આત્મહત્યા
આત્મહત્યા
જાનવી મધ્યમ પરિવારની અને બધાની લાડકી દીકરી હતી. તેના ઘરના બધા સભ્યો નાની મોટી નોકરી કરી ઘર ખૂબ સારી રીતે ચાલે તેવા પ્રયત્ન કરતા. એટલે તેમના ઘરમાં પૈસાની તંગી રહેતી નહિ..
જાનવીનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. તે પણ એક મોટી કંપનીમાં નોકરી કરતી હતી. તેને કંપનીમાં કામ કરતા સહકર્મચારી જય સાથે પ્રેમ થઈ ગયો હતો. તે બંનેને એકબીજા વગર ચાલે નહીં. આખો દિવસ કંપનીમાં સાથે જ હોય પણ રાતે પણ કલાકોના કલાકો મોબાઈલ પર વાતો કરતા હોય. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. જય થોડો ગરીબ ઘરનો છોકરો હતો તો જાનવી તેને આર્થિક રીતે ઘણીવાર ઘરના વ્યક્તિઓથી છૂપાવીને મદદ પણ કરતી. પણ જય વિચારતો આટલા ઓછા પગારમાં કેવી રીતે જિંદગી જીવાશે. તેના સપના ખૂબ મોટા મોટા હતા. એને તો ખુબ જ માલદાર બનવું હતું. તે મોટો માણસ બનવાના સપના જોયા કરતો.
થોડા સમય પછી કંપનીમાં એક સુંદર તેમજ ફેશનેબલ છોકરી દાખલ થઈ. તેનું રૂપ અવર્ણનીય હતું. તે રૂપરૂપનો અંબાર હતી. તે કંપનીના માલિકની દીકરી દિયા હતી. તેને જોઈને જયે વિચાર કર્યો કે હું આને પ્રેમ કરીશ. તો મારા બધા સપનાઓ પુરા થઈ જશે. તે જાનવીને ઇગ્નોર કરવા લાગ્યો. અને જાનવીને છોડી દીધી, અને દિયાની પાછળ ફરવા લાગ્યો. જાનવી એકલી પડી ગઈ તે વિચારવા લાગી કે આ માણસ માટે આટલું બધું કર્યું જાનથી પણ વધારે એને પ્રેમ કર્યો. અને જયે રૂપાળી છોકરી અને પૈસા માટે મને છોડી દીધી. તે વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી.તે આખો દિવસ રડતી રહેતી. તેના મનમાં આખો દિવસ આત્મહત્યા કરવાના વિચાર આવતા, તે તેના પરિવારને જોતી અને મનમાં વિચારતી કે એક વ્યક્તિ માટે શું કામ આત્મહત્યા કરું મને પ્રેમ કરવાવાળો મારો પરિવાર છે. તે જય ના દગાને ભૂલવાનો પ્રયત્ન કરતી. કંપનીમાંથી છૂટતી વખતે તે વિચારોમાં ખોવાયેલી હતી. અને અચાનક તેને કારની ટક્કર વાગે છે. તેના ચહેરા ઉપર અને માથામાં ખુબ ગંભીર ઈજાઓ થાય છે. અને તેના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર પડે છે. અને હવે જાનવીનો ચહેરો ખૂબ સુંદર અવર્ણનીય બની જાય છે. જેની કાર સાથે જાનવી અથડાઈ હતી. તે શેઠ ખૂબ દયાળુ અને માલદાર હતાં તેમણે હોસ્પિટલનું પૂરેપૂરું બિલ ચૂકવ્યું. તેમને જાનવીમાં પોતાની દીકરીનો ચહેરો દેખાતો હતો. જે વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. શેઠ એકલા જ રહેતા હતા. તેમણે જાનવી અને પરિવારને પોતાના ઘરે બોલાવી લીધા, અને જાનવીને પોતાની દીકરી બનાવી અને કંપનીમાં પણ એને સહભાગીદાર બનાવી દીધી.
આ બાજુ જય દિયા પાછળ પાગલ બને છે. પણ દીયા તેની જોડે પ્રેમનું નાટક કરીને તેને છોડી દે છે. જય ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે નાસીપાસ થઈ જાય છે. તે વિચારવા લાગ્યો કે રૂપ અને પૈસા પામવા માટે આંધળો બની દિયાની પાછળ દોટ મૂકી. અને જાનવી જેવી લાગણીશીલ અને પ્રેમાળ વ્યક્તિને મે દગો આપ્યો. તે હવે જાનવી પાસે પાછો જવા માગતો હતો. તે જાનવીના ઘરે ગયો.અને જાનવીની માફી માગવા લાગ્યો. પણ જાનવીને એ દિવસો યાદ આવ્યા. કે આ વ્યક્તિ માટે મેં કેટલું કર્યું હતું તો પણ બીજાનો પ્રેમ અને પૈસા પામવા માટે મને એક જ ઝાટકે તેના જીવનમાંથી દૂર કરી દીધી હતી. હું આત્મહત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી. આંખમાં આવેલા આસું લૂછતાં લૂછતાં તેણે જયને કીધું, હવે તારા માટે મારા મનમાં કોઈ પ્રેમ કે લાગણી નથી. તને મારા પ્રેમની કદર નહોતી. મારી જોડે માફીની અપેક્ષા રાખીશ નહિ. તું અહીંથી ચાલ્યો જા.
દિયાની દગાબાજીથી જય દુઃખી હતો. અને જાનવીએ પણ એને માફ ના કર્યો. તેથી તે એકદમ તૂટી ગયો. તેને તો બધી બાજુથી જાકારો મળ્યો. હવે તેને પોતાની જિંદગી અંધકાર ભરી દેખાવા લાગી. તેણે નાસીપાસ થઈ,આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.
ઘણા માણસો એવા હોય છે, કે તેમની પાસે બધું જ સારું હોવા છતાં પણ વધારે સારું મેળવવાની લાલસામાં જે હોય છે, તે પણ ગુમાવી દે છે.