અંધકાર
અંધકાર
"ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા".
અંધકાર ! કેવો અંધકાર ? ઉજાસ વિનાનો અંધકાર કે પછી અસત્યોથી ભરેલો અંધકાર ? અજ્ઞાનતા નો અંધકાર કે પછી કુરિવાજોની માન્યતાઓનો અંધકાર ? નિરાશારૂપી અંધકાર કે પછી અજવાળાની નીચે છૂપાયેલો અંધકાર ? કહેવત છેને કે " દીવા તળે અંધારું". અંધકાર પણ અનેકાનેક હોય છે.
જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ઊભી ના થાય, ક્યારેય પણ હતાશાના કે દુઃખ ના અંધકારમાં ગરકાવ ના થવું જોઈએ, કારણકે કોઈ પણ અંધકાર કાયમ માટે રહેતો નથી. નિશાનો અંધકાર હંમેશા ઉષાના અજવાળા ને સાથે લઈ ને જ આવે છે. બસ એક આશાભરી નજર જોઈએ, આવતા અજવાળા ને જોવાની.
તાજેતર ના મહામારી નાં સમય નું જ ઉદાહરણ લઈએ. જ્યારે કોરોનાનો સૌપ્રથમ કેસ ભારત માં આવ્યો, ત્યારેજ જો બધાં જ ભારતીયો હતાશાના અંધકારમાં ગરકાવ થઈ ગયા હોત તો આજે આપણે કોરોના પર વિજય મેળવનારી રસી શું શોધી શક્યા હોત ? ના, બિલકુલ નહીં. એટલેજ ગમે તેવા હતાશાના અંધકારભર્યા પરિબળો આપણી આસપાસ કેમ ના હોય, આપણે ફક્ત અને ફક્ત આશાભરી મીટ માંડીને ભવિષ્ય તરફ જ લક્ષ્ય સેવવાનું હોય.
" હો અંધકાર, દુઃખ મૃત્યુની યાતનાય,
એમાંથી માર્ગ કરી જીવન વહેતું જાય."
આપણા ભારતમાં હજી પણ કેટલીય રૂઢિગત માન્યતાઓ અને કુરિવાજોનો અંધકાર છવાયેલો છે, જે અજ્ઞાનતાનાં અંધકારથી આવેલો છે. અને એટલા માટે જ વધુમાં વધુ લોકોને શિક્ષિત થવાની જરૂર છે. તો જ આ અજ્ઞાનતા અને કુરિવાજોનાં અંધકારને સાચી રીતોનાં જ્ઞાનરૂપી અજવાળામાં બદલી શકીશું.
આવોજ એક અંધકાર છે, અસત્યનો.
"અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા."
અસત્યોનાં અંધકારમાંથી પણ આપણે સત્યનાં અજવાસ તરફ પ્રયાણ કરવું જોઈએ. ભલે અસત્યોનો પક્ષ ગમે તેટલો મોટો કે મજબૂત કેમ નાં હોય, પણ વિજય હંમેશા સત્યનો જ થતો રહ્યો છે ને રહેશે. એ આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ. "સત્યમેવ જયતે." અંતમાં પ્રભુને એક જ પ્રાર્થના છે કે " વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો, પ્રભુ ! હે જીવન જ્યોત જગાવો."