મા - જશુભાઈ
મા - જશુભાઈ
માતાજીનાં પાટોત્સવ નિમિત્તે નાત માટે મહાપ્રસાદનું આયોજન થયું હતું. જ્ઞાતિ બોર્ડિંગમાં જ મંદિર હતું, પૂરતી જગ્યા હોવાનાં કારણે દરેક કાર્યક્રમ ત્યાં જ ઉજવાતાં હતાં. પાટોત્સવની સાથે બોર્ડિંગમાં સેવા આપનાર ગૃહપતિનું સન્માન કરવાનું હતું.
પૂજા વિધિ સંપન્ન થયાં પછી સન્માન સમારંભ શરૂ થયો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. તેઓએ પોતાની લાગણીઓ કંઈક આ રીતે વ્યક્ત કરી.
'અમારાંમાંથી કેટલાંય વિદ્યાર્થીઓનાં માતાપિતા પાસે ફકત ફી ભરવાનાં રૂપિયા હતાં, ક્યારેક એ રૂપિયા પણ વખતે ન પહોંચતાં. કેટલાંક વિદ્યાર્થીઓને રોજિંદા જીવન માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે રૂપિયા ઓછાં પડતાં. બીજી એવી ઘણી બધી બાબતો હતી કે વિદ્યાર્થીઓને બોર્ડિંગમાં એવી સગવડ જોઈતી હોય.'
'એક બાળક ઘરની અંદર પોતાની તકલીફ કે જરૂરિયાત મા પાસે રજૂ કરે, મા એ તકલીફ પિતા પાસે રજૂ કરે, ત્યારે એનો નિવેડો આવે. એવી જ રીતે ગૃહપતિ જશુભાઈ છાત્રાલયની મા છે. તેઓની પાસે અમે અમારી તકલીફ રજૂ કરીએ એટલે તેઓ અમારી તકલીફ લઈને ટ્રસ્ટીઓ પાસે જતાં, અમારાં માટે જરૂરી સગવડો તેઓ મેળવીને જ જંપતાં. છાત્રાલયમાં રહેવા, જમવા માટે કોઈપણ જાતની ફી ત્યારે પણ ન્હોતી અને અત્યારે પણ નથી. વિદ્યાર્થીઓની ફીની જોગવાઈ પણ તેઓ ટ્રસ્ટીઓ પાસેથી કરાવતાં.'
'જશુભાઈ અમારાં માટે ઘરથી, પરિવારથી દૂર એક પરિવારની મા છે. માનું ઋણ ઉતારવાનું ન હોય, એટલે જ અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમનું ઋણ ચૂકવવાનું ભૂલ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી તેઓ પરિવાર સાથે છાત્રાલયમાં રહેતાં આવ્યાં છે, પોતાનું ઘર બનાવવાનું તેમને સૂઝયું નથી. આથી જ અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમને એક નાનકડું ઘર ભેટમાં આપવાની ભૂલ કરી રહ્યાં છે.'
સજળ નેત્રે જશુભાઈએ સમાજની સામે ઘરની ચાવી સ્વીકારી.