ્પર્શ કરી એ ખંડની બહાર નીકળી ગયા.
કાશીરાજની કન્યા અંબા, અંબિકા અને અંબાલિકા અતુલ સૌંદર્યવતી હતી. ત્રણેય કન્યા અલૌકિક શણગાર સજીને શૂરવીર રાજાઓને પોતપોતાના પતિ તરીકે વરવા ઉત્સુક હતી. કાશીરાજ પણ ત્રણ-ત્રણ શૂરવીર જમાઈનું ચયન થાય તેની રાહ જોતા હતા. કાશીરાજ અને મંત્રીઓ સોનો સત્કાર કરી રહ્યા હતા. એકએકથી ચઢિયાતા જુવાન, સૌંદર્યવાન અને શક્તિથી ઊભરાતા રાજાઓ અને રાજપુત્રોથી કાશીરાજનો સભામંડપ દીપી ઊઠ્યો હતો. સમગ્ર આર્યવર્તના રાજાઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા તલપાપડ થઈ રહ્યા હતા ત્યાં જ કુમાર દેવવ્રત ભીષ્મનું આગમન થયું અને આખી સભામાં ખળભળાટ મચી ગયો. દેવવ્રત ભીષ્મએ સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
ત્રણ કન્યામાંની એક કન્યા અંબા હાથમાં વરમાળા પકડી અધીરાઈ અને ઉત્કંઠાથી રાજસભામાં ઉપસ્થિતિ શાલ્વરાજને જોઈ રહી હતી. મનોમન રાજકુમારી અંબા શાલ્વરાજને પતિ માની ચૂકી હતી. હવે તો બસ આ વરમાળા જ તેના ગળામાં નાખવા જેટલી વાર હતી. એવામાં મંત્રીશ્વરે રાજકન્યા અંબા તરફ જોયું અને રાજકુમારી અંબા એક પછી એક રાજા તરફ જોતાં આગળ વધી રહી હતી.
એકાએક એક રાજાએ કુમાર દેવવ્રત તરફ વાગ્બાણ છોડતા કહ્યું, કાશીરાજ જેણે પોતાની મહાનતા દેખાડવા બ્રહ્મચર્ય પાલનનો દંભ રચ્યો હોય તેઓનો અહીં આવવાનો હેતુ શું હોઈ શકે..
સમસ્ય સભામંડપ સમજી ગયો કે આક્ષેપ કોના પર કરવામાં આવ્યો હતો. મદમત્ત રાજાઓ હાસ્ય કરવા લાગ્યા અને ક્રોધથી કંપતા કુમાર દેવવ્રત ભિષ્મ ઊભા થઈ ગયા. સમગ્ર સભાને આહ્વાન આપતા કહ્યું, મદથી છકી ગયેલા રાજાઓ તમારો ગર્વ જ તમારી અધોગતિનું કારણ બનશે. હું અહીં મારા નાના ભાઈ વિચિત્રવીર્ય માટે કાશીરાજની કન્યાને લઈ જવા આવ્યો છું. મને વીર્યહીન સમજનારા રાજાઓ જો તમારી ભુજાઓમાં પુરુષત્વ હોય તો હું યુદ્ધ કરવા તત્પર છું. હું ત્રણે કન્યાઓને શાસ્ત્રોક્ત રીતે બળપૂર્વક હરી જઉં છું.
આમ કહી દેવવ્રત ભિષ્મે ત્રણેય રાજકન્યાઓને પોતાના રથમાં બેસાડી દીધી અને રથ હસ્તિનાપુર તરફ હંકાવ્યો. કાશીરાજની સેના તથા ઉપસ્થિત રાજાઓએ માર્ગમાં વિધ્નો ઊભા કર્યા. એમાંય શાલ્વરાજે રાજકન્યા અંબા માટે દેવવ્રત સામે કુમાર દેવવ્રત ભિષ્મે પોતાના સામર્થ્યથી સહુને હંફાવી દીધા અને હસ્તિનાપુર પહોંચી ગયા.