માતૃત્વ
માતૃત્વ
માતૃત્વ તો, કુદરત તરફથી સ્ત્રીને મળેલું, અલૌકિક વરદાન છે,
દરેક સંતાન માટે, એની મા બની રહે અભયદાન છે.
સંબંધોની દુનિયામાં સ્ત્રી તો ભજવતી હોય છે કેટકેટલા પાત્રો,
જિંદગીમાં મા તરીકેનું પાત્ર સહુથી પવિત્ર, સહુથી જાજરમાન છે.
ગર્ભાધાન સમયથી જ, શરુઆત થઈ જતી હોય છે માતૃત્વની અનોખી સફર,
મા તો નિસ્વાર્થ, અટલ અને અસીમ પ્રેમનું અનેરું આસમાન છે.
હાલરડાંથી શરૂ થતી જીવન શિક્ષણ યાત્રા ચાલુ રહે છે અવિરત,
જીવનની સાચી, સારી, પ્રથમ અને પ્રખર નિશાળ તરીકે માતૃત્વનું સ્થાન છે.
માની નજર હોય છે, એક એક્સ રે કરતા પણ વધુ અસરકારક,
વગર કહે સમજી જાય આપણા દર્દને, મા એટલી શક્તિમાન છે.
વ્હાલનો વાસ અને સમર્પણનું બની રહે છે જીવનભરનું સરનામું,
માતૃત્વ જેવું આપણી જિંદગીમાં ક્યાં કશું નિષ્ઠાવાન છે.
દરેક જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતા,
જો જો ધ્યાનથી, દરેક મા મળી રહે ભગવાનનું અનુસંધાન છે.
મા, માતૃભાષા અને માતૃભૂમિ ને ભૂલી શકાય કેમ કરીને ?
આ ત્રણેય સહુની જિંદગીની આન, બાન અને શાન છે.
જિંદગીમાં પહેલા અને છેલ્લા ઉચ્ચારણ તરીકે પણ માને મળે છે સન્માન,
મા અને સંતાનના સંબંધને તો ‘સૌરભ’, કુદરતે પણ આપ્યું બહુમાન છે.
