સુખનો સૂરજ
સુખનો સૂરજ
કાલિંદી જન્મી ત્યારથી લોકો તેને અપશુકનિયાળ કહેતાં હતાં. તેને જન્મ આપતાંની સાથે જ તેની માતા મૃત્યુ પામી હતી. ૪ વર્ષની થઈ ત્યાં સુધીમાં તો પિતા પણ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. મોટી થઈ ત્યારે લગ્ન કર્યા, પરંતુ બાળક ન થવાના કારણે "વાંઝણી" કહી તેના પતિએ તરછોડી દીધી. કાલિંદીએ પોતાના જીવનમાં ક્યારેય સુખનો સૂરજ જોયો જ નહોતો. તેનું જીવન હંમેશા કાળી, અંધારી રાત જેવું જ રહ્યું હતું.
પોતાના જીવનથી અને લોકોના મેણાંટોણાંથી કંટાળીને કાલિંદીએ આત્મહત્યા કરવાનું વિચાર્યું. તે જેવી આત્મહત્યા કરવા માટે નદીના કિનારા તરફ ગઈ, તેને કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. અવાજની દિશામાં આગળ વધી અને જોયું તો રૂપરૂપના અંબાર જેવું એક બાળક રડતું હતું. તેણે બાળકને છાતી સોંસરવું ચાંપી દીધું અને રડતું શાંત કર્યું.
ત્યારબાદ તેણે આખા ગામમાં પૂછ્યું, પરંતુ કોઈને આ બાળક વિશે કંઈ જ ખબર નહોતી. અંતે કાલિંદીએ તે બાળકને ભગવાનનો પ્રસાદ માની રાખી લીધું. બાળકના આવવાથી કાલિંદીના જીવનમાં જે અંધારી રાત હતી, તેની જગ્યાએ સોનેરી સૂરજ ઊગ્યો હતો. હવે કોઈ તેની તરફ ઉપેક્ષાની દ્રષ્ટિએ જોતું ન હતું. બાળકના આવવાથી કાલિંદીને જીવન જીવવાનું ધ્યેય મળી ગયું.