વાત એક આદિલની
વાત એક આદિલની
આજે મારે આદિલની વાત કરવી છે, આદિલ એટલે મારી બાજુમાં રહેતો ૧૭ વર્ષનો થેલેસેમિયા મેજરથી પીડાતો એક બાળક. દર અઠવાડિયે એને લોહીના બાટલા ચડાવવા પડે, પોતાનું લોહી બને જ નહીં, પણ આટલી પીડાઓ હોવા છતાં એનો ચહેરો હંમેશા હસતો મુસ્કુરાતો હોય,ક્યાંય કોઈ પીડા કોઈ અલ્લાહ પ્રત્યેની ફરિયાદ એના ચહેરા પર કે, એના હોઠ પર, કે એની આંખોમાં ના દેખાય,
આદિલ એટલે ઉછળતો, કૂદતો, ગાતો બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહેતો, એકદમ પતંગિયા જેવી સ્ફૂર્તિ છે એનામાં, અંહી તહી દોડાદોડ કરતો જ હોય, એકદમ ઉત્સાહ અને ઉમંગથી છલકાતો, એને જોવ એટલે મને સવાલ થાય કે, એને ખબર છે એ બધા બાળકોની જેમ સામાન્ય નથી, એની જિંદગી ખૂબ ટુંકી છે છતાંય હંમેશા ગાતો રહેતો હોય,
આજુ બાજુ વાળા ને પૂછે લાવો કઈ કામ છે, અને કઈ લાવવું હોય તો સાયકલ આપો, એટલે ખુશી ખુશી લઈ આવે, હરખથી છલકાતો, કાલ ની જ વાત કરું, એને લોહી ચડાવ્યું એટલે ડોકટરે કીધું તું, રોઝો નહીં રાખતો, પણ તોય એને રોઝો રાખ્યો.
મને એ વિચાર આવે છે શું જિંદગી પ્રત્યે એને આસક્તિ નહીં હોય ? શું એને કોઈ મોહ નહીં હોય ? બધા બાળકોની જેમ ભણવાની ઈચ્છા નહીં હોય ? એના શું સપનાઓ નહીં હોય ?
એને કેવી શ્રદ્ધા નો દીપક જલાવ્યો હશે હૃદય કે નિરાશાનો ભયંકર પવન પણ એને ઓલવી નથી શકતો ? કેમ ક્યારેક મને એવો વિચાર આવે કે ઈશ્વર આવું કેમ કરતો હશે ?
ફૂલ ને જીવન ખૂબ ઓછું આપ્યું ઈશ્વરે, આ દુનિયાનું સર્જન કર્યું કે લોકો જોઈ શકે, તો પછી કેટલાય લોકોને આંખો કેમ નહીં આપી હોય ? મારા મનમાં ઈશ્વર પ્રત્યે કેટલી ફરિયાદો છે, અધૂરા સપના, અધૂરી આંકાક્ષા, પણ આદિલની આં ઈબાદત જોઈ મારું મન પીગળી ગયું. મે એક સવાલ મારી જાત ને કર્યો શું નથી મારી પાસે ? ઈશ્વરે માગ્યા કરતા વધારે આપ્યું છે તો, ફરિયાદ નહીં પણ શુકરાના અદા કરવા જોઈએ.
બસ આ નાના બાળકની શ્રદ્ધા મને હચમચાવી ગઈ, આંતરમનનાં મને કેટલાય જવાબો મળી ગયા,શ્રદ્ધાના દીપકમાં વિશ્વાસને આસ્થાનું તેલ હંમેશા પૂરી રાખવું, કે જેથી શંકા અને નિરાશાનો પવન એને ઓલવી ના શકે, અને જગતમાં ગમે તેવો ગાઢ અંધકાર હોય એ શ્રદ્ધાના દીપકથી ક્યાંય અલોપ થઈ જાય છે.
બસ મનની અંદર અહંકારરૂપી ધુમ્મસ છે, એટલે સુંદર દૃશ્યોને પણ નિહાળી શકતા નથી. બસ ઈશ્વર સ્મરણરૂપી સૂરજ કિરણો, આ ધુમ્મસને દૂર કરી દેશે, જેથી સુંદર વિચારો રૂપી ફૂલોની મહેક જીવનમાં ફેલાવી, અને આજુબાજુનું વાતાવરણ પણ મહેકતું કરી શકાય .
આ મન તો મહાબળવાન છે જોધાવર છે, બસ મનની જીતે જીતશું, મનની હારે હારશું. આ મનમા એક માનસિક ઘડિયાળ રહેલી છે, તમે એલાર્મથી નહીં ઊઠી શકો, પણ એકવાર દિલથી નક્કી કરો એ સમયે તમે જરૂરથી ઊઠી શકાશે, આપણો ધ્યેય ઈશ્વર પ્રાપ્તિનો છે. આં મન નાવડી છે ત્યાં સુધી પહોંચાડવા માટેની, પણ સકારાત્મક વિચારો ઊર્જા બક્ષે છે, જે ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ થાય છે.