પરીક્ષાનો વિષય
પરીક્ષાનો વિષય
પહેલાં લેતાં અગ્નિપરીક્ષા ચારિત્ર્યના નામ પર,
આજે વિધવિધ પરીક્ષણો શંકાથી કરાવાય છે,
લંકાથી સીતા પવિત્ર પાછાં ફરી શકે છે,
ને અભણ ધોબીના આરોપથી ફરી રુંધાય છે,
ચારિત્ર્ય કોનું ખરાબ? સત્ય કોનું સાચું?
નારીનું કે પુરુષનું? રોજ નવાં સવાલો પૂછાય છે,
અગ્નિપરીક્ષાના નામે સ્ત્રી પર આંગળી ચીંધાય છે,
ને કડવા ઘૂંટ અપમાનનાં આજે પણ પીવાય છે,
નારી મહાન છે, વંદનીય ને પૂજનીય છે,
એવાં નારાથી રોજ રોજ તેનું સમ્માન ઘવાય છે !!
નારીએ જન્મ આપ્યો છે તુજને, ઓ ! માનવ,
સીધી સાદી એ વાત કેમ અહીં વિસરાય છે,
નારી થકી છે સૃષ્ટિની શોભામાં અભિવૃદ્ધિ,
સંબંધો સઘળાં નારી થકી જ કેળવાય છે.