સમય પર લીધેલો નિર્ણય
સમય પર લીધેલો નિર્ણય
અક્ષય પોતાની ઑફિસમાં બેઠાં બેઠાં કર્મચારીઓને કામ કરતાં જોઈ રહ્યો. તેની કુરિયર કંપનીની ઑફિસ ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી. એક જાણીતી કુરિયર કંપનીની ફ્રેનચાઈઝી ત્રણ વર્ષથી લીધી હતી. તેની આજુબાજુ સિઝનલ સ્ટોર હતાં. ઉત્તરાયણનો તહેવાર નજીક હતો, બજારમાં કોઈ જાતની ચહલ પહલ ન્હોતી, પહેલાં જેવો ઉત્સાહ આજની પેઢીમાં કેમ જોવા નથી મળતો ?
તેને મહામારીનાં દિવસો યાદ આવી ગયાં. દાદાનાં વખતથી તેઓનો જમાવેલો સિઝન સ્ટોર હતો. પપ્પાએ ખૂબ મહેનત કરીને ધંધો આગળ વધાર્યો હતો. પોતે હજુ પિતા બન્યો જ હતો કે મહામારી આવી. ઘરખર્ચની ચિંતા નહોતી. મહામારીનાં દિવસો આરામથી પસાર થઈ રહ્યાં હતાં. આ જ સમયે તેને વિચારતો કરી દીધો.
તેણે ઘરમાં પોતાનો વિચાર રજૂ કર્યો, 'આપણે ધંધો બદલીએ તો ?'
ઘરમાં સન્નાટો છવાઈ ગયો, ખૂબ ચર્ચા વિચારણા થઈ. છેવટે દાદાએ જ આ કુરિયર કંપનીની એજન્સી લેવાનો વિચાર આપ્યો, જેને બધાએ વધાવી લીધો. એજન્સી લેવા માટે રૂપિયા હતાં, જગ્યા હતી, અનુભવ નહોતો. કામ કરવા માટે કર્મચારીઓ તરત મળી ગયાં, તેમનાં બધાની નોકરી મહામારીએ છીનવી લીધી હતી !
કુરિયર કંપનીમાંથી શીખવવા માટે ખાસ સ્ટાફ આવ્યો હતો. તે અને તેનો સ્ટાફ કામ શીખતો ગયો. શરૂઆતમાં તેને ખૂબ ફ્રસ્ટ્રેશન આવતું, ક્યારેક ફરીથી સિઝનલ ધંધો ફરીથી શરૂ કરવાનું મન થતું.
દાદા સમજાવતાં, 'આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મેં પહેલાં નોકરી કરી, ત્યાંથી અનુભવ લીધો, થોડાં રૂપિયા ઉછીના લઈને ધંધો શરૂ કર્યો. એકબાજુ રૂપિયા પાછાં દેવાની ચિંતા, ઘર ચલાવવાની ચિંતા, અનુભવ હોવા છતાં આત્મવિશ્વાસનો અભાવ હતો. સમય સરતો ગયો, બધું સરખું થતું ગયું. તારે એવી કોઈ ચિંતા નથી. તું ચિંતા છોડીને આનંદથી નવા કામમાં ધ્યાન આપ.'
દાદાએ આપેલી હિંમતનું ભાથું બાંધીને નવા કામમાં ધ્યાન આપવા લાગ્યો. કામ કામને શીખવતું ગયું.
આજે પોતે લીધેલાં નિર્ણય પર ફકત તે જ નહીં, તેનાં સગા સંબંધીઓ, આસપાસનાં વેપારીઓ, હર કોઈ વખાણ કરતું હતું, પરંતુ ત્યારે...
'બાપદાદાનો જામેલો ધંધો છોડીને તારે નવો ધંધો શરૂ કરવો છે ? મહેનત કરીને ભેગું કરેલું બધું સાફ થઈ જશે. હજુ સમય છે, પાછો વળી જા.' આવું કહેનારા આ જ બધા હતાં.
સમયનો ખેલ પણ અજીબ છે. આમ તો મહામારી પહેલાં જ તહેવારોમાંથી લોકોનો રસ ઓછો થતો ગયો હતો, દિવાળીમાં પણ લોકો ઘરે રહેવાની બદલે ફરવા ચાલ્યાં જાય છે, એવામાં રંગોળીનાં રંગો ક્યાંથી વેચાય ? ચાઈનીઝ માલ સસ્તો મળવાને કારણે દેશમાં બનેલો માલ લોકોને મોંઘો લાગતો, પછી ભલેને પ્લાસ્ટિક દોરીથી લોકોનાં ગળા કપાય !
તેણે ઓફિસનાં મંદિરમાં રાખેલા ગણેશજી સામે મીટ માંડીને મનોમન નમસ્કાર કર્યા.