આશરો
આશરો
શહેરના નામાકિંત શેઠ હતા. વેપારીઓ એમને બહુ જ માન આપતા હતા. ધનાઢ્ય કુટુંબ હતું. મોટો આલિશાન બંગલો હતો.. ખૂબ જ મહેનત કરીને આગળ આવેલા અનિલ ભાઈ. અને એ મહેનત નું ફળ સંતાનોને એ રીતે મળ્યું કે જન્મ થયો ત્યારથી તે શ્રીમંત પરિવારમાં જન્મેલા ગણાયા.
પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. કોઈ પણ વાતે બાળકોને ઓછું ન આવવા દીધું. આગળ અભ્યાસ માટે પરદેશ પણ મોકલ્યા કે લક્ષ્મીજી અને સરસ્વતીજી બંનેનો ઘરમાં વાસ રહે.
બંગલામાં પાછળ નોકરો માટે બનાવેલા એક રૂમ રસોડાના મકાનમાં રહેતા નોકર કુટુંબનો દીકરો પણ શેઠના એક દીકરા જેટલો જ હતો. બંને દીકરા પરદેશ ચાલ્યા ગયા ત્યારે તે ગરીબ છોકરો લક્ષ્મણ આગળ અભ્યાસ ન કરી શકે તેમ હોય ડ્રાઇવર તરીકે લાગ્યો. પાછળની સીટ પર બેઠેલા શેઠની ફોન પર થતી વાતચીત અને આગળના મિરરમાં તેમના દેખાતા પ્રતિબિંબ માં તેમના હાવભાવ તે બધાનો તે પુરાવો હતો. તેને ક્યારેક લાગતું કે શેઠ પોતાના પુત્રોને જરૂર કરતાં વધારે સગવડો આપે છે જેનાથી ક્યારેક નુકશાન થઈ શકે. પણ એ શેઠ ને સમજાવી ના શકે, નહીં તો નાના મોઢે મોટી વાત જેવુ લાગે અને શેઠ ને ના ગમે, ગુસ્સો આવે તો નોકરીથી હાથ ધોવા પડે જે એને અને એના પરિવારજનોને પોષાય એમ ન હતું.
અભ્યાસના વર્ષો પછી પાછા આવેલા પુત્રો એ વ્યવસાય સંભાળી લીધો. અને પ્રેમ લગ્ન કરી પોતાની દુનિયા વસાવી લીધી. એક દિવસ પુત્રો એ કહ્યું કે પપ્પા હવે તમે આરામ કરો અને તમારી હરવા ફરવા અને બીજા શોખ પૂરા કરો અમે ધંધો સંભાળી લઈશું.
અને ધીમે ધીમે તેમાં એવો પગપેસારો કર્યો કે બધું જાણે પોતાના હસ્તક લઈ લીધું. પિતાની કોઇપણ વાત તેઓ "હવે આવો ટ્રેન્ડ નથી. અમે પરદેશ ભણીને આવ્યા છીએ." તેમ કહી તેઓ ઉડાવી દેતા.આ બધુ જુનવાણી છે આવી રીતે ધંધો ના થાય પપ્પા તમને ખબર ના પડે હાલ બધું લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા કંપની ચાલે.
પિતાના આંધળા પ્રેમે દીકરાઓ બહુ જ હોશિયાર છે તેમ સમજી બધું જ તેમના નામે લખી દીધો. "વારસામાં" બધી સંપત્તિ લખી દીધી. અને મિલકત મળતા જ દિકરાઓ એ એમના રંગ બતાવાના ચાલુ કયાઁ.
ધીમે ધીમે પુત્રોને તેમની સ્વતંત્રતામાં અને ઘરમાં માતા-પિતા ખૂંચવા લાગ્યા. અને એમને બહાર કાઢી દીધા. ત્યારે નોકર ના પુત્ર એ તેમને રસ્તામાંથી પોતાના ઘરે આશરો આપ્યો અને કહ્યું, "આ ઘર તમારું જ છે, તમારું જ આપેલું છે. તમે મારા પિતાની જેમ જ આ ઘરમાં મને દીકરો ગણી રહી શકો છો." ત્યારે તે મોટા બિઝનેસમેન અનિલ ભાઈ શેઠ અને શેઠાણી ને એમ થયું કે સંપત્તિના બદલે મારા નોકરે તેના સંતાનોને સંસ્કારનો જે વારસો આપ્યો તે શ્રેષ્ઠ છે. થોડા દિવસો પહેલા હું મને ખૂબ જ પૈસાદાર ગણતો હતો પણ આ ગરીબ મારા કરતા ઘણો અમીર છે. અને હું આજે આશ્રિત છું....
