ચરિત્ર
ચરિત્ર
આનંદનગર સોસાયટી એ 'ભગતની સોસાયટી' તરીકે વધારે પ્રખ્યાત હતી. તેનું કારણ હતું,બી/૩૯ ઘરમાં રહેતા ધર્મનિષ્ઠ મુકેશ ભગત. સોસાયટીનાં કોઈપણ ધાર્મિક પ્રસંગમાં, પછી એ દશેરાનો નવચંડી યજ્ઞ હોય કે ગણેશવિસર્જનમાં થતી સત્યનારાયણની કથા, ચાતુર્માસની કથા હોય કે હનુમાન જયંતી પર યોજાતા સુંદરકાંડનાં પાઠ, દરેકમાં મુકેશ ભગતનું જ નામ લેવાતું.
એમની જ સોસાયટીના કમલેશભાઈ એ તો મુકેશ ભગતના જીવન ચરિત્ર ઉપર એક પુસ્તક લખવાનું શરૂ કરી દીધું હતું. અરવિંદભાઈના પરાગને પ્રેમપ્રકરણમાંથી બહાર કાઢીને, તેની જેની સાથે સગાઈ થઈ હતી તે છોકરી સાથે લગ્નગ્રંથિથી જોડાવા માટે મુકેશ ભગતે તો સમજાવ્યો હતો.
પરંતુ આજે તો આનંદનગર સોસાયટીમાં પોલીસવાન આવી અને સીધી જ મુકેશ ભગતના ઘર પાસે ઊભી રહી. સોસાયટીમાં હો - હા થઈ ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ જતાં જતાં અરવિંદભાઈ ને કહ્યું કે," જો તમને ક્યાંય પણ મુકેશ ભગતનો પતો મળે તો પહેલાં પોલીસ સ્ટેશને આવી ને મને જાણ કરજો. મુકેશ ભગત તમારી સોસાયટીના ઘર નંબર -૩૮ માં રહેતા મગનભાઈ બારોટના પત્ની સાથે ગઈકાલે જ ભાગી ગયા છે."
અને અરવિંદભાઈ બોલી ઊઠ્યા," ખરેખર, પ્રેમ તો આંધળો હોય છે."