તારનારો રામ છે
તારનારો રામ છે
જિંદગીની નાવડીને હાંકનારો રામ છે,
નાવડીની આ સફરને,તારનારો રામ છે.
શું થયું બેસાડવા આસન નથી ઘરમાં છતાં,
હોય શ્રદ્ધા, બોર એંઠાં ચાખનારો રામ છે.
વાંઝણા સંસારમાં છે યાતનાના બંધનો,
વેદનાના કર્મ બંધન તોડનારો રામ છે.
વાવણી જગમાં કરો સૌ સ્નેહની, શંકા ત્યજી,
લાગણીના ફળ મધુરા આપનારો રામ છે.
રામના નામે તરે પથ્થર એ સાચું છે છતાં,
ત્યાગશે જે રામ એને છોડનારો રામ છે.
જો હ્રદય ખોલી જતાવી ના શકો વિશ્વાસને,
એ છતાં ભીતર હૃદયમાં રાખનારો રામ છે.
પારકાંનું દર્દ જો સમજી શકો 'હેલી' તમે,
તો તમારા દર્દને પણ જાણનારો રામ છે.