શાંતિ કરાર
શાંતિ કરાર
ધ ગ્રેટ એલેકઝાન્ડર આ નામથી કોઈ અપરિચિત હોય એ લગભગ અશક્ય છે, સિકંદર કે જેણે પોતાની બુધ્ધિ ચાતુર્યતા, બહાદુરી, કુશળ નિર્ણય શક્તિ, વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી સુસજ્જ વિશાળ સેના, કે જેનાં દમ પર સિકંદર આખી દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં સફળ રહેલ હતાં. આથી સિકંદરને 'એલેકઝાન્ડર ધ ગ્રેટ'નું બિરુદ આપવામાં આવેલ હતું. સિકંદર હજુપણ અમુક રાજ્યોમાં પોતાનો વિજય પતાકા લહેરાવવા માંગતો હતો, પરંતુ કહેવાય છે કે વધુ પડતી લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ આવતું હોય છે.
સ્થળ : સિકંદરનાં મહેલમાં આવેલ દરબાર ગઢ.
સમય : સવારનાં 10 કલાક
સિકંદરના દરબારમાં અલગ અલગ વ્યક્તિઓ દરબારમાં રહેલ સિંહાસન પર બિરાજમાન થઈને મહેલની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. અલગ અલગ કલાકારો સિકંદરની સામે પોત - પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યાં હતાં. એવામાં એક ચિત્રકાર સિકંદરની સામે પોતે દોરેલ એક ચિત્ર લઈને આવે છે. જે ચિત્ર લાલ રંગનાં પડદા દ્વારા ઢાંકેલ હતું. ત્યારબાદ તે ચિત્રકાર સિકંદરની પરવાનગી મેળવ્યા બાદ ચિત્ર પર રહેલ પડદો હટાવે છે.
આ ચિત્ર જોતાની સાથે જ સિકંદરની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે એકદમ પહોળી થઈ ગઈ. હાલ પોતે જે ચિત્ર જોયું તે જાણે સિકંદરના હૃદયને સ્પર્શી ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
"વાહ...શું… આદ્દભૂત કારીગરી છે...અદભુત ચિત્રકામ..!" સિકંદર આશ્ચર્ય પામતાં બોલે છે.
"આપનો આભાર !" ચિત્રકાર થોડું ઝૂકીને નમ્રતાં સાથે બોલે છે.
"શું..આ..ચિત્ર..તમારી કોઈ કલ્પના છે કે પછી વાસ્તવિકતા..?" સિકંદર આતુરતા સાથે ચિત્રકારને પૂછે છે.
"જી..મહારાજ..આ ચિત્ર મારી કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા છે.!" ચિત્રકાર સિકંદરને જણાવતાં બોલે છે.
"તો..આવું અદભુત સૌંદર્ય કયાનું છે..?" સિકંદર પૂછે છે.
"જી..મહારાજ..આ ચિત્ર છે.."માહિષ્મતી સામ્રાજ્યનું" જે જેની ચારેકોર અદભુત કુદરતી સૌંદયો જેવાં કે નદીઓ, પર્વતો, ઝરણાઓ અને નદીઓ આવેલ છે." ચિત્રકાર માહિષ્મતીની પ્રશંસા કરતાં જણાવે છે.
"કોણ છે..? ત્યાંના શાસક..?" સિકંદર મનમાં કંઈક વિચાર્યા બાદ ચિત્રકારને પૂછે છે.
"જી..ત્યાંના રાજા છે, કાલકૈયા જેવાં દાનવનાં સંહારક એવાં વીરોનાં વીર 'અમરેન્દ્ર બાહુબલી'. ચિત્રકાર બાહુબલી વિશે જણાવતાં બોલે છે.
"શાબાશ..!" પોતાનાં ગળામાં પહેરેલ પેશકિંમતી મોતીનો હાર ચિત્રકાર તરફ ફેંકતા સિકંદર બોલે છે.
ત્યારબાદ દરબારમાં સિકંદર અલગ અલગ વ્યક્તિઓની રજૂઆત સાંભળે છે અને તેનો યોગ્ય ન્યાય પણ કરે છે.
***
બે દિવસ બાદ
સ્થળ : માહિષ્મતી નગરી.
સમય : સવારનાં 11 કલાક
બાહુબલી પોતાની માહિષ્મતી નગરીમાં ધામધૂમ સાથે દિવાળીનો ઉત્સવ મનાવવામાં વ્યસ્ત હતાં, બરાબર એ જ સમયે ત્યાં રાજદૂત ચિંતાતુર હાલતમાં દોડતાં દોડતાં બાહુબલી પાસે આવે છે. તેનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારાઓ એકદમથી વધી ગયેલાં હતાં, તેની આંખો અને ચહેરા પર ડરની રેખાઓ સ્પષ્ટપણે દેખાય રહી હતી. એ હાંફતા હાંફતા બાહુબલીની નજીક આવે છે.
"શું બાબત છે..રાજદૂત..?" બાહુબલી હેરાનીભર્યા આવજે રાજદૂતની સામે જોઈને પૂછે છે.
"મહારાજ..વાત જ એવી છે…!" હાંફતા હાંફતા રાજદૂત બોલે છે.
"શું વાત છે..?" બાહુબલી પૂછે છે.
"મહારાજ ! આપણી સ્વર્ગથી પણ સુંદર એવી માહિષ્મતી નગરી પર જાણે કોઈ ગ્રહણ લાગવાનું હોય તેમ ગ્રેટ સિકંદરની નજર આપણાં માહિષ્મતી પર પડી છે, અને તે કોઈપણ સંજોગોમાં આપણી નગરીને હાંસિલ કરવાં માંગે છે, એ પછી સમજાવટથી તો સમજાવટથી, કે પછી યુદ્ધ તો યુદ્ધ દ્વારા પણ તે માહિષ્મતી નગરી મેળવવા માંગે છે.
આટલું સાંભળતાની સાથે જ બાહુબલીની આંખો ગુસ્સાને લીધે લાલચોળ થઈ ગઈ.
"જાવ અને કહી દો સિકંદરને કે,"જ્યાં સુધી આ બાહુબલી જીવિત છે, ત્યાં સુધી માહિષ્મતી નગરી તો શું ? પરંતુ માહિષ્મતી નગરીની એક ધૂળની ચપટી પણ તેનાં હાથે નહીં આવવા દેશે..!" બાહુબલી કમરે રહેલ મ્યાનમાંથી પોતાની તલવાર બહાર કાઢતાં બોલે છે.
ત્યારબાદ બાહુબલી પોતાનાં રાજદૂત દ્વારા સિકંદર સુધી સંદેશો મોકલાવે છે કે, "માહિષ્મતી નગરી પર રાજ કરવાનું સપનું છોડી દે...નહીંતર તેનું પરિણામ ખૂબ જ ભયંકર અને અકલ્પ્ય હશે." બાહુબલી દ્વારા મોકલાવેલ આ સંદેશો સાંભળતાની સાથે જ સિકંદર રઘવાયો બની જાય છે, તે ધુંઆપુઆ થઈ જાય છે. હાલ તે કોઈપણ કિંમતે માહિષ્મતી મેળવવા માંગતો હતો, પરંતુ બાહુબલીએ રાજદૂત દ્વારા જે સંદેશો મોકલાવેલ હતો, તે સાંભળ્યા બાદ વધુ ગુસ્સે થતાં થતાં રાજદૂતને જણાવતાં બોલે છે.
"કહી..દો…બાહુબલીને કે યુદ્ધ માટે તૈયાર થઈ જાય." સિકંદર રાજદૂતને જણાવતાં બોલે છે.
ત્યારબાદ રાજદૂત સિકંદર દ્વારા જે સંદેશો આપવામાં આવેલ હતો, તે સંદેશો લઈને માહિષ્મતી પરત ફરે છે, અને બાહુબલીને સિકંદરે આપેલ સંદેશો જણાવતાં કહે છે કે…
"મહારાજ ! સિકંદર કોઈપણ કિંમતે માહિષ્મતી મેળવવા માટે તૈયાર છે, તમારો સંદેશો સાંભળ્યા બાદ તેમણે યુદ્ધ માટે તૈયાર રહેવા માટે આપને જણાવેલ છે.
"હું ! મારા છેલ્લા શ્વાસ સુધી સિકંદર સાથે લડીશ…પરંતુ મારા જીવતાં હું ક્યારેય માહિષ્મતી પર તેનું રાજ કરવાનું સપનું સાચું નહીં પડવા દઈશ..!" બાહુબલી પોતાનો મક્કમ ઈરાદો જણાવતાં બોલે છે.
***
દસ દિવસ બાદ
સ્થળ : માહિષ્મતી નગરીની બહાર આવેલ યુદ્ધ મેદાન.
સમય : સવારનાં 11 કલાક.
આખરે જે બાબતનો ડર હતો, એ આજે વાસ્તવિકતામાં ફેરવાઈ ગયેલ હતું, સિકંદર પોતાનાં હજારો શસ્ત્રોથી સજ્જ સૈનિકો, વિશાલ સંખ્યામાં ઘોડા અને હાથીઓ વગેરે લઈને માહિષ્મતીની બહાર આવેલ યુદ્ધનાં મેદાનમાં આવી પહોંચેલ હતો. હાલ એ યુદ્ધ મેદાનમાં સૈનિકો કીડી મકોડાની માફક ઉભરાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.
આ બાજુ બાહુબલી પણ પોતાની સેના સાથે પૂરેપૂરી હિંમત સાથે સિકંદરની સાથે યુદ્ધ લડવા માટે તૈયાર હતાં, એવામાં રાજગુરુ અને રાજમાતા "હુમલો" એવો આદેશ આપે છે. આ સાથે જ બાહુબલી પોતાનાં સૈનિકોને દુશ્મન સેના પર વાયુ વેગે, વીજળીની માફક તૂટી પડવા માટે ઈશારો કરે છે.
જ્યારે આ બાજુ સિકંદર પોતાનાં સૈનિકોને હુમલો કરવાં માટેનો આદેશ આપે છે, જોત જોતામાં બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાય છે, આખે આખું યુદ્ધ મેદાન સૈનિકોની દર્દ અને પીડા ભરેલ ચિચિયારીઓથી ગુંજી ઊઠે છે. જોત જોતામાં એ યુદ્ધ મેદાન જાણે લોહીનાં મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેમ ચારે બાજુએ સૈનિકોનાં મૃતદેહો પડેલાં હતાં. હાલ ખુનસ અને જુસ્સામાં આવી ગયેલાં સૈનિકો, હાથીઓ અને ઘોડાઓ આ બધાં મૃતદેહોને પોતાનાં પગ હેઠળ કચડીને આગળ વધી રહ્યાં હતાં.
આ બાજુ બાહુબલી અને કટપ્પા દુશ્મનોનો ખાતમો બોલાવી રહ્યાં હતાં, જ્યારે સિકંદરનાં સૈનિકો હજુપણ તેનો સામનો કરી રહ્યાં હતાં. હાલ યુદ્ધ એવી પરિસ્થિતિ કે તબ્બેકે આવી પહોંચેલ હતું કે કોનો વિજય થશે ? કે કોનો કારમો પરાજય થશે..? એ નક્કી કરવું મુશ્કેલ લાગી રહ્યું હતું.
જ્યારે આ બાજુ બાહુબલી પોતાનાં બંને હાથમાં તલવારો લઈને પોતાનાં પાણીદાર અશ્વ પર સવાર થઈને એકદમ ડર્યા વગર, હિંમતપૂર્વક પુરજોશે સિકંદર તરફ આગળ વધી રહ્યો હતો. બરાબર એ જ સમયે બાહુબલીની છાતી પર એક ઉડતું આવતું તીર ખૂંચી જાય છે. આથી બાહુબલી જમીન પર પડી જાય છે.
આ જોઈ માહિષ્મતીનાં બધાં જ સૈનિકો ખૂબ જ ગભરાય ગયાં, પોતાનાં રાજાને આવી રીતે યુદ્ધ મેદાનમાં પડતાં જોઈને તે લોકોની હિંમતે જાણે જવાબ આપી દીધો હોય તેવું લાગી રહ્યું હતું, આ જોઈને તે લોકોનું મનોબળ એકદમથી ભાંગી ગયું….તેઓને હાલ પોતાની હાર દેખાય રહી હતી. આ જોઈ સિકંદર અને તેનાં સેનાપતિ ખડખડાટ અટ્ટહાસ્ય કરવાં માંડે છે. આથી સિકંદરની સેના વધુ ઉત્સાહ અને જુસ્સા સાથે બાહુબલીની સેના પર તૂટી પડવા આગળ વધે છે.
બરાબર આ જ સમયે તે લોકોનાં કાને કોઈ વ્યક્તિ ઉંચાઈ પરથી પડેલ હોય તેવો અવાજ સંભળાય છે, આથી સૌ કોઈ હેરાની સાથે પાછળ વળીને જોવે છે, તો તે અવાજ સિકંદર પોતાનાં ઘોડા પરથી નીચે પડ્યો હતો તેનો આવેલ હતો, આ જોઈ સિકંદરની સેના ગભરાય જાય છે..ત્યાંથી થોડે દૂર નજર કરે છે તો ભલાલદેવ ઊભેલ હતો, તે પોતાની ગદા પોતાની તરફ ખેંચી રહ્યો હતો. આથી સૌ કોઈને એ બાબતનો ખ્યાલ આવી ગયો હતો કે ભલાલદેવે સિકંદર પર જે પ્રહાર કર્યો, તેનાં પરિણામે સિકંદર બેભાન થઈને ઘોડા પરથી જમીન પર પડેલ હતો.
"ભલે..અમારા બે ભાઈઓ વચ્ચે ગમે તેટલો મતભેદ હોય, પરંતુ એ મતભેદ એટલો પણ નથી કે કોઈ શત્રુ કે દુશમન તેનો લાભ ઊઠાવી જાય..!" - બાહુબલીનો હાથ પકડીને ઊભાં કરતાં કરતાં ભલાલદેવ બોલે છે.
થોડીવાર બાદ સિકંદર ભાનમાં આવે છે, હાલ તેને ખૂબ સારી રીતે સમજાય ગયું હતું કે હાલ તેની લાલચ અને માહિષ્મતી મેળવવાની મહેચ્છાને કારણે હજારોની સંખ્યામાં સૈનિકો કમોતે મર્યા હતાં. ત્યારબાદ બાહુબલી અને સિકંદર વચ્ચે 'શાંતિ કરાર' થાય છે, અને તેઓ ભવિષ્યમાં ક્યારેય એકબીજા રાજ્યો પર ફરીવાર હુમલો ન કરવા માટેની પ્રતિજ્ઞા લે છે, આ ઘટનાએ જાણે સિકંદરનું હૃદય પરિવર્તિત કરી દીધેલ હોય તેવું લાગી રહ્યું હતું...ત્યારબાદ સિકંદર બધાં રાજાઓને આઝાદ કરીને તેઓને પોત પોતાનું રાજ્ય ફરી સોંપી દે છે.