શરદપૂનમ
શરદપૂનમ
શરદોત્સવ — રાસોત્સવ એટલે પૂર્ણચંદ્રના પ્રકાશવાળી પૂનમ કહે છે. પુષ્ટિના મુખ્ય ઉત્સવોમાં “રાસોત્સવ”નું પ્રાધાન્ય છે. કારણકે રાસોત્સવનું મુખ્ય પ્રયોજન પુષ્ટિભક્તોને સ્વરૂપાનંદનું દાન અને કામદેવ ઉપર વિજય માટેનું છે અને ભજનાનંદમાં જે લીલા ઉપયોગી છે તે ફળ પ્રકરણમાં પ્રસિદ્ધ છે. તેમાં દરેક વસ્તુ અધિકાર પરત્વે છે. ઉચ્ચ કોટિના, અધિકારી ભક્તો માટે જ રાસનો ઉત્સવ છે.
ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત્ રસ સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવતના રાસપંચાધ્યાયીમાં ભગવાન શ્રીકૃષ્ણ તરફ ગોપીઓનો વિશુદ્ધ માધુર્યનો જે ભાવ બતાવવામાં આવ્યો છે તે રાસલીલા છે. પ્રભુ પ્રેમ અને આનંદના પૂંજ છે. તેમનો પ્રેમ પૂર્ણ વિશુદ્ધ છે. પ્રેમના માટે જ તેઓશ્રી એ અવતાર ધારણ કર્યો છે.
શરદપૂનમની રાત્રે પ્રભુ વેણુનાદ કરી રાસલીલા કરવાની ઈચ્છાથી વ્રજભક્તો ને બોલાવે છે. પ્રભુ વેણુનાદ કરી સર્વ ભક્તોના મન હરિ લે છે. ભગવાનની વેણુના નાદામૃતનું પાન કરીને દેહ ગેહની સુધ ભૂલીને આનંદ વિભોર થઈ ગોપીજનો શ્રીપ્રભુના જ ગુણ — સ્વરૂપની ચર્ચાઓ કરે છે.
શ્રી ઠાકોરજીએ વ્રજભક્તો સાથે રાસલીલા અનેક પ્રકારની કરી તેથી શ્રમજળ—પરસેવો પ્રકટ થયો. આ રસના ભોકતા શ્રીયમુનાજી છે એમ જાણી શ્રીઠાકોરજી ભકતો સહીત શ્રીયમુનાજીમાં પધાર્યા. જળક્રીડા કરીને શ્રમનું નિવારણ કર્યુ.
આ પ્રકારે રાસલીલા શ્રીમદ્આચાર્યચરણની દૃષ્ટીએ ભગવાનના અનુગ્રહીત ભકતોને સ્વરૂપાનંદનું દાન કરવાને અર્થે છે.
પુષ્ટિમાં શરદ પૂનમની રાત્રિ, “ ફલાત્મક મહારાત્રિ ” છે.

