સાચી લાગણી
સાચી લાગણી
મારું નામ હિના છે. મારા લગ્નજીવનને 5 વરસ થઇ ગયા છે. હું અને મારા પતિ પરાગ એકબીજાને ખૂબજ પ્રેમ કરીએ છીએ. અમે પ્રેમલગ્ન કરેલા હતા મારા પપ્પાની વિરુદ્ધ જઈને. પરાગ અનાથ હતો અને મારા મમ્મી પણ ગુજરી ગયા હોવાથી પપ્પાની કોઈક સારા સુખી કુટુંબમાં મને પરણાવવાની ઈચ્છા હતી પણ એમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ અને હું પરાગ સાથે પરણી ગઈ... મારે 2 વરસનો બાબો છે શ્લોક. અમારું જીવન સુખેથી પસાર થતું હતું પરંતુ એમાં એક વળાંક આવ્યો જેના લીધે અમારું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. મારા પતિ એમના મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયા અને તેઓ બધા બેસીને દારૂ પીતા હતા એવામાં ખબર નહિ શું થયું કે અચાનક એમના એક મિત્રએ બીજાને પેટમાં ચપ્પુ ઝીંકી દીધું અને એનો ભોગ બન્યા મારા પતિ....
ન્યાયની દેવી ખોટો ન્યાય નથી થવા દેતી એવી વાતો ચોપડીઓમાંજ સારી લાગે એ વાતનો મને મારા જીવનમાં અનુભવ થઇ ગયો. મારા નિર્દોષ પતિને 2 વરસની સજા ફરમાવવામાં આવી. તેઓ મારી અને એમના દીકરા વગરનું જીવન કલ્પીને જ દુઃખી થઇ ગયા. મેં એમને જેલમાં લઇ જતા પહેલા કહ્યું કે. 'તમે ચિંતા ના કરશો પરાગ. હું હાઈકોર્ટમાં કેસ મૂકીશ અને તમને છોડાવી દઈશ ' પણ જાણે મારી કોઈજ વાતની એમના પર અસર જ ના થઇ હોય એમ તેઓ નીચું મોં કરીને ચાલવા લાગ્યા.
ધીરે ધીરે સમય વહેતો ગયો. હું અને શ્લોક એમને જેલમાં મળવા માટે જતા પંદર દિવસે. એમને હિંમત આપતી પણ તેઓ સાવ હિંમત હારી ચૂક્યા હતા. મારી કોઈજ વાતોની એમના પર અસર નહોતી થતી પણ દુઃખનું ઓસડ દહાડા સમજીને હું પણ મારી રીતે પ્રયત્નો કરતી. ભગવાનને પણ બસ એકજ પ્રાર્થના કરતી કે કયારેય કોઈને કોર્ટના ચક્કર ના આવવા દે. હું થાકી જતી. શ્લોકને બાજુવાળા માસીને ત્યાં મૂકી જતી અને આખો દિવસ બસ પરાગને છોડાવવા માટે મથતી રહેતી.
એક દિવસ અચાનક મારા પપ્પાનો ફોન આવ્યો. આજે વર્ષો પછી એમનો ફોન જોઈને ખૂબજ નવાઈ લાગી. ફોન ઉપાડીને હું બોલી. 'બોલો પપ્પા આજે વર્ષો પછી યાદ આવી તમારી એકમાત્ર દીકરીની?? '
પપ્પાએ પૂછ્યું. 'બેટા તું ખુશ તો છે ને??'
મેં કહ્યું. 'હા. પપ્પા હું ખુશ છું પણ કેમ આવું પૂછો છો આટલા વર્ષો પછી??
પપ્પાએ કહ્યું. ' બેટા ઘણા મહિનાઓથી ચેન નથી પડતું પણ મને એમ કે તબિયત બગડેલી છે એટલે આવું હશે. પણ ગઈકાલે તું મારા સપનામાં આવી અને મને કહેવા લાગી કે પપ્પા પ્લીઝ મને મદદ કરો હું મુસીબતમાં છું. ત્યારે સપનામાં તો મેં કહી દીધું કે તે હાથે કરીને તારું ભવિષ્ય બગાડ્યું છે તો તુજ ભોગવ... પણ બેટા હકીકતમાં હું એટલો નિષ્ઠુર બાપ પણ નથી ' અને પપ્પાના આ શબ્દો સાંભળીને મારી લાગણીઓનો પૂર વહી ગયો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી... તેઓને ફોન પર એડ્રેસ આપ્યું અને તેઓ તરત ઘરે આવી ગયા. મેં બધીજ વાત કરી એમને અને તેમણે મને આશ્વાસન આપ્યું કે તેઓ પરાગને જલ્દી બહાર કઢાવશે.
આખરે પપ્પાની પણ મહિનાની દોડાદોડી અને એમની બુદ્ધિના લીધે પરાગ આજે જેલથી બહાર આવી રહ્યા છે..... 6 મહિના પછી મારા પરાગ ફરી અમારા જીવનમાં પાછા આવી રહ્યા છે.
જેલ એવી વસ્તુ છે જે સારા ને ખરાબ અને ખરાબને સારા બનાવી દે છે પણ ભગવાનની એટલી આભારી કે મારા પરાગ સારા હતા અને સારા થઈનેજ બહાર આવી રહ્યા છે.... હું પપ્પા અને શ્લોક પણ એના પપ્પાની રાહ જોઈ રહ્યો છે.
પપ્પાએ મારી સામું જોયું અને પૂછ્યું કે 'હવે તું ખુશ છું?? '
મેં કહ્યું. ' હા હું ખુશ છું.... '