દાદાજીની વાર્તા - 66
દાદાજીની વાર્તા - 66
મયંક કહે, અમારે ભણવા પ્લેટોની વાત આવે છે. પ્લેટોએ કહ્યું છે કે, ''જે રાજ્ય કેળવણી પાછળ વધુ ખર્ચ કરે છે એ રાજ્યનું લશ્કરી ખર્ચ ઘટે છે અને છેવટે એ શાસનમુકત સમાજ બને છે.''
દાદાજી કહે, ન્યાયી રાજ્યની આ નિશાની છે. આનો અર્થ એ થયો કે આત્મનિયમન વધે તેમ પરનિયમન ઘટે છે. આ આત્મનિયમનનું સાધન કેળવણી છે. આ રીતે પ્રજાને કેળવણી મળે છે. તેને લીધે જ રાજ્યનું કામ અને ખર્ચ બંને ઓછાં થાય છે, ચોરી ઘટે છે, પ્રામાણિકતા વધે છે, આળસ ઘટે છે અને પરિશ્રમવૃત્તિ વધે છે. પાગલખાનાં ઘટે, જેલ ઘટે, અદાલતો ઘટે છે અને પંચનો બિન ખર્ચાળ ન્યાય વધે છે, સમાજનાં જૂનાં બંધનો તૂટે છે. આમ ક્રમે ક્રમે રાજ્યના પરનિયમનનાં કામો ઓછાં થાય છે ને તેનું સ્થાન લે છે માનવનો આત્મવિશ્વાસ. આ સામાજિકક્ષેત્રે કેળવણીની મહામૂલી ભેટ છે.
મયંકે પૂછયું, આ વિશે બીજી કઈ વાત છે ?
દાદાજી બોલ્યા, જીવન જીવવા માટેની ત્રીજી મુશ્કેલી એ માનવનું પોતાનું જ અજ્ઞાન છે. માનવનું ચિત્ત અનેક દુર્વૃત્તિઓથી ભરેલું હોય છે. માનવ આવી દુર્વૃત્તિઓ પાસે બિચારો બની જાય છે. કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ જેવી વૃત્તિઓ માનવીના મોક્ષામાર્ગને અવરોધે છે. માનવીને આવી વૃત્તિઓમાંથી મુક્તિ અપાવવી એ કેળવણીનું કાર્ય છે. આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા એની સાક્ષી પૂરે છે.
મયંક કહે, આ તો સરસ વાત આવી.
દાદાજી કહે, તુલનાત્મક દૃષ્ટિએ જોતા આજની કેળવણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા પાસે વાંઝણી દેખાય છે. આજની ચાલુ કેળવણી મનુષ્યની બૌદ્ઘિક ગરીબી દૂર કરી શકતી હશે, પણ નૈતિક ગરીબી દૂર કરવી એ એના ગજા બહારની વસ્તુ છે. નૈતિકતાના પાઠો તો એમણે મહાપુરુષોના જીવનનું અનુકરણ કર્યા પછીથી જ શીખવા મળશે. આવી જાતનું અનુકરણ કરતાં શીખવવું એ કેળવણીનો વિષય છે. જેને આપણે જીવનદ્વારા કેળવણી કહીએ છીએ. આવી કેળવણી પામેલો માનવ હંમેશાં તાજો જ રહે છે. એની વિચારશક્તિ વૃદ્ઘાવસ્થામાં પણ મંદ પડતી નથી.
મયંકે ટાપસી પૂરી, આ રીતે ત્રિવિધ મુશ્કેલીઓમાંથી માનવને ઉગારે તે જ સર્વોદયની સર્વાંગી કેળવણી.
(ક્રમશ:)