વ્રતનું તેજ
વ્રતનું તેજ
સાસુ સસરાનો આગ્રહ જેમ જેમ વધતો ગયો, તેમ તેમ સુનંદાનો સંકલ્પ દ્રઢ થતો ગયો. એક દિવસ એણે આ સંકલ્પ જાહેર કરી જ દીધો, 'આપણે જૈન છીએ. આવાં વ્રતની આપણા માટે કોઈ નવાઈ નથી.' ગુરુ ભગવંત પાસે સુનંદાએ બ્રહ્મચર્યનું વ્રત લીધું.
સુવર્ણને પાછાં થયે બે વર્ષ થયાં હતાં. તે રોજ દીવો કરતી, 'લોકો ભલે તમારાં બલિદાનને ભૂલી ગયાં હોય, મને અને મમ્મી પપ્પાને યાદ છે. તમારી દીકરીનો ઉછેર તમારી ઈચ્છા પ્રમાણે જ થશે.'
સાસુ સસરાને વહુની ચિંતા રહેતી, ત્રીસ વર્ષની જ ઉંમરમાં તે વિધવા થઈ હતી, હતી પણ એટલી નમણી.
દીકરી ચાર વર્ષની થતાં સુનંદાએ તેનું કરાટેનાં ક્લાસમાં એડમિશન લીધું. સાસુએ તેને પણ ક્લાસમાં જવાનું સૂચન કર્યું. પોતે ડૉક્ટર હોવાથી સમયનો મેળ કેમ બેસાડવો ?
પોતે સવારનાં સાત વાગ્યે જતી અને દીકરી સાંજે પાંચ વાગ્યે જતી, તેડવા મૂકવાની જવાબદારી દાદા દાદીની રહેતી.
પોતે બેજીવી હોવાથી સુવર્ણએ તેને મેટરનિટી લીવ લેવડાવી દીધી હતી. પોતાને ચેપ ન લાગે તે માટે પોતે ડોક્ટર્સ ક્વાર્ટરમાં રહેતો. કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ લઈને પોતે કોરોના પેશન્ટ બન્યો. એકાદ વખત વિડિયો કોલથી વાત થઈ એટલું જ, દીકરીને લાડ લડાવવાની ઈચ્છા પોતાની સાથે જ લઈને ગયો.
ક્યારેક એકાંતમાં રડીને હળવી થતી, કઠણ થઈને મોઢે સ્મિત લાવતી.
તે ઘરમાં એકલી હોય ત્યારે સુવર્ણનાં ફોટા સામે જોઈને વાત કરતી, 'દેશની સેવા કરવા માટે કે દેશનું ઋણ ઉતારવા માટે સૈનિક બનવું જરૂરી નથી. દેશ માટે સેવાનાં સ્વરૂપે કોઈ પણ કામ કરનાર સૈનિક જ કહેવાય. તમે રાત દિવસ જોયા વગર, કુટુંબની પરવા કર્યા વગર કોરોના વોરિયર્સ બનીને લોકોની સેવા કરી છે. અમારાં માટે તમે દેશનાં શહીદ જ છો.
બ્રહ્મચર્ય વ્રતનું તેજ તેની નમણાશને વધારતું હતું.