તૂટેલું ઘર, બે ચાવી અને
તૂટેલું ઘર, બે ચાવી અને
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
એક"કેમ દિવાનજી આજે કંઇ બહુ ખુશ લાગો છો?"
"તે મિસિસ શાહ તમે પણ કંઈ ઓછા ખુશ ક્યાં છો?"
"હું તો ગઇકાલની રાત વિષે વિચારું છું."
"તે કંઈ નવું છે, એમાં આમ ખુશ થવા જેવું શું છે? નથી જાણતા કંઈ?"
"તમે પણ તો મંદ મંદ મુસ્કુરાઓ છો..."
એ દિવસની સાંજ ખરેખર સહુને માટે ખુશનુમા હતી. જોકે, પોતાના પાર્ટનર વગર જીવન જીવતા દીપ્તિબહેન અને કિશોરભાઈ માટે તો દરરોજની સવાર અને સાંજ ખુશનુમા જ હોય, પણ એ દિવસે એકબીજાને જોઈને મુસ્કુરાતા બંને મનોમન ખુશ થઈ રહ્યાં હતાં. ત્યાં જ તમન્ના આવી,
"નાની, હું ત્યાં સ્લાઈડિંગ પર રમવા જાઉં છું, મને લેવા ત્યાં આવજો."
તમન્નાને લઈને દીપ્તિબેન દરરોજ સાંજે ગાર્ડનમાં આવતા, પોતાનો પણ સમય પસાર થઈ જતો અને તમન્નાનો પણ. બસ ત્યાંથી જ તો આ ખુશીની પળોનો દરવાજો ખુલ્યો હતો. દીપતિબેનની એકની એક દિકરી અનયા, બેંકમાં નોકરી કરતી હતી, લગ્ન થયાને ત્રણ વર્ષે છૂટાછેડા લીધેલા. ત્યારથી દીપતિબહેન, અનયા અને તમન્ના સાથે સાથે રહેતા. ખુશ, સમૃદ્ધ અને સુખી છતાં એક માં માટે યુવાન ડિવોર્સી દીકરી અને નાની દોહીત્રી સાથે જીવવું થોડું ભારી તો હોય જ ને. અનયાનો પૂર્વ પતિને લગ્ન પહેલાં જ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા પણ પરિવારના દબાણે એણે અનયા સાથે લગ્ન કરવા પડેલા. અનયાને આ વાતની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, કારણકે તમન્ના દોઢ વર્ષની થઈ ગઈ હતી. સંજોગોને સ્વીકારીને ત્રણેય જીવતા હતા.
કિશોરભાઈ સાથે દીપ્તિબેનની ઓળખાણ એક વર્ષ પહેલા થઈ હતી, ગાર્ડનમાં જ. દરરોજની મુલાકાત થોડી વ્યક્તિગત બની અને પછી અંગત. સંબંધમાં મિત્રભાવ ગહન થયો અને જીવનના તાણાવાણાની એકમેકને કહીને હૈયું હલકું કરવાની શરૂઆત થઈ. ત્યારે કિશોરભાઈને અનયાની આખી વાતની ખબર પડી. એક મોડી સાંજે કિશિરભાઈ અચાનક દીપ્તિબેનના ઘરે પહોંચી ગયા. તમન્ના સાથે રમ્યા અને અનયાના હાથનું જમ્યા. થોડા દિવસ પછી એમણે દીપ્તિબેનને એક છોકરાનો ફોટો બતાવ્યો, આ પણ ડીવોર્સી છે, સારો છે, તમારી ઈચ્છા અને તકલીફ હું સમજુ છું, અનયાને વાત કરી જુઓ, સતત તમારા ચહેરા પર દેખાતી ચિંતા અને અજંપો ઓછો થઈ શકે એમ છે. વાત અનયા સુધી પહોંચી, પહેલા તો નકારો આવ્યો પણ આખરે અનયા તમન્નાના ભવિષ્યનો વિચાર કરીને એ વ્યક્તિને મળવા તૈયાર થઈ, એ વ્યક્તિ એટલે આલોક. એક વખત મળ્યા ત્યારે ખબર પડી કે આલોક બીજું કોઈ નહીં પણ કિશોરભાઈનો જ દીકરો છે અને ડિવોર્સી પણ છે. એની પત્ની સીમા લગ્નના એક વર્ષ પછી પીયેરના કહેવાથી કિશોરભાઈને અલગ કરવા માંગતી હતી અને આ વાત અંતે ડિવોર્સ સુધી પહોંચી ગઈ. અંતે ઘરમાં આલોક અને કિશોરભાઈ જ રહ્યા. દૂધનો દાઝયો હોય એ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, આલોક પણ કંઈ તૈયાર ન હતો પણ, કિશોરભાઈ એ જ એને તૈયાર કર્યો હતો અનયાને મળવા માટે. પહેલી વખત મળ્યા, બીજી વખત અને પછી મળતા જ રહ્યા. મુલાકાતનો અંત લગ્ન સુધી આવ્યો. તૂટેલા ઘરના બે વ્યક્તિઓને એમના જ માતા અને પિતાએ જોડયા, ઘર જોડાયું, સગપણ બંધાયું, પરિવાર પણ બન્યો. અને ત્યારે જ આલોકે ઘરની બે ચાવીમાંથી ચાર કરાવી. એક દીપ્તિબેનને અને એક અનયાને આપીને ઘર જોડયું.
આલોક અને અનયાના લગ્ન થયાના બીજા દિવસની આ વાત હતી જ્યારે બે બુઢ્ઢા સંતાનોના ફરી દાંપત્ય સંબંધની કલ્પના કરી મનોમન મુસ્કુરાતું હતું.