આભાસ
આભાસ
મનોહર મકાઈના ખેતરમાં રખેવાડી કરવા ગયો હતો. તે ખેતરના શેઢે બનાવેલા માંચડા પર બેસી તમરાં અને શિયાળવાંના અવાજ સાંભળી રહયો હતો. અમાસના અંધારામાં આજુબાજુના ખેતરમાં રખેવાળી કરવા આવેલા શેઢા પાડોશી લોકો દેખાતા નહોતા, પણ એમના થોડી થોડી વારે ખાંસવાના અવાજ નીરવ રાત્રિમાં મનોહરને સંભળાતા હતા. મનોહર મનમાં ભજન ગાતો ગાતો ખેતરની ચોકી કરી રહ્યો હતો.
એટલામાં એને આભાસ થયો કે કોઈ ધીમા પગલે તેના માંચડા તરફ આવી રહ્યું છે. મનોહરે બુમ પાડી કોણ છે ? પણ કોઈ પ્રત્યુત્તર કે અવાજ આવ્યો નહીં. તેને લાગ્યું કે મને ખાલી આભાસ જ થયો છે. થોડીવાર પછી ફરીથી ધીમા પગલાંનો અવાજ આવ્યો. મનોહરને હવે થોડી બીક લાગવા માંડી એટલે હાથમાં લાકડી લીધી અને માંચડા પરથી નીચે ઉતરવા જતો હતો. ત્યાં પાછો ફરીથી ધીમા પગલાંનો પગરવ સંભળાવા લાગ્યો. તેને લાગ્યું કે કોઈ ધીમા પગલે માંચડા તરફ આવી રહ્યું છે.
આ વખતે જે આવે તેને જોઈ લઈશ એવા મક્કમ નિર્ધાર સાથે તે બેસી રહ્યો. તેના તરફ આવી રહેલા પગરવનો અવાજ નીરવ શાંતિમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ધીમાં ધીમાં પગલાનો અવાજ છેક તેના માંચડા નજીક આવતાં મનોહરે જોયું, તો તેની પ્રિયતમા રેવા ઉભી હતી.
રેવા ધીમા પગલે માંચડા પર ચડી. મનોહર પાસે બેસી અને મનોહરની સામે જોઈને પ્રેમથી બોલી "મનોહર હું તારા વગર જીવી શકીશ નહિ. હું બીજી કોઈ જગ્યાએ લગ્ન નહીં કરું. ભલે મારા માતાપિતા તારી જોડે લગ્નન કરાવી આપવાની ના પાડે છે. પણ હું તને મારો પતિ માની ચુકી છું. હું સિંદૂર લઈને આવી છું. તું મારા સેથામાં સિંદૂર ભરી દે.જો તું મારા સેથામાં સિંદુર નહી પુરે તો હું દુનિયામાંથી અલવિદા થઈ જઈશ."
મનોહરે રેવાને પ્રેમથી સમજાવી પણ રેવા આજે કોઇપણ વાત માનવા તૈયાર નહોતી. રેવાએ મનોહરને પોતાની પ્રીતના સોગન આપ્યા અને સેંથામાં સિંદુર પુરાવ્યું. રેવાના સેથામાં સિંદુર પુરાતાં જ રેવા ખુશીથી નાચવા લાગી. તે માંચડા પરથી નીચે પડવા જતી હતી ત્યાં જ મનોહરે બૂમ પાડી રે...વા.. પણ આ શું ! મનોહરની આજુબાજુ કોઈ નહોતું. મનોહરની સાથે આજે જે કંઈ ઘટના બની એ ખાલી આભાસ હતો. મનોહર મનમાં બોલ્યો કાશ આ આભાસ ના હોત અને હકીકત હોત તો કેટલું સારું....
મનોહરની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. બે વર્ષ પહેલાં રેવાએ આત્મહત્યા કરી હતી. કારણકે રેવાના માતાપિતા મનોહર સાથે લગ્ન કરાવવા રાજી નહોતા.