વિરહ બાદ મળ્યો માર્ગ સત્યનો
વિરહ બાદ મળ્યો માર્ગ સત્યનો
" કરું શું હું હિસાબ હવે આ બેવફા જિંદગી કેરો
સુખની શોધમાં ઝાંઝવા પાછળ જ દોડ્યા કર્યું."
પ્રેમમાં ભારે ઠોકર ખાઈને બેઠેલા વીરને જયારે દર્દ અપાર ભીતર છલકાયું, વિરહ વેદના હદપાર થઈ અને આંસુઓ સુકાવા લાગ્યાં ત્યારે જીવનનું સાચું સત્ય સમજાયું. ફરી તે પોતાના ભૂતકાળનાં સંસ્મરણોમાં સરી પડ્યો.
નાનપણથી જ વીર ભણવામાં શ્રેષ્ઠ હતો અને મોટો થતાં ફૂટબોલનો સારો ખેલાડી પણ બન્યો હતો. પિતાજીએ તેની મા અકસ્માતમાં ગુજરી જતા ફરી લગ્ન કરેલા. નવી મા પહેલા સારું રાખતી પણ પોતાનો દીકરો થતાં વીર સાથે ઓરમાયું વર્તન કરવાં લાગી હતી.
કોલેજ સુધી તો પિતાજીએ ભણાવ્યો પણ પિતાજી ગુજરી જતા માતાએ બધા જ પૈસા લઈને ઝગડો કરીને વીરને ઘર બહાર કાઢી મૂકેલો. કોલેજમાં એક સુંદર યુવતી માયા સાથે તેની દોસ્તી થઈ.
"નિખર્યો રંગ દોસ્તીનો હૈયે પ્રગટી પ્રીત
મિલન થતાં બે હૈયાનું છલકી ઝાઝી પ્રીત."
માયા ખુબ જ સુખી પરિવારની છોકરી હતી. તેને પિતાને કહીને વીરને ઓફિસમાં સારી નોકરી પણ અપાવી દીધી. એકલો પડેલો વીર હવે માયાનાં પ્રેમના પ્રભાવથી ચમકવા લાગ્યો હતો. માયાના કહેવાથી ફૂટબોલ મેચમાં જોરદાર આખરી ગોલ મારીને માયાને વિજયની ભેટ ધરી હતી.
કોલેજ પુરી થતાં માયાએ તેના પિતાને વીર સાથેના પ્રેમ સબંધની વાત જણાવી લગ્ન કરવાની ઈચ્છા જતાવતાં આનાકાની કરીને આખરે પિતાએ હા પાડી. હવે માયા સાથે અમીરોની પાર્ટીમાં જતાં વીર થોડો અલગ પડી જતો હતો. માયા કોઈ બીજા સાથે ડાન્સ કરે એ તેને ગમતું ન હતું. માયાને પણ વીરના આ જુનવાણી વિચારો ગમતા ન હતાં.
એકવાર અચાનક માયા આવીને હાથ જોડીને બોલી,
" વીર મને એક અમેરિકાથી આવેલ પિતાજીના મિત્રના છોકરા સાથે મારા માતાપિતા પરણાવા માંગે છે. "
"તારા પિતા જાણે છે આપણે પ્રેમ કરીએ છીએ તોય ?" વીર નવાઈ પામી બોલેલો.
"હા વીર પણ સાચું કહું તો હવે મને પણ તે છોકરો ગમવા લાગ્યો છે."
"તો જા તું પણ તને ગમે તે કર. ખુશ રહો સદા..!"
આટલું કહેતાંક 'સોરી ' કહીને માયા ચાલી ગયેલી અને તેના લગ્ન પણ થઈ ગયા હતાં.
દર્દમાં તડપતો વીર નદી આજ કિનારે બેઠો હતો. હવે તો જીવનમાં કાંઈ બાકી રહ્યું ન હતું પણ હવે તેને વહેતા વહેણને જોઈને માનવસેવા કરી બીજાને ખુશી આપી જીવવાની પ્રેરણા ભીતર પ્રગટી.
પોતાનાં જીવનના હિસાબનો ચોપડો સમેટીને તે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. પોતાની નોકરી કર્યા બાદ તે બાકીનો સમય તરછોડાયેલાં માવતરોની સેવામાં ગુજારવા લાગ્યો. પોતાનો ઝાઝો પગાર તે ત્યાં જ વાપરી દેતો. થોડા સમયમાં અનેક માવતરોનો લાડકો દીકરો બની ગયો. હવે તેને જીવનમાં કંઈક મેળવ્યું હોવાનો અહેસાસ સાચો થવા લાગ્યો અને સમજાયું કે વિરહ જ માર્ગ બતાવે છે સત્યનો.
એકવાર આશ્રમમાં એક હિમાલયથી મહાત્મા પધાર્યા. સત્સંગ બાદ સંસારની આગમાં બળી રહેલા વીરના હૃદયને પારખી જતા તેમણે વીરને કહ્યું,
"બચ્ચા જીવનકા તેરા સારા હિસાબ કિતાબ સરભર હો ગયા ઓર સચ્ચી માનવસેવાસે તેરી નિસ્પૃહ આત્મા પવિત્ર હો ગઈ હે. ચલ અબ મેરે સાથ ભગવાન કે સાથ મન, હૃદય, આત્મા કો જોડકર સારે સંસાર સે મુક્તિ પાને કા મોકા હે તેરે પાસ."
"મુક્ત થયો માયાજાળથી નહીં હૃદયમાં કોઈ આશ.
નિસ્પૃહ હૃદયમાં ઝબૂકે હવે સત્યની જ્યોત ભીતરે રાજ "
માયાએ તો જાતે જ વીરને મુક્ત કરી દીધો હતો એટલે વડીલોના આશીર્વાદ લઈને શુદ્ધ ભાવથી પ્રભુની સમીપે રહી કાયાનું કલ્યાણ કરી ભવસાગર તરવા વીર નીકળી પડ્યો.
"હિસાબ કિતાબની જયારે છૂટે બધી જંજાળ
મળે શરણ પ્રભુની તો થાય જીવનનો ઉદ્ધાર."
વિરહ બાદ જ મળ્યો માર્ગ સત્યનો.