ચાર રસ્તા
ચાર રસ્તા
પ્રિતીબેને લાયન્સ ક્લબમાં અંધશ્રધ્ધા ઉપર વ્યક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, 'અંધશ્રધ્ધા દુર બહેનો જ કરી શકે. બહેનોજ આવાં ટુચકા કરતી હોય છે, જેમકે બારણે લીંબુ મરચાં ટીંગાડવા, ચાર રસ્તા પર ગોળ કુંડાળું કરીને એમાં લીંબુને આડું કાપી એમાં સિંદૂર ભરીને મૂકવું, ચાર રસ્તા પર અળદની દાળનાં વડાં મૂકીને પાછળ જોવું નહીં, આવાં તો કંઈ કેટલાય ટુચકા કરતી હોય છે. બહેનો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આવાં અંધશ્રધ્ધાવાળાં કામો કરીશું નહીં.
ઘરે આવીને રાત્રે વાળું કરીને સુઈ ગયાં. લગભગ ૧૨ વાગ્યે પતિએ ઉંઘમાં લવારા કરવા માંડ્યા,"કોઈ મારું ગળું દબાવે છે, કોઈ મને લેવા આવ્યું છે." વગેરે. પ્રિતીબેન સવારે ચાર વાગ્યે, ચાર રસ્તે અળદની દાળનાં વડાં મૂકી આવ્યાં, પાછું વળીને જોયા વિના સીધા ઘરે આવી ગયાં.