પ્રમાણિકતામાં પરમેશ્વર
પ્રમાણિકતામાં પરમેશ્વર
એમની પ્રમાણિકતા જગજાહેર હતી. કોઈપણ એમના ઉપર વિશ્વાસ મૂકી શકે. ત્યાં સુધી કે અન્ય કામમાં તેમના વિરોધી હોય તે પણ તેમની પ્રમાણિકતા ઉપર પૂરો વિશ્વાસ રાખે. તેમનું માન અને મોભો પણ ખૂબ જળવાય. પ્રમાણિકતા જ તેમની તાકાત હતી.
એક વખત સિનેજગતના સરદાર ચંદુલાલ શાહ પાસે તેઓ ગયા. જઈને બોલ્યા, 'લોકો તમને પણ સરદાર કહે છે. ચૂંટણીના ફંડ માટે તમારે કોંગ્રેસને લાખ રૂપિયા આપવાના છે !' ચંદુલાલ શાહે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ રકમની વ્યવસ્થા કરી દીધી. તેમને ખાતરી હતી કે આ પૈસો કોઈ આડા રસ્તે જવાનો નથી. તેમની પ્રમાણિકતા પરમેશ્વર સમાન છે.
આઝાદી પહેલા પણ લડત માટે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે લોકોએ-ધનાઢય લોકોએ તેમની પ્રમાણિકતાને પરમેશ્વર સમજીને તેમને રકમ આપવામાં કયારેય આનાકાની કરી નહોતી. તેઓ ઉદ્યોગપતિ બિરલા પાસે જાય ને કહે, તો તેઓ પણ તરત રકમ આપી દેતા. ઉદ્યોગપતિ બજાજ પાસે જાય, તો તેઓ પણ ત્વરિત વ્યવસ્થા કરી દેતા. તેમની પ્રમાણિકતાને લીધે કદી' કોઈ પાસેથી નિરાશા સાંપડી નહોતી.
તેમની પ્રમાણિક છબીને કારણે તેઓએ જ્યારે પણ હાકલ કરી, લોકો હાજર જ હોય. દાંડીકૂચ વખતે તેમની હાકલને લીધે અનેક સ્વયંસેવકો લડતમાં જોડાયા હતા. આ સ્વયંસેવકો પણ વફાદારીથી સહકાર આપતા હતા. આ લડતમાં તેમની ધરપકડ થઈ અને જેલમાં ગયા તો આ સ્વયંસેવકોએ લડતના કાર્યક્રમો ચાલુ જ રાખ્યા. પછી તે પરદેશી કાપડનો બહિષ્કાર હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય.
તેમની પ્રમાણિકતા અને કામગીરીને લીધે જ ગાંધી-ઇરવિન કરાર બાબત વિચાર કરવાના કોંગ્રેસના કરાંચી ખાતે મળેલા અધિવેશનના પ્રમુખ તેમને બનાવવામાં આવ્યા હતા. આ સમય ખૂબ મૂંઝવણમાં મૂકી દે એવો હતો. પણ તેમની આવડતને લીધે તેઓએ આ હોદ્દાને પૂરો ન્યાય આપ્યો હતો અને કરાર સામેનો વિરોધ ઠંડો પાડયો હતો. આવી તાકાત દરેકમાં હોતી નથી. પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલમાં પોતાની પરમેશ્વરરૂપી પ્રમાણિકતાને લીધે આવી તાકાત હતી.
આજે આ વાત ખૂબ મહત્વની છે. આપણે વાતે-વાતે ખોટું કરવાનું જ વિચારતા હોઈએ છીએ. લોકો કોના ઉપર વિશ્વાસ મૂકવો એ પણ નક્કી કરી શકતા નથી. ત્યાં સુધી કે સાધુ-સંતો ઉપર પણ નહિ. સમાજનો દરેક માણસ પ્રમાણિક બનશે તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકશે.
