STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Tragedy

4  

Prashant Subhashchandra Salunke

Tragedy

પથ્થરને વહાલ

પથ્થરને વહાલ

2 mins
517

પાનખરની એક વહેલી સવારે વિનાયક બગીચામાં લટાર મારવા ગયો. તે સવારની તાજી હવાનો લુફ્ત ઉઠાવી જ રહ્યો હતો ત્યાં ઓચિંતી તેની નજર બગીચાના બાંકડા પર બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર ગઈ. વિનાયક કાયમ આ સ્ત્રીને કોઈ પથ્થર પાસે બેસીને તેમને વહાલથી આમ પંપાળતા જોતો. આજેપણ તે વૃદ્ધા તેની પડખે આવેલા એક પથ્થરને વહાલથી પંપાળતા શુષ્ક અને ભાવવિહીન નજરે પવનની લહેરખીમાં આમતેમ અફળાઈ રહેલા પાંદડાઓને નિહાળી રહી હતી. વિનાયક હિંમત કરીને એ વૃદ્ધાની નજીક ગયો અને ધીમેકથી પૂછ્યું, “માજી, મેં પથ્થરને પૂજતા ઘણાને જોયા છે પણ પથ્થરને વહાલ કરતા તમને એકલાને જ જોયા છે! કોઈ પથ્થરને વહાલ કેવી રીતે કરી શકે છે?”


માજીએ કહ્યું, “બેટા, આ પથ્થરો સ્વભાવે ખૂબ વફાદાર હોય છે! હવે જોને પાનખરમાં આ વૃક્ષોના પાંદડા પણ તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા છે ત્યારે આ પથ્થરો આજેપણ આ ઝાડની પડખે અડીખમ ઉભા છે." આંખમાં આવેલા અશ્રુને લૂછતા લૂછતા વૃદ્ધા આગળ બોલી, "આ ઢળતી ઉંમરે મને ચાર ચાર દીકરાઓ હોવા છતાંયે આ જગતમાં હું એકલી અને નિરાધાર જેવી છું. ઘરમાં વહુઓ મહેણાટોણા સંભળાવે છે. આંતરડી કકળે નહીં ત્યાં સુધી મને ભોજન પણ મળતું નથી. કંઈક કહેવા જઉં છું તો મારા વહુઘેલા દીકરાઓ ઉલટાના મને જ ખખડાવે છે! આવા નિષ્ઠુર દીકરાઓને જણવા કરતા મેં પથરા જણ્યા હોત તો સારૂ થાત. બસ આ વિચાર આવતાં અનાયાસે જ હું પથ્થર પર વહાલથી હાથ ફેરવવા માંડું છું!” પવનથી ઉડી આવેલા એક પીળા પાંદડાને ઉઠાવીને વૃદ્ધા બોલી, “બેટા, અમારા વૃદ્ધોની હાલત પણ આ ખરી પડેલા પાંદડા જેવી જ નિરર્થક અને દિશાવિહીન હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે વૃદ્ધાવસ્થાએ મનુષ્યના જીવનની હોય છે પાનખર.”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy