એસિડ દાનવ
એસિડ દાનવ
આપણી દુનિયા ઘણાં વર્ષોથી કેટલાક ગાઢ રહસ્યોને પોતાની પેટાળમાં લઈને બેઠેલ છે, જેમાંથી અમુક રહસ્યો સમયની સાથે સમયનાં પ્રવાહ સાથે ઉકેલાતાં ગયાં, તો અમુક રહસ્યો આજની તારીખે પણ અકબંધ છે...આ રહસ્યો આવનાર ભવિષ્યમાં ઉકેલાશે કે નહીં તેનાં વિશે હાલ કંઈ કહેવું શક્ય નથી. એ તો આવનાર સમય જ આ વિશે જણાવી શકે તેમ હતો.
સમય : સવારનાં 11 કલાક.
સ્થળ : સરકારી હોસ્પિટલ.
ડૉ. રાજનસ્વામી પોતાની હોસ્પિટલમાં દાખલ થયેલાં બધાં દર્દીને તપાસીને પોતાની ચેમ્બરમાં બેઠેલાં હતાં, જ્યારે હોસ્પિટલનાં અન્ય કર્મચારીઓ પોત પોતાને સોંપવામાં આવેલ કામ પુરી નિષ્ઠા સાથે બજાવી રહ્યાં હતાં.
બરાબર એ જ સમયે એક વૃદ્ધ જેવાં દેખાતાં વ્યક્તિ પોતાની એન્ટિક કાર લઈને હોસ્પિટલનાં મુખ્યદ્વાર સુધી આવી પહોંચે છે, તેની સાથે એક કદાવર વ્યક્તિ હતો, જેનાં હાથમાં એક દોરી હતી, જેનાં બીજે છેડે શિયાળ બાંધેલ હતું. આ વૃદ્ધ વ્યક્તિને કારમાંથી ઉતારતાં જોઈને તેનાં ગામનાં લોકોનું ટોળું હોસ્પિટલનાં મુખ્ય દરવાજા તરફ દોડી આવે છે, અને પોત પોતાનું માથું ઝૂકાવીને જમીન પર ગોઠણ ટેકવીને બેસી જાય છે.
"ચાચા ચૌધરી...આપનો જય જયકાર હો..!" લોકોનું ટોળું પોતાનાં હાથ ઊંચા કરીને બધાં એકસાથે બોલી ઊઠે છે.
"ચાચા ! આ આપણાં ગામ પર એકાએક કેવી વિચિત્ર આફત કે મુશ્કેલીઓ આવી પડી ? કે દીકરાઓ મા બાપ વગરનાં, અને માઁ બાપ દીકરા વગરનાં, પત્ની પતિ વગરનાં અને બહેન ભાઈ વગરનાં બની ગયાં…અમને આ મુસીબતમાંથી માત્ર તમે જ બચાવી શકો એમ છો...અમારા પર દયા કરો…!" એક વ્યક્તિ ચોધાર આંસુઓ સાથે રડતાં રડતાં ચાચાની સામે જોઈને પોતાની વ્યથા જણાવતાં બોલે છે.
"ચિંતા ! ના કરો તમે બધાં… દરેક મુસીબત કે આફતોનો કોઈને કોઈ હલ કે નિવારણ હોય જ છે..!" ચાચા ચૌધરી ગામલોકોને આશ્વાસન આપતાં આપતાં બોલે છે.
ત્યારબાદ ચાચા ચૌધરી, તેની સાથે આવેલ કદાવર વ્યક્તિ એટલે કે સૂબા અને પેલું શિયાળ એટલે કે રોકેટ સાથે હોસ્પિટલમાં પ્રવેશે છે, હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ ચાચા ચૌધરી ડૉ. રાજનસ્વામીને મળવા માટે તેની ચેમ્બરમાં જાય છે, ત્યાં તે બંને વચ્ચે થોડી વાતચીત થાય છે. લાંબી વાતચીત અને ચર્ચા કર્યા બાદ ડૉ. રાજનસ્વામી ચાચા ચૌધરીની સામે જોઈને બોલે છે કે..
"ચાચા ! હું નાનપણથી જ તેમને એક અલગ જ પ્રકારનાં આદર અને માન સાથે જોતો આવ્યો છું, તમે મારા માટે આદર્શ છો એવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. હું તમારી તાકાત, બુદ્ધિ અને બહાદુરી વિશે નાનપણથી જ સાંભળતો આવ્યો છું...પરંતુ ચાચા આ કેસ દેખાવમાં જેટલો સરળ લાગે છે, હકીકતમાં એટલો સરળ નથી…!" ડૉ. રાજનસ્વામી ચાચાને વાસ્તવિકતાં જણાવતાં બોલે છે.
"રાજન ! હું કંઈ સમજ્યો નહીં…?" કપાળ પર ઉપસેલી કરચલીઓ સાથે ચાચા ચૌધરી રાજનની સામે જોઈને અચરજ સાથે પૂછે છે.
"જી ! ચાચા...મને પણ શરૂઆતમાં આ સામાન્ય બર્ન્સ (દાઝેલા) કેસ લાગી રહ્યો હતો, પરંતુ આટલાં બધા વ્યક્તિઓ એક સાથે કેવી રીતે દાઝી કે બલીને એકસાથે કેવી રીતે મૃત્યુ પામ્યાં હશે..? એ વિચાર આવતાં મને એક શંકા ગઈ, આથી તેઓનો શરીરનાં અમુક કોષને મેં લેબોરેટરીમાં વધુ તપાસ કરવા માટે મોકલ્યાં.. અને તેનું જે નિદાન આવ્યો તે જોઈને મારી આંખો આશ્ચર્ય સાથે પહોળી થઈ ગઈ..કારણ કે તે બધાનાં રિપોર્ટમાં એક સરખું જ નિદાન એટલે કે "એસિડ બર્ન્સ" એવું લખેલ હતું…!" ડૉ. રામનસ્વામી ચાચાને વધુ માહતી આપાતા જણાવે છે.
"તો શું એ લોકો એક સાથે બળીને નથી મર્યા…? શું આ કોઈ રહસ્યોથી ભરેલો કેસ છે..? તે બધાં ભોળા લોકો કેવી રીતે "એસિડ બર્ન્સ" થયાં હશે..?" ચાચા એકસાથે ઘણાબધાં પ્રશ્નો ડૉ. રાજનસ્વામીને પૂછે છે.
"જી ! ચાચા ! હું એવું માનું છું કે આ બધી બાબતો કે રહસ્યો ઉકેલવામાં મારા કરતાં તમારી પાસે વધુ મહારત છે..!" ડૉ. રાજનસ્વામી વિનમ્રતા સાથે બોલે છે.
ત્યારબાદ ચાચા ચૌધરી ડૉ. રાજનસ્વામીનો આભાર માનીને હોસ્પિટલમાંથી બહાર નીકળીને પોતાની કારમાં બેસીને ઘરે રવાનાં થાય છે.
***
એ જ દિવસે
સમય : સાંજનાં 9 કલાક.
સ્થળ : ચાચા ચૌધરીનું ઘર.
ચાચા જમીને પોતાનાં ઘરની બહાર આવેલ બગીચામાં રહેલ ખુરશી પર બેઠેલાં હતાં, તેની બાજુમાં સુબો બેઠેલ હતો, જ્યારે રોકેટ તે બગીચના ઘાસમાં આમતેમ આળોટી રહ્યો હતું.
એવામાં ચાચા ચૌધરીનાં મોબાઈલમાં કોલ આવે છે, આથી ચાચા ચૌધરી પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢીને ડિસ્પ્લે પર નજર કરે છે. જેમાં લખેલ હતું…"શેરલોક હોમ" આથી ચાચા ચૌધરી ખુશ થઈને ચહેરા પર હળવા સ્મિત સાથે કોલ રિસીવ કરે છે.
"શું ! વાત છે આજે ઘણાં સમય બાદ ચાચાની યાદ આવી…?" ચાચા હસતાં હસતાં પૂછે છે.
"ના...એવું કંઈ નથી પરંતુ હું આજે ઘણાં દિવસો બાદ એકદમ ફ્રી થયો છું, તો મને થયું લાવ ચાચાને કોલ કરું..!" શેરલોક જવાબ આપતાં બોલે છે.
"તો ક્યારેય ચાચાને મળવા પણ તારે આવવું જોઈએ..!" ચાચા પોતાની વાત આગળ વધારતાં બોલે છે.
"એવું...તો ચાલો કોલ ડિસ્કનેક્ટ કરીને એકથી દસ સુધી ગણતરી કરો..આ શેરલોક તમારી સામેં હશે.!" શેરલોક ચાચાને સરપ્રાઈઝ આપાતા બોલે છે.
થોડીવારમાં શેરલોક ચમકતી કાર લઈને ચાચાના ઘરે આવી પહોંચે છે, ત્યારબાદ તેને ખૂબ જ પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે, ચાચા તેને ખૂબ જ પ્રેમથી જમાડે છે, પછી તેઓ જમ્યા બાદ ઘરની બહાર આવેલ બગીચામાં રહેલ ખુરશી પર બેસે છે. અને ચાચા શેરલોકને પોતે હાલ જે કેસ સોલ્વ કરી રહ્યાં હતા તેનાં વિશે જણાવે છે.
"પણ મારી દ્રષ્ટિએ આ કોઈ સામાન્ય એસિડથી બર્ન્સ થયેલાં નાં કહેવાય...આપણે પહેલાં એ બાબતની તપાસ કરવી પડે કે આવુ ભયાનક એસિડ ભોળા ગામડાંના માણસો પાસે ક્યાંથી આવ્યું…?" શેરલોક પોતાનો મગજ કસતા બોલે છે.
બરાબર એ જ સમયે તેઓને લોકોનો બૂમાબૂમ કરવાનો અવાજ સંભળાય છે, આથી તે બધાં જે દિશામાંથી બુમોનો અવાજ સંભળાય રહ્યો હતો, તે દિશામાં દોડવા માંડે છે...ત્યાં જઈને જુએ છે તો તેનાં ગામની નિર્મળ, શાંત અને ખળખળ કરતી વહેતી નદી જાણે એકાએક લાવામાં ફરવાઈ ગઈ હોય તેમ નદીનાં પાણીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, પાણી એટલી હદે ગરમ થઈ ગયું હતું કે તેમાં મોટા મોટા બુડબુડીયા થઈ રહ્યાં હતાં. નદીની કિનારે અબોલ અને નિર્દોષ પશુઓ આ પાણી પીવાને લીધે મૃત્યુ પામીને જમીન પર નિષ્પ્રાણ હાલતમાં પડેલ હતાં. આ જોઈ ચાચા, શેરલોક, સૂબા અને રોકેટ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે.
"ચાચા ! મને એવું લાગે છે કે આ ગામનાં ભોળા લોકોએ ભૂલેચૂકે આ નદીનું ઝેરીલું પાણી પીધેલ હશે...જે તેઓનાં પેટમાં જઈને એસિડમાં ફેરવાઈ જવાથી તેઓનું મોત નિપજ્યું હશે એવું મને લાગી રહ્યું છે." શેરલોક પોતાનો મંતવ્ય આપતાં આપતાં જણાવે છે.
"હા ! શેરલોક તારી વાત પર મને વિશ્વાસ આવી રહ્યો છે…!" ચાચા ચૌધરી જાણે આ કેસ સોલ્વ થઈ ગયો હોય તેવી રીતે બોલી ઊઠે છે.
બરાબર એ જ સમયે આ નદી જે ડુંગર પરથી વહી રહી હતી તે જગ્યા એટલે કે નદીનાં ઉદગમસ્થાન પાસે કોઈ બે મોટી મોટી દાનવ જેવી ડરામણી આંખો દ્રશ્યમાન થાય છે, આ વહેતી નદીમાં તે દાનવ પોતાનાં મોઢા વડે ઝેર ઓકી રહ્યો હતો, પરિણામે આ નદી જાનલેવા બની ગયેલ હતી...એવામાં જોત જોતામાં તે દાનવ ઊભો થાય છે, જે જોઈને બધાં જ લોકો ખુબજ ડરી જાય છે.
આ દાનવને જોઈને લોકોની ભીડમાં ભાગદોડ મચી જાય છે, એવામાં આ દાનવ ગામનાં નિર્દોષ માણસો પર ઝેર ઓકવા માટે પોતાનું મોં ખોલે છે….બરાબર એ જ સમયે જાણે તે દાનવના માથાં પર કોઈએ મોટા પથ્થર વડે જોરદાર પ્રહાર કર્યો હોય તેવું લાગ્યું, આથી એ દાનવ પાછળ ફરીને નજર કરે છે, તો સૂબા પોતાનાં હાથમાં એક મોટો પથ્થર લઈને ઊભેલ હતો, અને પૂરેપૂરી તાકાત સાથે પોતાનાં પર પ્રહાર કરેલ હતો.
"એસિડદાનવને મારવાનું તારું દુસાહસ…?" લાલચોળ આંખો સાથે પેલો એસિડદાનવ બોલે છે.
એ એસિડદાનવ આગળ કઈ બોલે કે કરે એ પહેલાં સુબો પહેલાં કરતાં વધુ હિંમત અને જોશ સાથે એસિડ દાનવ પર તૂટી પડે છે...અને થોડીવારમાં તે એસિડદાનવનાં રામ રમી જાય છે.
આ જોઈ ચાચા ચૌધરી, સૂબા, રોકેટ, શેરલોક હોમ્સ ઉપરાંત ગામમાં રહેતાં તમામ લોકો ખૂબ જ ખુશખુશાલ બની જાય છે, હાલ તેઓ એકદમ નિશ્ચિત બની ગયાં હતાં, આથી તે દિવસે ગામમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો,અને ગામ લોકોએ ચાચા ચૌધરી તેનાં મિત્રો અને ખાસ કરીને શેરલોક હોમનો બે હાથ જોડીને આભાર માન્યો.